Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, May 17, 2011

80 - મુખવાસની મહારાણી વરિયાળી

80 - મુખવાસની મહારાણી વરિયાળી

પરિચય :

આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્‍વચ્‍છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે.

ગુણધર્મ :

વરિયાળી તીખી, કડવી, સ્નિગ્‍ધ, પિત્તકારક, દીપન, લઘુ, ઉષ્‍ણ, મેધ્‍ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્‍મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્‍યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે.

ઉપયોગ :

(૧) આમ- અતિસાર ઉપર : વરિયાળીનો કાઢો પીવો.

(૨) મુખ વિકાર અને પેઢાંના સોજા ઉપર : વરિયાળી ચાવીને તેનો રસ ગળે ઉતારવો.

(૩) ઉષ્‍ણતા અને ઉધરસ ઉપર : વરિયાળી અને સાકરનું ચૂર્ણ અવારનવાર મોઢામાં રાખવું.

(૪) પિત્ત-જવર ઉપર : વરિયાળી અને સાકરનો કાઢો પીવો.

(૫) વરિયાળીને પાનમાં મસાલામાં નાખવાથી તે વધુ સ્‍વાદિષ્‍ટ બને છે. મનને આનંદિત રાખે છે.

(૬) નેત્રદાહ ઉપર : વરિયાળીવાળા પાણીમાં આંખો ધોવી.

Wednesday, May 11, 2011

અમ્રુત ફળ પાકી કેરી

અમ્રુત ફળ પાકી કેરી

પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે.
પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે.
પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે.
પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે.
કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. તે કરીથી થતા ઝાડા મટાડે છે અને કેરીના રસનું પાચન કરે છે. મરડા અને ઝાડામાં કેરીની શેકેલી ગોટલી દહીં કે છાશ સાથે આપવી.
ગોટલી સ્વાદે તૂરી અને સ્તંભક હોઈ તે ઝાડા ઉપરાંત લોહીને પણ વહેતું અટકાવે છે. જો દૂઝતા હરસ, લોહીવા, નસકોરી ફૂટવી વગેરેમાં લોહી બંધ કરવું હોય તો ગોટલીનું સેવન કરવું.
ગોટલીનો ભૂકો પાણીમાં કાલવી શરીરે ચોપડવાથી અળાઈ થતી નથી અને થયેલી અળાઈ મટે છે.
ઊતરી ગયેલી, બગડી ગયેલી, ચાંદાંવાળી કે બેસ્વાદ કેરી ખાવી નહિ.

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું


પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે.
પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે.
જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે.
પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો.
પપૈયાના મૂળનો ઉકાળો પીવાથી પથરીના રોગમાં લાભ થાય છે. ઘણીવાર પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
પપૈયું પૌષ્ટિક છે. અશક્તિ, માંસક્ષય, લોહીની ઓછપમાં તે સારું છે. પેટના રોગી અને હ્રદયના રોગી પપૈયું છૂટથી ખાઈ શકે. કબજિયાતવાળા અને આંતરડાંની નિર્બળતામાં પપૈયું નિયમિત લેવું. પેટનો ગોળો અને બરોળ વૃદ્ધિમાં પપૈયું ફાયદો કરે છે.
બાળકોને પપૈયું ખવડાવવાથી તેની ઊંચાઈ વધશે.
કાચાં પપૈયાનું છીણ-સંભારો ખાવાથી પાચનશક્તિ સુધરે છે.
પપૈયું ગરમ છે માની સગર્ભાને ખવરાવાતું નથી તે ખોટું છે.

શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ

શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ


દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે.
દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. તે બલ્ય, પોષક, રોચક અને દાહશામક છે. મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે.
અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે.
દ્રાક્ષનો દ્રાક્ષાસવ ખોરાકનું પાચન કરવા અને ભૂખ લગાડવામાં ખૂબ પ્રચલિત છે. તે ઉધરસ, દમ, ટી. બી. વગેરેમાં સારો છે અને શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક છે.
લીલી દ્રાક્ષનો રસ સાકર સાથે મેળવીને લેવાથી શરીરની બળતરા મટે છે.
ગરમાળાનો ગોળ અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી તાવ તૂટે છે.

શિયાળાનું મીઠું ફળ જામફળ

શિયાળાનું મીઠું ફળ જામફળ

જામફળને જમરૂખ પણ કહે છે. તેનો ગર્ભ ખૂબ પોચો અને મીઠો હોય છે, પરંતુ તેની અંદરના કઠણ બી તેની ખાવાની મઝા બગાડે છે.
જામફળ મીઠા, સહેજ ખાટા અને તૂરા હોય છે. તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણા, મળને રોકનાર, વાત – પિત્તશામક અને કફવર્ધક છે. તે વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, ભ્રમ, મૂર્છા, તાવ, બુદ્ધિમાંદ્ય વગેરે મટાડે છે.
સૂકા કે લીલાં કાચા જામફળને છીપર ઉપર ઘસી તેનો માથે લેપ કરવાથી ગમે તેવું માથું દુઃખતું હોય કે આધાશીશી હોય તો મટી જાય છે.
બાળકો કે વૃદ્ધોને ગુદા બહાર નીકળી (આમળ) જતી હોય તો જામફળના પાનને વાટી તેની લૂગદી લગાવવી.
જામફળના પાન કે છાલનો ઉકાળો પીવાથી ઝાડા મટે છે. તેના પાનની પોટીસ ગૂમડાં ઉપર બાંધતા તે ફાટી જાય છે.
બુદ્ધિજીવીઓ માટે જામફળ સારા છે. ટાઢિયો તાવ આવતો હોય તેઓ પણ જામફળ ખાઈ શકે. ગાંડપણનો રોગી જામફળ ખાય તો તેને ફાયદો થાય છે. કબજિયાતનો રોગી નિયમિત રીતે જામફળ ખાય તો પેટ સાફ આવે છે. પાનનો રસ ભાંગનો નશો મટાડે છે. પાનની પોટીસ આંખે બાંધવાથી આંખના રોગો મટાડે છે.

બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ

બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ


કેળાં પછીનું બીજું સુલભ ફળ ચીકુ છે. તે પણ લગભગ બધી ઋતુમાં મળે છે અને સસ્તુ હોય છે, આબાલ-વૃદ્ધ સૌને તે ભાવે તેવું સ્વાદિષ્‍ટ હોય છે. ચીકુ સ્વાદે મીઠા હોય છે. તે સહેજ કાચાં હોય તો તૂરા લાગે છે. તાસીરે તે ઠંડા, સહેજ ચીકાશવાળા, પચવામાં પ્રમાણમાં હલકાં અને રોચક છે. તે પિત્તશામક અને કફકર છે. તે પોષક, શક્તિવર્ધક અને બળપ્રદ છે.
બીજાં ફળોની જેમ ચીકુમાં બિલકુલ ખટાશ હોતી નથી. કેળાંનો પણ આ જ ગુણ છે. તેથી આ બંને ફળો પિત્તરોગમાં સારા છે. ખાસ કરીને અમ્લપિત્તના રોગી માટે ચીકુ પથ્ય છે. બળતરા, તરસ, થાક અને અશક્તિ પણ આ ફળ મટાડે છે.
માંદગી પછીનો થાક, અશક્તિ, અગ્નિમાંદ્ય વગેરેની દ્રષ્ટિએ ચીકુ સારા છે. તે માંદાં લોકોને પણ આપી શકાય. રોગીઓની સામાન્ય શારીરિક શક્તિ ટકાવી રાખે છે અને શરીરને પોષણ આપે છે.
ચીકુમાં સાકર ભેળવી ખાવાથી પેશાબની બળતરા મટે છે.
ચીકુની છાલનો ઉકાળો તાવ અને ઝાડા મટાડે છે.
કાચાં ચીકુ ખાવા નહિ, તે પેટમાં ગરબડ કરે છે.

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં


કેળાં બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ છે. તેની ઘણી જાતો છે. તેમાં માંસલ ભાગ ખૂબ હોય છે અને છાલ સહેલાઈથી છૂટી કરી શકાય છે. પાકેલાં કેળાં સારાં. તે જેમ વધુ પાકે છે તેમ છાલ પાતળી થતી જાય છે.
કેળાં સ્વાદે મીઠા, સહેજ તૂરા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, ચીકણા, ઝાડાને બાંધનાર, પિત્તશામક અને કફકર છે. તે વીર્યવર્ધક, ધાતુવર્ધક, સ્વાદિષ્‍ટ અને પથ્ય છે, રક્તપિત્ત, બળતરા, ક્ષત, ક્ષય, તરસ, આંખના રોગ, પેશાબના રોગ, પથરી, નિર્બળતા, દૂબળાપણું વગેરેમાં સારા છે.
બાળક કે કોઈપણ વ્યક્તિ વીંટી, લખોટી કે કોઈપણ અખાદ્ય ગળી ગયું હોય તો તેને ખોરાક બંધ કરાવી માત્ર કેળાં ઉપર રાખતાં તે ચીજ મળમાં ગંઠાઈ બહાર નીકળી જાય છે. આ માટે મળમાં ધ્યાન રાખવું જોઈએ.
ભસ્મક રોગમાં કેળાં ખૂબ સારા. ઘણા લોકોને ખૂબ ભૂખ લાગી હોય, ખૂબ ખાતા હોવા છતાં શરીર વળતું ન હોય, બધું બળી જતું હોય તેને કેળાં જ ખવડાવવા.
પાકાં કેળાં ઘી-સાકર સાથે લેવાથી ધાતુપુષ્ટિ થાય છે અને વજન વધે છે.
વધુ પડતાં કેળાં ખવાઈ ગયા હોય અને તેનું અજીર્ણ થયું હોય તો એલચી ખાવી. એલચી કેળાનું અજીર્ણ મટાડે છે.

ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી

ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી

કેરીની ઘણી બધી જાતો છે. ઉનાળાનું એ અમૃત ફળ છે. કાચી અને પાકી બંને કેરીના ગુણમાં તફાવત હોઈ તેને અલગ અલગ જોઈશું.
કાચી કેરી સ્વાદે તૂરી અને ખાટી છે. તાસીરે તે ગરમ છે. પચવામાં ભારે અને ગુણમાં લૂખી છે. તે મળને રોકે છે અને ત્રણેય દોષને શાંત કરતી નથી, પરંતુ થોડો પ્રકોપાવે છે. તેનું વધુ સેવન કરવાથી લોહી બગાડ થાય છે. આ નાની કાચી કેરી કે જેને મરવા કહેવામાં આવે છે તેના ગુણો છે. જાળી પડેલી કાચી કેરી નુકશાન કરતી નથી.
કાચી કેરી અને ડુંગળીની કચુંબર સીઝનમાં રોજ ખાવી જોઈએ. તેનાથી લૂ લાગતી નથી, ખોરાક પચે છે અને ગરમી સામે રક્ષણ મળે છે. ?
કાચી કેરીનું શરબત કે બાફલો શરીરના જલીય તત્વને સપ્રમાણ રાખે છે. ઉનાળામાં પરસેવામાં જલીય તત્વ ઘટી ન જાય તેની તકેદારી રાખે છે.
કાચી કેરીની ખટાશ દૂર કવા તેમાં મીઠું અને ગોળ ભેળવી શકાય.
ઉનાળાની સીઝનમાં કાચી કેરીની વાનગીઓ ખાવાથી શરીરની ખૂટતી શક્તિ અને પોષણની પૂર્તિ થાય છે.
કાચી કેરીનાં અથાણાં, મુરબ્બો, આંબોળિયા વગેરે બનાવી બારે માસ ખાઈ શકાય છે.

શક્તિ, સ્ફુર્તિ વધારનાર ફળ ફણસ – ફાલસા

શક્તિ, સ્ફુર્તિ વધારનાર ફળ ફણસ – ફાલસા

ફણસ સૌથી મોટું ફળ. ફાલસા ચણીબોર જેવડા નાનાં ગોળ.
ફણસ સ્વાદે મધુર, સહેજ તૂરાશ પડતું હોય છે. તે તાસીરે ઠંડું, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાતકર, કફકર, પિત્તશામક, મંદાગ્નિ કરનાર, મેદવર્ધક અને દાહશામક છે. તે રોચક, બળવર્ધક, વીર્યવર્ધક, હ્રદ્ય, ભ્રમહર, વિષધ્ન, માંસવર્ધક, ક્ષય, ક્ષત, વ્રણનાશ વગેરેમાં સારું છે.
ફાલસા ખટમીઠા, ઠંડા, હલકાં, લૂખા, અગ્નિવર્ધક, મળને રોકનાર, વાત-કફનાશક અને પિત્તકર છે. તે પ્રમેહ, તાવ, આમવાત, ક્ષય વગેરેમાં સારા છે. ફાલસાનું શરબત બળતરા, પિત્તવિકાર, તરસ, થાક વગેરે મટાડે છે. ફાલસાના મૂળનો લેપ ડૂંટીથી પેડું વચ્ચે કરવાથી ગર્ભપાત થાય છે. મૃતગર્ભ માટે આ પ્રયોગ સારો છે.
ફણસ મંદાગ્નિવાળા માટે સારા નથી. વળી તેને ખાધા પછી પાન ખાવું નહિ. તેથી આફરો ચડે છે. ફણસનું અજીર્ણ મટાડવા કોપરું, ખાટા બોર કે ખાટી ચીજ ખાવી.
પરંતુ તીવ્ર જઠરાગ્નિવાળા માટે ફણસ સારું છે. તે શક્તિ, સ્ફુર્તિ અને બળની અસાધારણ વૃદ્ધિ કરે છે. ગરીબો અને મજૂર વર્ગ માટે સારું છે. બેઠાડું જીવન જીવનારાએ બહુ ન ખાવું.

રાયણ

રાયણ

પીળો આકર્ષક રંગ ધરાવતી રાયણ ઉનાળું ફળ છે. તે બહુ ખાવાથી ડચૂરો બાજે છે અને ગભરામણ થાય છે. તેથી તેને પ્રમાણસર જ ખાવી.
રાયણ સ્વાદે મીઠી, સહેજ તૂરી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકણી, ઝાડાને બાંધનાર, ત્રિદોષનાશક અને પથ્ય છે. તે બળપ્રદ અને પોષક છે. તરસ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, લોહી બગાડ, પ્રમેહ, ડાયાબિટીસ, શુક્રક્ષય, માંસશોષ વગેરેમાં સારી છે.
રાયણ સૂકાઈ જતાં તેની કોકડી બને છે, જેને રાણકોકડી કહે છે. તે રાતી હોય છે અને લાંબો સમય બગડતી નથી. તે મધુર, ગરમ, પૌષ્ટિક અને વધુ ખવાય તો ઝાડા કરે છે.
રાયણ ઉપર પાણી ન પીવું, ધોયા વગર ન ખાવી કે વધુ પડતી ન ખાવી. નહિ તો ડચૂરો બાઝશે. તેના નિવારણ માટે છાશ પીવી કે મોંમાં મીઠાની કાંકરી રાખી ચૂસવી.
રાયણના પાનનો રસ પીવાતી શ્વેતપ્રદર મટે છે.
મોંના કાળા ડાઘ દૂર કરવા રાયણના પાન દૂધમાં પીસી તેનો લેપ કરવો.
રાયણનું દૂધ દાંતનો દુઃખાવો મટાડે છે.
રાયણનું બી ઘસીને વીંછીના દંશસ્થાને લગાવવાથી વીંછીનું ઝેર નરમ પડે છે.

જાંબુનાં ઔષધીય ગુણો

જાંબુનાં ઔષધીય ગુણો


* જાંબુ સૂકવી બારીક ખાંડી દરરોજ બે તોલા ખાવાથી અથવા ૧૫ દિવસ જાંબુ ખાવાથી મધુપ્રમેહ (ડાયાબિટીસ)માં ફાયદો થાય છે
* ઉનાળાના તાપ પછી વર્ષાઋતુનાં અમીછાંટણાંથી પાકતાં જાંબુને વર્ષાઋતુના અમૃતફળ તરીકે ઓળખવામાં આવે છે. નદીકિનારાવાળી રસાળ જમીનમાં થતું આ ફળ ભારતમાં સર્વત્ર જોવા મળે છે.
* વૈદિક દૃષ્ટિએ જાંબુ મધુર, રુચિકર, ગુરુ સ્તંભક, દોષનાશક અને સ્વાદુ મનાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે જાંબુમાં લોહ, ફોસ્ફરસ અને ચૂનો વિપુલ પ્રમાણમાં હોય છે. ઉપરાંત ફોલ્સીન અને ફોલિક એસિડ પણ હોય છે. જાંબુના ઠળિયામાં ગ્લુકોસાઈડ, જમ્બોલીન, ફેનોલયુકત દ્રવ્ય શરીરને ઉપયોગી સુંગદિત દ્રવ્ય સારા પ્રમાણમાં હોય છે.
* જાંબુ ગમે તેટલા ખાવામાં આવે તો કોઈ વિકૃતિ થતી નથી છતાં એવું મનાય છે કે જાંબુ ભૂખ્યાપેટે બિલકુલ ખાવા જોઈએ નહીં. જાંબુ વાત દોષ કરનાર હોવાથી વાયુપ્રકૃતિએ તથા વાત રોગથી પીડાતાઓએ ખાવા જોઈએ નહીં.
* જાંબુડીની છાલ અથવા જાંબુ સૂકવી બારીક ખાંડી દરરોજ બે તોલા ખાવાથી અથવા ૧૫ દિવસ જાંબુ ખાવાથી મધુપ્રમેહ (ડાયાબિટીસ)માં ફાયદો થાય છે. જાંબુના અંદરના બી ઘસી ચોપડવાથી ગરમીથી થતી અળાઈઓ મટી જાય છે. જાંબુનાં પાંદડાનો રસ ચોપડવાથી વીંછીના દંશ ઉપર ફાયદો થાય છે, જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી લટી કે પિત્તવિકાર દૂર થાય છે. તેની ઉપર ઘી અને ભાત આપવાથી ઊલટી બંધ થઈ જાય છે. પેટમાં વાળ કે લોઢાનો અંશ કે અયોગ્ય વસ્તુ ગઈ હોય તો જાંબુ ખાવા. નાનાં બાળકોને ઝાડા થતા હોય તો છાલનો તાજો રસ બકરીના દૂધમાં મેળવીને આપવાથી ઊલટી બંધ થાય છે.
* જાંબુનાં ઠળિયા બસો ગ્રામ, લીમડાની ગળો પચાસ ગ્રામ, હળદર, ૫૦ ગ્રામ ખાંડી વસ્ટાગાળ ચૂર્ણ કરવું તેને જાંબુના રસમાં ઘૂંટી સૂકવી કાચની બાટલીમાં ભરવું. રોજ સવાર-સાંજ પા અથવા અડધો તોલો નિયમિત લાંબો સમય લેવાથી મધુપ્રમેહ (ડાયાબિટીસ)માં ચોક્કસ ફાયદો થાય છે. જાંબુના ઠળિયા તથા કેરીની ગોટલીનું સમભાગ ચૂર્ણ છાશ સાથે એક એક ચમચી દિવસમાં ત્રણવાર લેવાથી પેટથી ચૂંક તથી જૂનો મરડો મટે છે.
* યુવાનીમાં થતા મોં ઉપરના ખીલ પર જાંબુનો ઠળિયો ઘસીને ચોપડવાથી ફાયદો થાય છે. જાંબુડીની છાલના કવાથના કોગળા કરવાથી ગળાના સોજા અને ગળાની તકલીફોમાં ફાયદો થાય છે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સર્વોત્તમ ટામેટાં

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સર્વોત્તમ ટામેટાં


સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો લીલાં ટામેટાં સર્વોત્તમ ગણાય છે. પાચનશકિત વધારતાં અને પચવામાં સરળ ટામેટાંનાં ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીએ.

ગર્ભવતી�સ્ત્રીઓ ઉપરાંત જેની સુવાવડ થઈ ચૂકી હોય તેવી બહેનોની માનસિક અને શારીરિક શકિત માટે ટામેટાંનો રસ સર્વોત્તમ ઔષધિ ગણાય છે.

ગેસની તકલીફ વારંવાર થતી હોય તેવી વ્યકિતઓને માટે ટામેટાંની કાપેલી ચીરીઓ ખુબ લાભકારી છે. આની સાથે જો સંચળ ભેળવી દેવામાં આવે તો તે રામબાણ દવાની ગરજ સારે છે.

ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને રસમાં ભેળવીને પીવડાવી જુઓ. આનાથી દર્દીને રાહત થશે.

હૃદયરોગથી પીડાતા દર્દીઓને ટામેટાંના રસની સાથે અર્જુન વૃક્ષની છાલ અને ખાંડ ભેળવી તેની ચટણી બનાવીને ખાવાથી લાભ થશે.

પેઢાઓ નબળા પડી ગયા હોય અને તેને કારણે દાંતમાંથી લોહી વહેતું હોય તો એને માટે આ ઇલાજ અજમાવી જુઓ. ટામેટાંનો રસ દિવસમાં કુલ ત્રણ વાર ૫૦-૫૦ મિ.લિ. લેવાથી તાત્કાલિક રાહત અનુભવશો.

ચામડીનો કોઇ પ્રકારનો રોગ થયો હોય તેમણે સવાર-સાંજ નિયમિત ટામેટાંનો રસ પીવાનું રાખવું જોઇએ. તમે જોશો તો થોડા સમય પછી તમારી ચામડીના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી જણાશે.

નાના બાળકોને અવારનવાર કરમ થતાં હોય છે. કેટલીક મોટી વ્યકિતઓને પણ આ તકલીફ થતી હોય છે. ટામેટાંના રસમાં હીંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થશે.

કબજીયાતની સમસ્યા ભોગવતી વ્યકિતઓ, જેમના આંતરડામાં મળ જમા થઈ જતો હોય છે. એને દૂર કરવા એક પ્યાલો ટામેટાંનો રસ નિયમિત લઇ જુઓ. મળ સાફ થઈ જશે અને આંતરડા ચોખ્ખા રહેશે.

પાંચ ગ્રામ તુલસીનો રસ લઇ તેમાં તેટલી જ માત્રામાં ટામેટાંનો રસ ભેળવી લઈ તેને પીવાની આદત રાખો. થોડાક સમયમાં જ તમારી આંખ નીચે રહેતા કાળા કૂંડાળા દૂર થઈ જશે.

કોઢની સમસ્યાવાળી વ્યકિત માટે તુલસીનો રસ અને ટામેટાંનો રસ ભેગો કરીને પીવાથી ફાયદો થાય છે.

રાતના સમયે જોવાની તકલીફ હોય તો પાલકના રસમાં ટામેટાંનો રસ ભેળવી લઈ પીવાનું રાખો. ચાર અઠવાડિયા પછી તમે જાતે એનું પરિણામ અનુભવી શકશો.
લીવરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે પણ ટામેટાંનો રસ ખુબ ગુણકારી છે.

ટામેટાંના ટુકડા કરી લઈ કલઇવાળા વાસણમાં થોડા સમય સુધી રાખી તેને શેકી લો. આની અંદર મરી તેમજ સીંધવ મીઠું ભેળવી લઇ અથવા થોડો સોડાબાયકાર્બ ભેળવી ખાઈ જુઓ. તરત રાહત અનુભવવા મળશે.

નિયાનો સર્વશ્રેષ્‍ઠ જાદુ પાણી

નિયાનો સર્વશ્રેષ્‍ઠ જાદુ પાણી


જ્યારે કૂવામાં પાણી ન હોય ત્યારે પાણીની કિંમત સમજાય છે. પ્રખ્યાત એન્થ્રોપોલોજીસ્ટ લોશન એઝલીના આ શબ્દો છે. વધુમાં તે જણાવે છે કે, દુનિયાનો સર્વશ્રેષ્‍ઠ જાદુ પાણી છે.
પાણીની પ્રશંસા :
પાણીમાં વજન વધારે તેવી કેલરી નથી છતાં માનવ શરીરને ખૂબ જ ઉપયોગી તેવા ખનીજ� પદાર્થો (મિનરલ્સ) છે. પાણી વગર માનવીને પાંચ દિવસ પણ ના ચાલે છતાં પાણી વિષે તમે કશું જ જાણતા નથી.
હવે તમે જાણી લો અને યાદ રાખો :
1. પાણીથી તમારા શરીરના બધાં જ અંગોના કોષ જીવે છે.
2. શરીરમાં ૬૫ ટકા જેટલા પાણીથી લોહી બને છે. પિત્ત બને છે. પાચક રસો બને છે. હોર્મોન બને છે. ન્યુરોટ્રાસ્મીટર્સ બને છે.
3. શરીરમાં થયેલી અને સતત ચાલુ રહેતી ચયાપચય (મેટાબોલીઝમ) ની ક્રિયામાંથી ઉત્પન્ન થયેલા ટોકસીન (ઝેરી પદાર્થો) કિડની વાટે કાઢી નાખવામાં પાણી મદદ કરે છે.
4. શરીરમાં ખોરાક, હવા, પાણી, કેફી પદાર્થો, દવાઓ વગેરે મારફતે દાખલ થયેલા ઝેરી પદાર્થોને શરીરની બહાર કાઢી નાખવામાં પાણી મદદ કરે છે.
5. શરીરની અંતરત્વચા (મ્યુક્સ મેમ્બ્રેન) ને સુંવાળી રાખવામાં પાણી મદદ કરે છે.
6. લીવરને ઝેરી પદાર્થો કાઢી નાખવામાં અને પિત્ત બનાવવામાં મદદ કરે છે.
7. સાંધાનાં હાડકાં સંધાય નહીં માટે વચ્ચે રહેલા કાર્ટીલેજને સુંવાળા રાખવામાં પાણી મદદ કરે છે.
8. શરીરનાં અંગો એકબીજાની સાથે ચોટી ના જાય માટે પાણી મદદ કરે છે.
9. માતાના ગર્ભમાં રહેલું બાળક ૯ માસ સુધી પાણીમાં રહે છે.
10. ઉનાળામાં કે ખૂબ શ્રમ કર્યા પછી તમને જે પરસેવો થાય છે તે પરસેવો પવનથી ઉડી જાય ત્યારે શરીરને ઠંડક લાગે છે. આ રીતે પાણીને તમે શરીરની એરકન્ડિશનિંગ સિસ્ટમ કહી શકો.
11. શરીરમાં જ્યારે ઓકસીજનથી કોષોમાં રહેલા કાર્બોહાઇડ્રેટનું દહન થાય ત્યારે ગરમી ઉત્પન્ન થાય ત્યારે કોષને નુકશાન થતું અટકાવવાનું કામ પાણી કરે છે.
12. લોહીમાં ૮૪ ટકા, સ્નાયુઓમાં ૭૫ ટકા, મગજમાં ૨૨ ટકા જેટલું પાણી છે.
13. શરીરનું એસીડ બેઝ (અમ્લઆલ્કાની) ઇક્વીબ્રીલીયમ (સમતોલપણું) જાળવવામાં પાણી મદદ કરે છે.
14. તમારા રોજના ખોરાકમાં અને લીધેલા પ્રવાહીમાં ક્ષારોનું (ખાસ કરી મીઠાનું) પ્રમાણ વધારે હોય તો કોષમાં રહેલું પાણી બહાર નીકળી જાય અને શરીરમાં સોજા આવે અને કોષ મરી જાય. આમ ના થવા દેવું હોય તો તમારે પૂરતૂં પાણી પીવું જોઈએ.
15. તાવમાં જ્યારે શરીરનું ઉષ્‍ણતામાન વધી ગયુ હોય ત્યારે પાણી પીવાથી રાહત થાય છે. શરીરમાં પાણી ઓછું થવાની ક્રિયા (ડીહાઇડ્રેશન) ક્યારે થાય ?
1. શરીરમાંથી એકસીડંટ વખતે કે ઈજાથી લોહીનો ભાગ ઓછો થાય ત્યારે
2. ફૂડ પોઈઝનીંગ, કોલેરા, ડાયેરીઆ, ડીસેન્ટ્રી જેવા પ્રસંગે ખૂબ ઝાડા ઉલ્ટી થયા હોય ત્યારે
3. ખૂબ શ્રમ કર્યો હોય, નિર્જળા ઉપવાસ કર્યા હોય અથવા તો રણમાં મુસાફરી કરી હોય ત્યારે.
ડીહાઈડ્રેશન થાય અથવા પાણી ઓછું પીઓ તો શું થાય ?
1. આંતરડામાં રહેલો કચરો (મળ) સુકાઈ જાય, કબજીયાત થાય અને જોર કરવાથી હરસ (મસા) અને ભગંદર થાય.
2. પાણી ઓછું પીઓ તો માથું દુઃખે, મગજ તપે, ખાવાની ઇચ્છા ન થાય.
3. પાણી ઓછું થવાથી શરીરના સ્નાયુઓની અને ખાસ કરીને હ્રદયના સ્નાયુઓની સંકોચાવાની અને વિકસવાની ક્રિયામાં અવરોધ આવે છે. આને લીધે સ્નાયુઓમાં ક્રેમ્પ (ખેચાઇ જવા અને હાર્ટએટેક આવી શકે છે.
4. પાણીના અભાવે હાડકાં બરડ (જલ્દી તૂટી જાય તેવાં) થાય છે અને થોડા દબાણથી તૂટી જાય છે. આ સાથે હાડકામાં રહેલ મજ્જા સુકાઈ જવાથી નવું લોહી બનવાની ક્રિયામાં વિક્ષેપ પડે છે, જેથી નવું લોહી બનતું નથી અને તેને લીધે તમારા શરીરમાં રક્ત ક્ષીણતા એટલે એનીમીઆ થાય છે.
5. પૂરતું પાણીના હોય તો મોંની લાળગ્રંથી સુકાઈ જાય છે, જેને લીધે તમારું ગળું સુકાય છે. મોમાં ચાંદા પડે છે અને ખોરાક ચાવવાથી ક્રિયા બરોબર થતી નથી અને ખાધેલો ખોરાક લાળને અભાવે તમને સ્વાદવાળો લાગતો નથી અને પાચન ક્રિયાના પહેલા તબક્કામાં વાંધો પડે છે.
6. પાણી ઓછું હોય ત્યારે શરીરમાં રહેલા બિનજરૂરી ક્ષાર કે ઝેરી પદાર્થો કિડની બહાર કાઢી શકતી નથી તેથી શરીરના નાના મોટા બધા જ સાંધામાં સોજો આવે છે અને વા થયો હોય તેમ લાગે છે.
7. ડીહાઇડ્રેશન થાય ત્યારે હીટ એકજોશન થાય અને તે વખતે હ્રદયના ધબકારા વધી જાય અને ચક્કર આવે તે મૃત્યુ પણ થાય.
8. પૂરતું પાણી નહીં પીવાથી હોજરીમાં અને આંતરડાની અંદરની મ્યુક્સ મેમ્બ્રેન પાતળી થઈ જાય છે અને તે હોજરી અને આંતરડાનું એસિડથી રક્ષણ કરી શકતી નથી એટલે પેટમાં અને આંતરડામાં ખૂબ દુઃખાવો અને બળતરા થાય છે.
9. પાણી ઓછું લેવામાં આવે તો લોહી થોડું ઘટ્ટ થઈ જાય છે. આ ઘટ્ટ થયેલા લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે આને કારણે લોહીમાં રહેલી ચરબીના ગઠ્ઠા લોહીની નળીઓની અંદરની દિવાલમાં જામી નળીઓને સાંકડી બનાવે છે અને રક્તપ્રવાહ ધીમો પડવાથી હાર્ટએટેક અને બી. પી. થવાની શક્યતા વધે છે.
10. આ જ રીતે પાણી ઓછું પીવામાં આવે ત્યારે પેશાબનું કોન્સ્ટ્રેશન વધે છે પરિણામે કિડનીમાં સ્ટોન થાય છે અને પિત્તનું કોન્સ્ટ્રેશન વધવાથી ગોલ બ્લેડરનો સ્ટોન થાય છે.
11. પહેલાં જણાવ્યું તેમ પાણી ઓછું પીવાથી એનીમીઆ થાય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આને લીધે શરીરમાં નાના મોટા ચેપી રોગ થાય છે.
12. પાણી ઓછું પીવાથી પુરતા પ્રમાણમાં પાચક રસો બનતા નથી તેથી તમારા ખાધેલા ખોરાકનું પાચન શક્તિ મંદ થવાને કારણે પુરતું પાચન થતું નથી તેથી ગેસ દુઃખાવો, એસીડીટી થાય છે.
13. સ્ત્રીઓ જો પાણી ઓછું પીએ તો તેમને પેશાબના રોગો (પેશાબમાં પરૂ જવું), અનિયમિત માસિક અને મોનીલીઆસીસ અને ટ્રાઇકોમોનીઆસ જેવા રોગો જેને સામાન્ય ભાષામાં શરીર ધોવાવું અથવા પ્રદર તરીકે ઓળખાય છે તે થાય છે.
14. પાણી ઓછું પીવાય ત્યારે મગજના કોષો જલ્દી નાશ પામે છે અને મગજના સંદેશા લઈ જનાર અને લાવનાર તત્વો (ન્યુરોટ્રાન્સમીટર્સ) નબળા પડી જાય છે. આને લીધે મગજથી થનારા બધા જ કાર્યોમાં ગરબડ થાય છે. એકાએક ગભરામણ થાય છે. વગર ખૂબ થાક લાગે છે. ચામડી કોરી અને સૂકી થઈ જાય છે. આંખો લાલ થાય છે બળે છે. પગ અને ખોટા પડી ગયા હોય તેવું લાગે છે. યાદશક્તિ નબળી પડી જાય છે. ગુસ્સે થઈ જવાય છે માથું ઘુમે થઈ જાય છે. કશું સૂઝતું નથી. નકારાત્મક વિચારો આવે છે.
15. પાણી ઓછું પીવાય ત્યારે હોર્મોન ગ્રંથિઓના કામમાં મોટી ગરબડ ઉભી થાય છે જેથી જાતીય શક્તિ ઓછી થાય છે. શરીરમાં ઉત્સાહ ઓછો થાય છે. થાઈરોઇડ જેવા રોગો થાય છે.
16. પાણી ઓછું પીવાથી શરીરમાં ટોકસીન (ફ્રીરેડીકલ) બહાર નીકળતા નથી. આને લીધે લાંબે ગાળે લીવર, હાડકાં, ગર્ભાશય, કિડની, આંતરડા, હોજરી, ઓવરી, પ્રોસ્ટેટ વગેરેના કેન્સર થવાની શક્યતા ખુબ વધી જાય છે.

દાહ–બળતરા મટાડો

દાહ–બળતરા મટાડો


મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
ધાણા અને જીરું એક ચમચી લઈ, અધકચરું ખાંડી રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથ – પગની બળતરા મટે છે.
ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટીને લીધે જમ્‍યા પછી છાતીમાં થતી બળતરા મટે છે.
તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી હાથ-પગની બળતરા તથા પેશાબની બળતરા મટે છે.
એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગનાં તળિયાની બળતરા મટે છે.
એક ગ્‍લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી, તેમાં થોડી સાકર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે.
સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ, બળતરા, ખંજવાળ મટે છે.

અજીર્ણ-ભૂખ ન લાગવી

અજીર્ણ-ભૂખ ન લાગવી


જમતા પહેલા આદુની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે.
ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
અર્ધી ચમચી અજમો, ચપટી સિંધવ-મીઠું લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
એક ગ્‍લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
પાકા અનાનસના કકડા કરી તેની ઉપર સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.
એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ-મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.
લીંબુ કાપી, તેના ઉપર સિંધવ-મીઠું ભભરાવી જમતાં પહેલાં ચૂસવાથી અજીર્ણ મટે છે.
સૂંઠ મરી, પીપર અને સિંધવ-મીઠું લઈ તેનૂં ચૂર્ણ છાશમાં પીવાથી અજીર્ણ મટે છે.
કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.
લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી-મંદાગ્નિ મટે છે.
કોકમનો ઉકાળો કરી, ઘી નાખી, પીવાથી અજીર્ણ મટે છે.
મેથી અને સુવા સરખે ભાગે લઈ, બન્‍નેને શેકી, અધકચરા ખાંડી, તેમાંથી અર્ધો અર્ધો તોલો ફાકવાથી આફરો, ખાટાં ગચકારાં અને ઓડકાર મટે છે.
પેટમાં ખૂબ જ આફરો થયો હોય, પેટ ઢોલ જેવું થયું હોય અને પેટમાં દુઃખાવો થતો હોય તો ડૂંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે.
લસણ, ખાંડ અને સિંધવ-મીઠું સરખે ભાગે મેળવી, તેનાથી બમણું ઘી મેળવી ખાવાથી અજીર્ણ આફરો મટે છે.
ટામેટાંને સહેજ ગરમ કરીને સિંધાલૂણ અને મરી છાંટીને ખાવાથી અજીર્ણ મટે છે.

પિત્ત-કફહર અને વાતકર - કાથો

પિત્ત-કફહર અને વાતકર - કાથો


ખેરના જૂના લાકડાના નાના નાના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળી કાથો જુદો પડાય છે. આ કાથો ખેરસાર તરીકે પણ ઓળખાય છે.
કાથો સ્વાદે તૂરો અને કડવો છે અને તાસીરે ઠંડો છે. તે પિત્ત-કફહર અને વાતકર છે. તે અગ્નિદીપક, આહારપાચક, લોહી બગાડ મટાડનાર, રોચક અને લૂખો છે. મોં આવવું, પેટના કૃમિ, શરીરે ચાંદા થવા કે ઘા પડવો, ખંજવાળ, તાવ, પ્રમેહ, મેદરોગ, અરુચિ, પાંડુ, કફરોગ માટે ઘણો સારો છે.
મોં આવ્યું હોય અને મોઢામાં ફોલ્લા પડ્યા હોય તો કાથો મોઢામાં મૂકી રાખવો. ઉધરસ માટે પણ આ જ પ્રયોગ છે. તેની ખદિરાદિવટી પ્રખ્યાત છે.
ઘા પડ્યો હોય, પાક થયો હોય, અંદર જીવડાં પડ્યા હોય, જલદી રૂઝ આવતી ન હોય તો કાથાનો ભૂકો ઘામાં ભરીને પાટો બાંધવાથી જલદી રૂઝ આવે છે.
વધુ પડતા ઝાડા થયા હોય તો કાથાના ભૂકાને ફકાવવાથી ઝાડા મટે છે.
અવાજ બેસી ગયો હોય તો કાથાના ભૂકાને ઘીમાં મેળવી ગળામાં લગાવવું.
હાથીપગાના રોગમાં ગોમૂત્રમાં કાથો મેળવીને પીવાથી હાથીપગાનો રોગ મટે છે.

પાચનતંત્ર માટે ઉપયોગી - સોપારી

પાચનતંત્ર માટે ઉપયોગી - સોપારી

મોટી અને વજનદાર સોપારી ગુણમાં ઉત્તમ છે. સડેલી, ખોરી, પોચી, ફોફી, હલકી, નાની સોપારી ખાવી નહિ. સોપારી સ્વાદે તૂરાશ પડતી મીઠી છે. તાસીરે તે ઠંડી છે, પચવામાં ભારે, અગ્નિદીપક, આહારપાચક, મળશોધક, વાતકર અને કફ- પિત્તનાશક છે. તે અવાજ અને પાચનતંત્ર માટે ઉપયોગી તથા પથ્ય છે.
સોપારીનો વધુ ઉપયોગ સારો નહિ. તે લોહીનું પાણી કરી નાખે છે અને શરીરે સોજા ઉત્પન્ન કરે છે. સોપારી ખાનારે ઘીનું અધિક સેવન કરવું જોઈએ.
માથાના દુઃખાવામાં સોપારી ઘસીને માથે ચોપડવી. સોપારીને બાળી તેની રાખ કરી ઊલટીમાં આપવાથી ઊલટી બંધ થાય છે. તેને તલના તેલમાં કાલવી ચામડીના રોગ ઉપર લગાવવાથી તે મટે છે.
ગાલપચોળિયામાં આમલીના ઠળિયા, ગૂગળ અને સોપારીને ગરમ પાણીમાં ઘૂંટીને તેનો લેપ કરવો.
સોપારીનાં ફૂલ મરડો અને ઝાડા મટાડે છે. સોપારી મોંની ચીકાશ, લોહી બગાડ, પેટ અને પાચનતંત્રની ગરબડ મટાડે છે.
ચીકણી સોપારી ત્રિદોષકર છે અને તેને યોનિમાં મૂકવાથી યોનિ સંકોચન કરે છે.

નાગરવેલનું પાન

નાગરવેલનું પાન
પાન એટલે નાગરવેલનું પાન. જેને તાંબૂલ પણ કહે છે.
પાન સ્વાદે તીખું, કડવું અને તૂરું છે. તાસીરે ગરમ, સ્વભાવે લૂખું, પચવામાં હલકું, અગ્નિદીપક અને આહારપાચક, વાત કફનાશક અને પિત્તકર છે. તેની શિરાને બુદ્ધિવિનાશિની કહે છે તેથી કાઢી નાખવામાં આવે છે.
પાન વીર્યવર્ધક, કામોદ્દીપક, રોચક અને કાંતિવર્ધક છે. પાન દુર્ગંધનાશક અને ઉત્તમ જંતુધ્ન છે. તેથી જમ્યા પછી ખાવાથી મુખશુદ્ધિ થાય છે અને ખોરાક પચે છે. તે શરદી, સળેખમ, ઉધરસ, શ્વાસ, અવાજ બેસી જવો, પાચન મંદ પડી ગયું હોય તો ઉપયોગી છે.
પાનના ડીંટાને શરીરના બહારના મસા ઉપર ઘસવાથી તે સુકાઈ જાય છે.
પાનના રસમાં મધ મેળવી આપવાથી શરદી-સળેખમ-સસણી મટે છે.
બાળકને છાતીમાં કફનો ભરાવો હોય તો છાતીએ પાન મૂકી શેક કરવો.
પાન અને લવિંગને પાણીમાં ખૂબ ઉકાળી, ચોળી, ગાળીને પાવાથી કફના રોગો મટે છે. બાળકોને તે ખાસ લાભ કરે છે.
કામોત્તેજક દવાઓ ઉપર પાનનું સેવન કરવું.
પારાવાળી દવા પાવાથી આડઅસર થઈ હોય તો નાગરવેલના પાનના રસનું સેવન કરવું.

ગોળ

ગોળ
ગળપણ ઉપરથી ગોળનું નામ પડ્યું એટલે ગોળ ખૂબ ગળ્યો હોય છે. તે એક વર્ષ જૂનો વાપરવો વધુ સારો.
ગોળ ગળ્યો, સહેજ ગરમ, પચવામાં હલકો, ત્રિદોષહર, અગ્નિદીપક, ચીકણો, પથ્ય અને શક્તિપ્રદ છે. આ ઉપરાંત તે�થાક ઉતારનાર, લોહીબગાડ મટાડનાર, લોહી શુદ્ધ કરનાર, કામશક્તિ વધારનાર અને રસાયન છે. તે પાંડુ, પ્રમેહ, ઉધરસ, શ્વાસ, કફના રોગ તથા પેટના કૃમિ મટાડે છે.
ગોળ વિષે એવી માન્યતા છે કે ગોળ ગરમ અને ખાંડ ઠંડી છે. તેવું નથી, હકીકતમાં ખાંડ જ ગરમ છે અને ગોળ બહુ ઓછો ગરમ છે.
ગોળ બાળકો અને વૃદ્ધોને પોષણ આપે છે. તે અગ્નિપ્રદીપક હોઈ પાચનતંત્ર સુધારે છે. પથ્ય હોઈ સૌ કોઈ ખાઈ શકે છે. તે શરીરનું સ્નેહન કરી શરીરને પોષણ અને જરૂરી ગરમી આપે છે.
શારીરિક શ્રમ ઉતારવા ગોળનું પાણી પીવું જોઈએ. તે તરત જ થાક ઉતારી સ્ફર્તિ આપે છે.
શીળસમાં ગોળ સાથે અજમો કે હળદર લઈ શકાય. શરદીમાં ગોળમાં સૂંઠ મેળવી ખાવી જોઈએ. પાંડુરોગ, ચામડીના રોગ, લોહી બગાડના રોગમાં ખાંડ કરતાં ગોળ ખૂબ સારો. સોજામાં, ચાંદાંને ફોડવામાં, ઝામરની ટાઢક કરવા ગોળનો લેપ કરવો. કાંટો પગમાં તૂટી જાય તો ગોળનો પાટો બાંધવો.

લીંબુમાં ગુણ છે પૂરા વીસ

લીંબુમાં ગુણ છે પૂરા વીસ
પરિચય :
લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. આમલી અને લીંબુની તુલના આ રીતે કરવામાં આવી છે : આમલીમાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ,
લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ,
આવા ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્‍વનું સ્‍થાન આપવું જરૂરી છે.
મોસંબી, સંતરાં, ચકોતરાં, પપનસ, બિજોરાં વગેરે લીંબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.
ગુણધર્મ :
લીંબુ ખાટું, ઉષ્‍ણ, પાચન, દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકર, તીખું અને તૂરું છે. એ કફ, ઉધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજિયાત, કોલેરા, ગુલ્‍મ અને આમવાતને દૂર કરનાર, કૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ઘ રહેવાથી તંદુરસ્‍તી જળવાય છે. લીંબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.
(૧) લીંબુના રસમાં સિંધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
(૨) એક ગ્‍લાસ નવશેકા પાણીમાં અર્ધું લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકૃત(લીવર)ની તકલીફ મટે છે.
(૩) લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
(૪) એક ચમચી લીંબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.
(૫) એક લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.
(૬) એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
(૭) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે.
(૮) લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
(૯) એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો હુમલો બેસી જાય છે.
(૧૦) એક ગ્‍લાસ ઠંડા પાણીમાં એક લીંબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.
(૧૧) દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લીંબુવાળું પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.
(૧૨) લીંબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ચટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે અને દુખાવો મટે છે.
(૧૩) લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્‍કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.
(૧૪) લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે; તેમજ તે સુંવાળા તથા ચમકદાર બને છે, તે ઉપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.
(૧૫) ચેહરાની કાંતિ વધારવા માટે : લીંબુ નીચોવી લીધા પછી છાલ ફેંકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.
(૧૬) મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્‍લાસ સામાન્‍ય ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.


સ્‍વાસ્‍થ્‍ય આપનાર લીંબુ


લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્‍વાસ્‍થ્‍ય અને સૌંદર્ય માટે લાભપ્રદ છે.
લીંબુના ગુણ-
લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્‍યક્તિ કરી શકે છે. રોગી અને નિરોગી વ્‍યક્તિ બંને લીંબુનો ઉપયોગ કરી શકે છે. અરુચિ દૂર કરીને તેમજ રુચિ વધારનાર છે. લીંબુના સેવનથી પેટ તથા રક્ત સંબંધી વિકારો દૂર થાય છે.




ગરમીમાં :-
ઉનાળાની ઋતુમાં લીંબુનો પ્રયોગ લાભપ્રદ છે. મિશ્રી (સાકર)માં લીંબુ નીચોવીને પીવાથી લૂ શીઘ્ર દૂર થાય છે. ગરમીમાં ભોજન ન પચવાથી ઝાડા થઈ જાય ત્‍યારે લીંબુના રસમાં ડુંગળી તથા ફુદીનાના રસનું મિશ્રણ કરીને લેવાથી રાહત મળે છે.
મલેરિયા :-
વાસણમાં એક કિલો પાણી લઈને તેમાં લીંબુને પકાવો. જ્યારે પાણી અડધું રહી જાય, તે સામાન્‍ય ગરમ હોય તેવું દર્દીને પીવડાવો. ત્‍યારબાદ ધાબળો અથવા રજાઈ ઓઢાડી દેવી. તેના કારણે મૂત્ર અથવા પરસેવા દ્વારા તાવની ગરમી બહાર નીકળી જાય છે.
મોતિયો :-
જે વ્‍યક્તિને મોતિયો આવવાની શરૂઆત જ હોય તેમણે લીંબુનાં રસને ફલાનીન નામના કપડાંથી ગાળી લઈને, સવાર-સાંજ નિયમિત આંખોમાં ૩-૪ ટીપાં નાંખવાથી રાહત થાય છે.
ઊલટી :-
એક ગ્‍લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ તથા મધ લેવાથી ઊલટી બંધ થાય છે.
તાવ :-
બે લીંબુના રસની બરાબર માત્રામાં એક રતી મરી અને મીઠું બે રતી મેળવીને રાત્રે લઈને સૂઈ જવાથી સવાર સુધીમાં તાવ ઓછો થઈ જશે.
પાયોરિયા :-
દાંતમાંથી પસ અથવા લોહી નીકળતું હોય. દુર્ગંધ આવતી હોય તથા દાંત કમજોર હોય તેમણે લીંબુના રસ વડે દાંત પર માલિશ કરવાથી દાંત સ્‍વચ્‍છ, તંદુરસ્‍ત બને છે.
હરસ-મસા :- રાત્રે એક લીંબુની છાલને થોડાં ઠંડા પાણીમાં પલાળી રાખો અને સવારે પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
મોંના ચાંદા :-
લીંબુના રસનાં કોગળા કરવાથી રાહત મળે છે.
લીંબુમાં ત્‍વચાને શુદ્ધ કરવાનો વિશેષ ગુણ છે.તે દરેક ફોલ્‍લીઓ, દાદર, ખરજવું વગેરે પર લગાડવાથી રાહત મળે છે.

સાંધાની તકલીફમાં ઉપયોગી લસણ

સાંધાની તકલીફમાં ઉપયોગી લસણ
(૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં.
(૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં.
(૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો.
(૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો.
(૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્‍તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, લસણ સાથે વાટી, તેની નાની નાની ગોળીઓ બનાવી સૂકવી લેવી. તેમાંથી બે-બે ગોળી સવારે અને રાતે પાણી સાથે ગળવી.
(૬) શરીરની ગરમીથી અંગ ઉપર લાલ લાલ ચાઠાં પડ્યાં હોય તો તેના ઉપર તથા દાદર ઉપર-લસણ વાટી તેનો રસ ચોપડવો.
(૭) આમવાત ઉપર : લસણની પાંચ-છ કળીઓ ઘીમાં શેકીને પ્રથમ ગ્રાસ તેનો ખાઇ પછી જમવું.
(૮) અપસ્‍માર અને અર્દિતવાયુ (મોઢું વાંકું થવાની તકલીફ) ઉપર : લસણ વાટી તલના તેલ સાથે ખાવું.
(૯) ઉદરરોગ ઉપર : છોલીને સાફ કરેલું લસણ એક રાત છાશમાં પલાળી રાખવું, આ લસણ એક ભાગ, તેનાથી અર્ધો ભાગ સિંધવ અને ચોથો ભાગ શેકેલી હિંગ એકત્ર કરી સર્વેનું જેટલું વજન થાય તેટલો વજનનો આદુનો રસ લઇ બધું એકસાથે વાટી લેવું. તેની નાની નાની ગોળીઓ બનાવી દરરોજ બે-બે ગોળી છાશ સાથે દિવસમાં બે વખત લેવી.
(૧૦) વિષમજવર અને વાત વ્‍યાધિ ઉપર : લસણના કલ્‍કમાં તલનું તેલ અને જરા સિંધવ નાખી તેનું દરરોજ સવારે પ્રાશન કરવું. આથી સર્વાંગ વાત વ્‍યાધિ મટે છે.
(૧૧) લોહીના ઊંચા દબાણ ઉપર : દરરોજ સવારે લસણની બે કે ત્રણ કળી સારી પેઠે લસોટીને થોડા દૂધ સાથે મેળવીને તે દૂધ પીવું. બીજું કાંઇ પણ ખાવુંપીવું નહિં. થોડા દિવસમાં લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે. લસણ, ફુદીનો, જીરું, ધાણા, મરી અને સિંધવની ચટણી ખાવાથી પણ લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે.
(૧૨) ગાંઠ, ગૂમડાં અને બાંબલાઇ પાકીને ફૂટે તે માટે લસણ અને મરી વાટી, લેપ જેવું બનાવીને ચોપડવું.
(૧૩) દાદર ઉપર લસણની કળીઓ વાટીને લગાડવી.
(૧૪) ખરજવા ઉપર : લસણની કળીઓ વાટીને બનાવેલી લૂગદી બાંધવી.
(૧૫) મૂર્છારોગ અને હિસ્‍ટીરીયા માટે લસણ વાટીને સૂંઘવું.
(૧૬) હડકાયું કૂતરું કરડે તેના ઉપર લસણ વાટીને ચોપડવું તથા જમવામાં પણ લસણનો ઉપયોગ કરવો.
(૧૭) સર્વાંગ વાતરોગ માટે એક પ્રયોગ – લસણની ચાર કળીઓ લઇ તેને રોજ રાતે અર્ધા ગ્‍લાસ પાણીમાં ભીંજાવી રાખવી. બીજા દિવસે સવારે તેને વાટી તે જ પાણી સાથે પી જવું. અર્ધો કલાક બીજું કાંઇ લેવું નહિ. આવી રીતે એક અઠવાડીયું કરવું. બીજા અઠવાડીયે છ કળીનો પ્રયોગ કરવો. ત્રીજા અઠવાડીયે આઠ કળીનો પ્રયોગ કરવો. ત્‍યારપછી એક અઠવાડીયું આ પ્રયોગ બંધ રાખવો. ત્‍યારપછી ફરીને આ જ પ્રયોગ કરવો. એ જ રીતે ત્રણ વખત આ પ્રયોગથી વાતરોગથી છુટકારો મળે છે.

સુગંધી અને પાચક ઔષધી ફૂદીનો

સુગંધી અને પાચક ઔષધી ફૂદીનો
પરિચય :
ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્‍યાં દરેક જગ્‍યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્‍ય તુલસીને આપવામાં આવ્‍યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્‍ય કદાચ ફુદીનાને આપી શકાય.
ગુણધર્મ :
ફુદીનો સ્‍વાદુ, રુચિકર, હ્રદ્ય, ઉષ્‍ણ, દીપન, વાત-કફનાશક તથા વધુ પડતા મળમૂત્રને નોર્મલ કરનાર છે. તે અજીર્ણ, અતિસાર અને ખાંસીને મટાડે છે. તે જઠરાગ્નિ-પ્રદીપક, સંગ્રહણીને મટાડનાર, જીર્ણજવર દૂર કરનાર અને કૃમિનાશક છે. તે ઊલટી અને મોળને અટકાવે છે. થોડા પ્રમાણમાં તે પિત્તનાશક પણ છે. તે પાચનશકિત વધારે છે અને ભૂખ લગાડે છે.
ઉપયોગ :
(૧) ભૂખ લગાડવા માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો (આશરે અર્ધો કપ) પીવો.
(૨) રોંજિદા તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દરરોજ દિવસમાં બે વખત સવારે અને રાતે પીવો.
(૩) ટાઢ વાઇને આવતા શીતજવરમાં પણ ફુદીનો અને તુલસીનો ઉકાળો થોડા દિવસ પીવો. (૪) ફુદીનાનો તાજો રસ મધ મેળવી દર બે કલાકે આપતા રહેવાથી ગમે તેવો તાવ અંકુશમાં આવી જાય છે.
(૫) અપાચન, અજીર્ણ અને ઊલટી જેવી પાચનતંત્રની ફરિયાદમાં ફુદિનાનો તાજો રસ ફાયદો કરે છે.
(૬) પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી સિંધવ નાખીને દિવસમાં બે વખત પીવો.
(૭) શરદી, સળેખમ અને પીનસ (નાકમાં થતો સડો)માં ફુદીનાના રસનાં બે-ત્રણ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત નાકમાં નાખવાં.

કડવાં કારેલાંના મીઠા ગુણ

કડવાં કારેલાંના મીઠા ગુણ
- કારેલાંનાં પાંદડાંનો રસ કાઢી ગરમ પાણીની સાથે પીવાથી પેટમાં રહેલ કૃમિનો નાશ થાય છે.
- ઘણા બધા લોકો કારેલાનું નામ સાંભળીને મોઢું બગાડી નાખે છે પછી ખાવાની વાત તો કરવી જ ક્યાં, કારેલાં કડવા હોવાથી લોકો તેનું શાક ખાતા નથી, પરંતુ કારેલાં શરીર માટે લાભદાયક હોય છે. જેવી રીતે આપણને સ્વસ્થ રહેવા માટે ખાટા, મીઠા, તીખા વગેરે રસ જરૂરી છે તેમ કડવો રસ પણ શરીર માટે જરૂરી છે. કારેલાં ખાવાથી વાત, પિત્ત, વિકાર, પાંડુ, મધુપ્રમેહ અને કૃમિનાશક હોય છે. મોટા કારેલાં ખાવાથી પીળિયો, મધુપ્રમેહ અને આફરો ચડતો હોય તો રાહત મળે છે. મોટા કારેલાંની તુલનામાં નાના કારેલાં વધારે ગુણકારી હોય છે. તેમાં લોહ, ફોસ્ફરસ તથા થોડી માત્રામાં વિટામીન સી પણ હોય છે. નાના કારેલાંમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોય છે.
કારેલાંના કેટલાક ઉપયોગ નીચે પ્રમાણે છે.
- ૫૦ ગ્રામ કારેલાંનો રસ દરરોરજ થોડાક દિવસો સુધી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહી વિકાર નાશ પામે છે.
- કારેલાનાં પાંદડાનો રસ કાઢી ગરમ પાણીની સાથે પીવાથી પેટમાં રહેલ કૃમિનો નાશ થાય છે.
- કારેલાંનાં પાંદડાના રસની પગના તળિયામાં માલિશ કરવાથી પગની બળતરા મટે છે.
- કારેલાંનો એક કપ રસ પીવાથી કબજીયાત મટે છે.
- ૫૦ ગ્રામ કારેલાંનાં પાનના રસમાં થોડી હીંગ ભેળવી પીવાથી પેશાબ ખૂલીને આવે છે અને મૂત્રઘાત દૂર થઈ જાય છે.
- કારેલાંનું શાક ખાવાથી અને તેનો રસ થોડા દિવસો સતત પીવાથી મૂત્રાશયની પથરી તૂટી જાય છે અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

અતિ ઠંડા અને દુષતિ પદાર્થોથી થતો ગળાનો સોજો

અતિ ઠંડા અને દુષતિ પદાર્થોથી થતો ગળાનો સોજો
મનુષ્‍યના શરીરમાં આવેલ અંગોમાં ગળુ મહત્વનું અંગ છે. ખોરાક અને શ્વાસોચ્છવાસ ગળામાં થઈ આગળ વધે છે. આ ગળમાં નાની મોટી વિકૃતિ થવાથી જીવન આકરું બને છે. મુખ અને નાકનો પાછળનો ભાગ ગળામાં ખુલે છે. બહાર આપણે જેને ડોક તરીકે ઓળખીએ છીએ. એના અંદરના ભાગને ગળુ – ગલ (...) કહેવાય છે. સંસ્કૃતમાં ગલ – ગ્રસનિકા કહે છે. આ ગળાની લંબાઈ આશરે ચારથી પાંચ ઇંચ હોય છે. ટુંકી ગરદનવાળા વિશેષ પ્રકારના લોકોમાં લંબાઈ થોડી ઓછી હોઈ શકે છે. પહોળાઈ એકથી દોઢ ઇંચ હોય છે. આ ગળું માંસપેશીઓનું બનેલ છે. ગળાના ઉપરના ભાગમાં મુખનો પાછળનો ભાગ, નાકના પાછલા ભાગના છિદ્રો, બન્ને કાનના છિદ્રો આવેલા છે. ગળાની નીચેના ભાગ સાથે અન્નનલિકા અને શ્વાસનલિકા જોડાયેલા છે.
નાક કે મુખ મારફત લેવાયેલ હવા ગળામાં થઈ સ્વરયંત્ર (...) માં જાય? છે. ત્યાંથી ફેફસામાં જાય છે. જ્યારે આપણે બોલીએ છીએ કે ગાઈએ છીએ ત્યારે ગળાનો ભાગ અવાજ મોટો કરે છે. આપણે જે ખોરાક લઇએ છીએ એ ગળાની મદદથી અન્નનલિકામાં થઈ ઉદરમાં આવેલ પાચનતંત્રમાં જાય છે. જીવનના અસ્તિત્વ માટે અતિ મહત્વના બે કર્મો માટેની શરૂઆતમાં ગળું મહત્વનું અંગ ગણાય છે. એટલે ગળુ નીરોગી રહે એ માટે આપણે પુરતી કાળજી લેવી જોઈએ. ગરમ ગરમ ખોરાકથી, તીખા તમતમતા ખોરાકથી, ગંદી હવાથી, દુષતિ હવાથી, દારૂ જેવા ઉગ્ર પીણાઓથી, તમાકુ અને ચુના જેવા વિષજ પદાર્થો ચાવવાથી, ધુમ્રપાન કરવાથી, ગળામાં અનેક પ્રકારના રોગો અને સોજો થાય છે. ભેળસેળવાળો ખોરાક પણ મહત્વનું કારણ છે.
બાળકોમાં ગ્રસિકા ગ્રંથિ વધે છે જેને પરિણામે કાન સાથે સંબંધ રાખનાર નળીનું છિદ્ર પુરાય છે. સોજો આવે છે. પરીણામે કોઈ બાળક ઓછું સાંભળે છે કે બહેરુ થાય છે.
કાયમી શરદીવાળું બાળક નાકથી બરોબર શ્વાસ લઈ શકતું નથી. જેથી મોં વાટે શ્વાસ લે છે. જેને લીધે દુષતિ પદાર્થો વધારે પ્રમાણમાં ગળામાં પેસે છે. આ ઉપરાંત વારંવાર મોંએથી શ્વાસ લેવાની આદત પડવાથી ઉપલા જડબાનો આકાર થોડો ફરે છે. શ્વાસ લેવામાં કષ્‍ટ થતું હોઈ છાતીના આકારમાં પણ થોડો ફેર પડે છે. કાકડા વધે છે. કાયમી શરદીવાળા બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેથી કોઈ પણ રોગનો ભોગ જલ્દી બની શકે છે. શ્વાસ લેવામાં નાકનો ઉપયોગ થાય નહીં તો નાકની નમણાશનો નાશ થઈ શકે છે. એટલે શરદીવાળા બાળક તરીકે પુરતું ધ્યાન આપી, આહાર અને ઔષધની ગોઠવણ કરવી, આળસ કરવી નહીં, બાળકને રસી અપાવ્યા પછી પણ કોઈક બાળકને કંઠરોહિણી – (...) નામનો ભયંકર રોગ થાય છે. બાળકને તાવ આવે, શરદી, કફ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, પાણી પણ પીવામાં તકલીફ પડે કે અટકે તો નિષ્‍ણાંતની તરત જ સલાહ લેવી. આયુર્વેદમાં ગળામાં થતાં ૧૮ પ્રકારના રોગો બતાવ્યા છે. એમાં થોડા અતિ ગંભીર છે. ગળામાં થતો એક રોગ જેને સંસ્કૃતમાં ગલશોથ (.....) કહે છે. આ રોગ વિશેષ જોવા મળે છે. અતિ ગરમ, ઉષ્‍ણ ખોરાક લેવાની આદતથી, અતિ ઉષ્‍ણ દવાઓ ખાવાથી, કબજીયાતથી, સુક્ષ્‍મ જંતુવાળી, જુની શરદીથી, કાકડાના રોગથી, પેઢાના દાંતના રોગથી ગળામાં સોજો આવે છે. જેને ગલશોથ કહે છે.
કાકડા, દાંત, પેઢા અને નાકમાં કોઈપણ રોગ હોય તો એની સાથે ઇલાજ કરવાથી રોગ મટાડવામાં સરળતા રહે છે.
રોગની શરૂઆતમાં ૧ થી ૩ ઉપવાસ કરવા. ઉપવાસ દરમ્યાન મગનું પાણી અને ફળોનો જ્યુસ પ્રમાણસર લઈ શકાય. ઉપવાસ દરમ્યાન આરામ કરવો. ઉપવાસ થઈ શકે તેમ ના હોય તો હલકો પ્રવાહી ખોરાક લેવો. હળદર અને થોડું મીઠું પાણીમાં નાંખી ઉકાળી સાધારણ ગરમ હોય ત્યારે એના કોગળા કરવા. દિવસમાં જરૂર મુજબ એક થી ત્રણ વખત કોગળા કરવા અથવા પંચવલ્કલના ચુર્ણને પાણીમાં ઉકાળી, ગાળી, બે ત્રણ વખત કોગળા કરવા, કબજીયાત હોય તો ત્રિફળામાં જેઠીમધ ચુર્ણ મેળવી રાત્રે સુતી વખતે નિયમિત લેવું. જસતભસ્મ ૧/૨ રતિ, પ્રવાલપિષ્‍ટી ૧ રતિ, કાયફળ ચુર્ણ ૪ રતિ, યષ્ટિમધુ ચુર્ણ ૨ રતિ મેળવી મધ અને ઘી સાથે બે થી ત્રણ વખત લેવું.

ખાંસી–ઉધરસની રામબાણ વનસ્પતિ – અરડૂસી

ખાંસી–ઉધરસની રામબાણ વનસ્પતિ – અરડૂસી
પરિચય :
ગુજરાતમાં સર્વત્ર થતી અરડૂસી (વાસા, અડૂસા) આપણે ત્યાં ખાંસી, ઉધરસ, શ્વાસની દવા તરીકે ખાસ જાણીતી છે. તેનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ – બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.
ગુણધર્મો :
અરડૂસીના પાન ખાસ દવારૂપે વપરાય છે. પાનનો સ્વાદ તીખો અને કડવો હોય છે. તે ખાસ કરી વાયુકારક અને કફ તથા પિત્તદોષનાશક, રક્તસ્તંભક સારક, શીતવીર્ય, હળવી, કંઠ માટે સારી અને હ્રદય માટે સારી છે. તે કફ, રક્તપિત્ત (રક્તસ્ત્રાવ),ખાંસી, તાવ, ઊલટી, પ્રમેહ, કોઢ, કમળો, શીળસ, અરૂચિ, તરસ, સોજા, દાહ અને ક્ષય જેવા ભયંકર રોગને મટાડે છે. અરડૂસીને ‘ભિષકમાતા‘ (વૈદ્યોની માતા) કહી છે, કારણ કે તે વૈદ્યોને યશ અને ધન અપાવે છે. ખાંસી-શરદીની મોટા ભાગના પેટન્ટ દવામાં અરડૂસી ખાસ વપરાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અરડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો. અથવા અરડૂસીનાં પાન બાફી પુટપાકવિધિથી રસ કાઢી, મધ મેળવી પીવો.
(૨) રક્તપિત્ત : શરીરના કોઈ પણ કુદરતી છિદ્ર માર્ગેથી લોહી પડતું અટકાવવા માટે અથવા કમળા કે કફ- પિત્તના તાવ માટે અરડૂસીનાં પાન તથા ફૂલોનો રસ કાઢી તેમાં સાકર તથા મધ નાંખી પીવું.
(૩) શીઘ્ર-સુખ પ્રસવ માટે : અરડૂસીના મૂળ રવિવારે શુભ સમયે લાવી, ધોઈ લો. પછી તેને પ્રસવતત્પર સ્ત્રીની કમરે બાંધો. મૂળને પાણીમાં ઘસીને પેઢુના ભાગે લેપ પણ કરવો.
(૪) ગરમીનો સૂકો દમ (શ્વાસ) : અરડૂસીના પાનના રસમાં ત્રીફળા ચૂર્ણ ૫ ગ્રામ તથા તાજું માખણ નાંખી રોજ પીવાથી ખૂબ લાભ થશે.
(૫) કફજ્વર (શરદીનો તાવ) :અરડૂસી, મોથ, ઘમાસો, સૂંઠ, ભારંગમૂળ – એટલી ચીજોનો ભૂકો કરી, ઉકાળો બનાવી તેમાં મધ અને સિંધવ નાંખી, સવાર-સાંજ દેવું.
(૬) લોહીના ઝાડા, હરસ-મસા, રક્તપ્રદર (લોહીવા) તથા લોહીની ઊલટીમાં અરડૂસીના પાનના તાજા રસમાં સાકર તથા ઘી ૧-૧ ચમચી ઉમેરી રોજ સવાર-સાંજ પીવું. તેથી દરેક રક્તસ્ત્રાવ મટે છે.
(૭) દમ-શ્વાસ (કફદોષનો) : અરડૂસીનાં પાન, હળદર, ધાણા, ગળો, ભારંગ મૂળ, લીંડીપીપર, સૂંઠ અને ભોરિંગણી – સમાન ભાગે લઈ બોરકૂટ ભૂકો કરી, તેનો ઉકાળો કરી સવાર-સાંજ બે વાર, તેમાં ૧ ગ્રામ મરી ભૂકો નાંખી પીવો.
(૮) વાતરક્ત (ગાઉટ – સાંધામાં થતી ગાંઠોનું દર્દ) : અરડૂસી, ગળો અને એરંડાનાં મૂળનો ઉકાળો કરી, તેમાં ૧-૨ ચમચી દિવેલ મેળવી રોજ પીવાથી દર્દ મટે.
(૯) ક્ષય (ટી.બી.): અરડૂસીના પાનના રસમાં મધ કે સાકર મેળવી રોજ કાયમ પીવાથી નવી-જૂની ઉધરસ, કફ તથા ક્ષય રોગનો નાશ થાય છે. અરડૂસી ફેફસું નવા જેવું બનાવે.

આંખના ચશ્મા (નંબર) તથા રક્તદોષનાશક – ડોડી (ખરખોડી)

આંખના ચશ્મા (નંબર) તથા રક્તદોષનાશક – ડોડી (ખરખોડી)
પરિચય :
ચોમાસામાં ઝાડ-વાડ પર ચડનાર ‘ડોડી‘ (ખરખોડી, શિરકસિયો જીવંતી કે સૂડિયાનો વેલો) (જીવંતી, ડાંડીશાક)ના વેલા, અનેક ડાળીવાળા, શાખા શ્વેતાભ, મૃદુ રુંવાટીવાળી, આંગળીથી કાંડા જેવી જાડી, અનેક સ્થળે ફાટેલી હોય છે. તેના પાન ઈંડાકાર, અણિદાર, શ્વેતાભ્ર- સામસામે; ૧ થી ૪ ઈંચ લાંબા અને ૧-૨ ઈંચ પહોળા, ઉગ્ર ગંધના થાય છે. તેના પાનના મૂળમાંથી પીળાશ કે ભૂરાશ પડતા લીલા રંગના નાના ફુલ ગુચ્છામાં થાય છે. તેની ઉપર એક શ્રુંગાકારની, ૨ થી ૫ ઈંચ લાંબી, અર્ધા ઈંચ જાડી, ચીકણી, ફળી થાય છે. તેમાં અર્ધા ઈંચ લાંબા-સાંકડા આકડાના બી જેવા બી થાય છે. દવામાં મૂળ અને પાનનો ઉપયોગ વધુ થાય છે. તે આજકાલ આંખની દ્રષ્ટિશક્તિ વધારવા-નંબર ઉપરવા તથા ગર્ભપાત નિવારવા ખાસ વપરાય છે. તેના પાનની ભાજીને શાકમાં સર્વશ્રેષ્‍ઠ કહેલ છે. તેનું પાંદડું તોડતાં ડીંટામાંથી દૂધ નીકળે છે.
ગુણધર્મો :
ડોડી (ખરખોડી) મધુર, શીતળ, આંખને ખૂબ હિતકર, બળપ્રદ, પુષ્ટિકર્તા, શીતવીર્ય, સ્નિગ્ધ, વાત-પિત્તદોષ શામક, અનુલોમનકર, ગ્રાહી (સંકોચક) હ્રદયને હિતકારી, કફ બહાર કાઢનાર, મૂત્રલ, રસાયન, વૃષ્‍ય અને તાવ, રક્તપિત્ત, ગ્રહણી, ખાંસી હ્રદયની નબળાઈ, શુક્રમેહ, મૂત્રકૃચ્છ, મૂત્રદાહ, પરમિયો, ક્ષય, સોજો, ટી. બી., વ્રણ, રતાંધતા અને વારંવાર ગર્ભપાત થવાની સમસ્યા મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) તાવ અને દાહ : ડોડીના મૂળના ઉકાળામાં ઘી મેળવી પીવું. અથવા કાળી દ્રાક્ષ, ધાણા અને ડોડીમૂળનો ઉકાળો કરી પીવો.
(૨) રતાંધળાપણું : પાનની ઘીમાં બનાવેલી ભાજી રોજ ખાવી. કે પાનમાંથી બનેલ જીવંતી ઘનવટી નામની દવાની ગોળી રોજ લેવી.
(૩) ઝાડા : ડોડીના પાનની ભાજી બનાવી, તેમાં દહીં તથા દાડમનો રસ ઉમેરી ખાવી.
(૪) યોનિકંદ (ગાંઠ થવી) : ડોડીના મૂળ પાણીમાં વાટી, તેનો લેપ કરવો.
(૫) ધાતુ પુષ્ટિ માટે : ડોડીના પાન તથા અશ્વગંધાનું ચૂર્ણ મીઠા દૂધમાં રોજ લેવું કે રોજ ડોડીના પાનનો રસ પીવો.
(૬) રક્તસ્ત્રાવ-સ્વપ્‍નદોષ : ડોડીના પાન તથા શીમળાના મૂળ અથવા મોચરસનું ચૂર્ણ રોજ દૂધમાં સવાર-સાંજ લેવું.
(૭) પરમિયો (પૂયમેહ) : ડોડીના મૂળના ઉકાળામાં જીરાનું ચૂર્ણ ૨ ગ્રામ ઉમેરી સવાર-સાંજ પીવું. ઉપરથી દૂધ પીવું.
(૮) ગર્ભસ્થાપના માટે : જેમને વારંવાર ગર્ભપાત થતો હોય કે ગર્ભસ્ત્રાવ થતો હોય, તેમણે જીવન્‍તીનું મૂળ તથા પાનનું ઘનસત્વ અને જેઠીમધ અને શતાવરી ત્રણે સમભાગે લઈ, બનાવેલ ચૂર્ણ કે તેની ગોળી કાયમ દૂધ સાથે લેવી. ગરમ ખોરાક ન લેવો.

બુદ્ધિ, યાદશક્તિ અને મગજશક્તિવર્ધક – શંખપુષ્‍પી

બુદ્ધિ, યાદશક્તિ અને મગજશક્તિવર્ધક – શંખપુષ્‍પી
પરિચય :
ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં શંખાવલી (શંખપુષ્‍પી, શંખાહુલી) નામની મગજશક્તિવર્ધક વનસ્પતિનાં છોડ અનેક સ્થળે ખાસ કરી ચોમાસા પછી ઉગી નીકળેલ જોવા મળે છે. ઘણી જગ્યાએ તે બારે માસ જોવા મળે છે. તેના છોડ ૨ થી ૬ ઈંચ ઊંચા વધી જાય પછી તેની શાખાઓ જમીન પર પથરાય છે. કદીક આ શાખાઓ ૪ થી ૬ ફુટ લાંબી થાય છે. તેની ડાળીઓ પાતળી સુતળી જેવી અને પાન બહુ જ નાના અર્ધા થી દોઢ ઈંચ લાંબા અને પા થી અર્ધો ઈંચ પહોળા હોય છે. પાનની બંને સપાટી પર સુંવાળા ધોળા વાળની રૂંછાળ હોય છે. પાનના ટેરવા બુઠ્ઠા હોય છે. તેની પર સફેદ કે ઘેરા ગુલાબી રંગના રકાબી જેવાં ગોળ, ઘંટાકૃતિના અને સવારે ઉઘડતા ફૂલ થાય છે. તેની ત્રીજી જાત શ્યામ કે ભૂરી અથવા કાળા રંગના ફૂલોવાળી થાય છે. જેને વૈદ્યો નીલપુષ્‍પી કે લઘુ વિષ્‍ણુક્રાન્તા કહે છે.
ગુણધર્મો :
શંખાવલી કડવી, તૂરી, ઠંડી, વાયુ અને પિત્તશામક, મેઘાશક્તિવર્ધક, રસાયન, અવાજ સુધારનારી, વશીકરણ સિદ્ધ દેનારી, મળ-મૂત્ર સારક, પુષ્ટિ-વીર્ય વર્ધક, મનના રોગો મટાડનારી, યાદશક્તિ, વર્ણકાન્તિ, બળ અને જઠરાગ્નિવર્ધક અને ખાંસી, પિત્ત, વાયુ, વિષ, વાઈ (ફેફરું), કોઢ તથા કૃમિ મટાડનારી છે. શંખાવલી, મેઘાવર્ધક, આયુસ્થાપક, માંગલ્યપ્રદ અને સર્વ ઉપદ્રવનાશક તથા સો વર્ષ જીવાડનારી છે. ચિકિત્સાકાર્યમાં સફેદ પુષ્‍પોવાળી ઉત્તમ ગુણકારી છે, જે સૌરાષ્‍ટ્રમાં થાય છે. સફેદ પુષ્‍પની શંખાવલી વાયુ-પિત્તશામક છે. જ્યારે શ્યામ પુષ્‍પની (વિષ્‍ણુક્રાન્તા) કફ-વાતદોષ શામક છે. માનસિક દર્દોની તમામ દવાઓમાં શંખાવલી અવશ્ય વપરાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ગાંડપણ તથા વાઈ (ફેફરું) : શંખાવલીના ૨૫ ગ્રામ રસમાં કોઠાનું ૨ ગ્રામ ચૂર્ણ અને મધ ૧-૨ ચમચી નાંખી રોજ બે વાર પીવું.
(૨) કફ-વાયુની ઉલટી : શંખાવલીનો રસ કે તેનાં ચૂર્ણમાં જરીક મરી ચૂર્ણ નાંખી, મધ નાંખી વારંવાર પીવું.
(૩) ત્રિદોષથી થયેલ ઉદર રોગ : શંખાવલી રસમાં સિદ્ધ કરેલું ઘી રોજ પાવું.
(૪) મેઘા (શાસ્ત્રો સમજી શકવાની શક્તિ) અને બુદ્ધિ વધારવા માટે : શંખાવલીનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ મધમાં ચાટી ઉપરથી દુધ પીવું. બધી મેદ્ય દવાઓમાં શંખાવલી ઉત્તમ છે.
(૫) નસકોરી વાટે કે મુખથી લોહી પડવું : કાળા ફૂલની શંખાવલીનું ચૂર્ણ સાકર સાથે ખાઈ, ઉપરથી દૂધ પીવું. ખોરાક મીઠા-મરચા-રહિત સાત્વિક-સાદો રાખવો.
(૬) ગાંડપણ-ચિત્તભ્રમ, હિસ્ટીરીયા : શંખાવલીનો રસ કે તેનું ચૂર્ણ ૩ ગ્રામ, ઉપલેટ (કઠ)નું ચૂર્ણ ૨ ગ્રામ અને વજ ૧ ગ્રામ રોજ મધ સાથે સવાર-સાંજ લાંબો સમય લેવું.
(૭) યાદશક્તિ વધારવા : શંખાવલીના પાનનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ જેટલું સાકરવાળા દૂધમાં સવારે-રાતે ૫-૬ માસ લેવું. તેથી ખૂબ લાભ થશે.
(૮) પથારીમાં પેશાબ (શૈયામૂત્ર): જે બાળકો પથારીમાં પેશાબ કરી જતા હોય તેમને શંખાવલી ચૂર્ણ ૧૦૦ ગ્રામ, માલકાંગણીના બી ૨૫ ગ્રામ, વજ ૧૦ ગ્રામ અને અજમો ૧૫ ગ્રામનું ચૂર્ણ કરી, રોજ દૂધ કે મધ સાથે અથવા જૂના ગોળ સાથે ૨ થી ૫ ગ્રામ (ઉંમર મુજબ યોગ્ય ડોઝમાં) રોજ બે વાર આપવું.

1-આંખની પીડાના આયુર્વેદ ઉપચાર

1-આંખની પીડાના આયુર્વેદ ઉપચાર
ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે.
ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે તેથી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.
આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે.
આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્‍ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.
આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્‍યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.
હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્‍ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે.
પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.
કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.
આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.
સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.
આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
કોથમીરનો રસ કાઢી, ચોખ્‍ખા કપડાથી ગાળી, તેનાં બબ્‍બે ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્‍માંના નંબર ઊતરે છે.
મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.
નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્‍માનાં નંબર ઘટે છે.
અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
સાકર પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે. આંખ સ્‍વચ્‍છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે.
સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બન્‍નેનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્‍યારે કપડાંથી ગાળી, ટલીમાં ભરી લેવું, એ પાણીનાં બબ્‍બે ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્‍થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.
જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.
આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે.
દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.
તંદુરસ્‍ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.
મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.


2- દાંતની-પીડા
હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે.
તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.
લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે.
ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.
તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
સફરજનના રસ સોડા સાથે મેળવી દાંત ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંતની છારી મટે છે.
પાકાં ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં વારંવાર કરવાથી આરામ મળે છે.
કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુઃખાવો મટે છે.
કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે.
રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.
તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે.
પોલા થઈ ગયેલ અને કહોવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે.
દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.
દાઢ દુઃખતી હોય તો ઘાસતેલ અથવા સ્પિ‍રિટનું પૂમડું બનવી તેની ઉપર કપૂર ભભરાવી, દુઃખતી દાઢ ઉપર મૂકવું.
જાંબુના ઝાડની છાલ ધોઈ, સ્‍વચ્‍છ કરી, અધકચરી ખાંડી, શેર પાણીમાં નાખી ઉકાળવી, અડધો શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરી કોગળા કરવાથી દાંતનાં પેઢા મજબૂત થાય છે તથા પાયોરિયા મટે છે.
વડનું દૂધ વડના પત્તા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિશ કરવામાં આવે તો હાલતા દાંત પણ મજબૂત રીતે ચોટી જાય છે.
૧૦ ગ્રામ મરી અને ૨૦ ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયામાં ફાયદો થાય છે.
જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.


3 - તાવના આયુર્વેદ ઉપચાર
કોઈપણ જાતનો તાવ આવ્‍ય હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
લસણની કલી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
ફલૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જય છે.
તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ લેવાથી ફલૂનો તાવ મટે છે.
પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલૂનો તાવ-બેચેની મટે છે.
૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલૂનો તાવ મટે છે.
એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.
ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે.
ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્‍યુમોનિયાનો તાવ મટે છે.
તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.
મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્‍યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં, પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે.
ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.
એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.
તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ પા ચમચી મધમાં લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે.
વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે.
શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.
સંનેપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્‍યારે ગરમી લાવવા માટે રાઈના તેલનું માલિશ કરવાથી આરામ થાય છે.
ફલૂના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફલૂનો તાવ ઉતરે છે.
આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.


4 - કમળાના આયુર્વેદ ઉપચારો
શેરડીને ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખારો મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.
ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની ઊણપ દૂર થાય છે.
મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
મધમાં પાકાં કેળા ખાવાથી કમળો મટે છે.
આદુનો રસ તથા ગોળ ખાવાથી કમળો મટે છે.
સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
સફેદ કાંદા, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટી શકે છે.
હળદરનું ચૂર્ણ એક તોલો, ચાર તોલા જેટલાં દહીંમાં લેવાથી કમળો મટી શકે છે.
હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખીને સવાર-સાંજ પીવાથી અઠવાડિયામાં કમળો મટી જાય છે.
કળિયાતુ બે ચમચી તેમજ સાકર દોઢ ચમચી ફાંકવાથી કમળો મટે છે.
કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળાચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભૂખ લાગશે.
અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.
લીમડાના પાનનો રસ તથા મધ સવારમાં નરણા કોઠે પીવાથી પણ કમળો મટે છે.
હિંગને પાણીમાં ઘસીને આંખમાં આંજવાથી કમળો મટે છે.

5 - અનિદ્રા – ઊંઘ ન આવવી
સૂતાં પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ માથામાં તેલ નાખવાથી ઊંઘ આવે છે.
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે.
ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
કુમળા રીંગણને શેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે.
ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્‍થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્‍યારે ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળી પીવાથી ઊંઘ આવે છે.
રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.

6 --અંગ જકડાઈ જાય છે ?
•પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી, માલિશ કરવાથી આરામ થાય છે.
•સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.
•તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરીર જકડાઈ જવું, લકવો વગેરે મટે છે.
•ધંતુરાનાં પાનનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો, આ તેલનું માલિક કરવાથી શરીરનાં જકડાઈ ગયેલા અંગો છૂટાં પડી તકલીફ મટે છે.
•બે નાળિયેરનું કોપરું કાઢીને, તેના નાના ટુકડા કરી, ખાંડી નાખવું, ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું, તેલ છૂટું પડશે, ને તેલ ઠર્યા પછી કપડામાં નિચોવીને ગાળી લેવું. બે નાળિયેરના નીકળેલાં તેલમાં ત્રણથી ચાર મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતીનો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.
•વાયુ કે કફદોષથી કમરનો દુઃખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી, ઉકાળો કરી, તેમાં કપડું બોળી, દર્દવાળા ભાગ પર ગરમ પોતાં મૂકવાથી આરામ મળે છે.

7 - આંખ માટે આટલુ કરો...
આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.
ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.
રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્‍મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.
આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.
આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્‍તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.
બિનજરૂરી શોખનાં ચશ્‍માથી પણ આંખો બગડે છે.
ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્‍યારે ગોગલ્‍સ પહેરવા.
લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.
નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.
વાંચતા લખતા આંખ થાકી જાય ત્‍યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.
આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.
સૂર્યગ્રહણ સામે જોવાથી ક્યારેક કાયમી દ્રષ્ટિ જતી રહે છે.
આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.
હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.
આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્‍ય ફરિયાદ હોય ત્‍યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્‍યાન આપો.
લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.

8 - સારા સ્‍વાસ્‍થ્‍યની નિશાની -ગાઢ ઉંધ
કેટલીકવાર નાની નાના બાબતો તરફ આપણે ધ્‍યાન આપતા નથી. તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો. તમાર સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો. રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે.
સામાન્‍ય સ્થિતિમાં જયારે શરીર થાકી જાય છે. ત્‍યારે તેની શકિતઓ શિથિલ બની જાય છે. માંસપેશીઓનાં તંતુ તૂટી જાય છે. નાડીના ધબકારા ધીમા થઈ જાય છે. બ્‍લડ પ્રેશર લો થઈ જાય છે શરીરનું તાપમાન પણ નીચે ઉતરી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ઉભા રહેવાની તાકાત રહેતી નથી. શરીર કામ કરવા લાયક રહેતું નથી. તે જાતે જ પથારીમાં સૂઈ જાય છે. અને તેની આંખો બંધ થઈ જાય છે.
એ બધી સ્થિતિઓ ગાઢ, સારી ઉંધની છે. આ રીતની સ્‍વસ્‍થ ઉંઘને વૈજ્ઞાનિક ‘નેમસ્‍લીપ’કહે છે. તેનાથી વિરુધ્ધ “રૈમસ્‍લીપ” ઉંધની અસામાન્‍ય સ્થિતિ છે. જયારે માણસ પથાશીમાં તો પડ્યો છે. પરંતુ તેનું શરીર હલન – ચલન કરતું રહે છે તે પડખાં બદલતો રહે છે. ધીમા પ્રકાશ કે અવાજથી તે પરેશાન થઈ જાય છે. ઉઠીને બેસે છે.
વૈજ્ઞાનિકો માને છે કે વ્‍યકિત પથારીમાં પડતાં જ સૂઈ જાય છે. તે શારીરિક દ્રષ્ટિએ સારું છે. પરંતુ કેટલાયે લોકો એવા પણ હોય છે, જેમને ઘણા સમયથી પછી ઉંઘ આવે છે. પરંતુ જયારે ઉંઘ આવે છે. ત્‍યારે સારી આવી જાય છે. આવી ઉંઘ ચીંતાનો વિષય નથી. પરંતુ તે તો એક આદત છે.પરંતુ જો સૂવાના સમયે ઉંઘ ન આવે તો એ સ્થિતિ ખતરનાક થઈ શકે છે. તે સ્થિતિને અનિંદ્રા કહે છે એ સ્થિતિ વિચારવા જેવી છે. યુવાન અવસ્‍થામાં અનિંદ્રામાં કારણો શોધવા, હ્રદયની પરેશાની, તાવ, માનસિક તનાવ, શારીરિક તકલીફ ચોટ, સારી કે ખરાબ ઉત્તેજના ચીંતા, ઊંચા લોહીનું દબાણ, નલોનું ગંઠાવું, ઈન્‍ફેકશન, કોઈપણ કારણ હોઈ શકે છે.ચિંતા તનાવ વગેરે માટે કોઈને પણ ખૂલ્‍લા દિલથી વાત કરવાનું લાભદાયક હોય છે. તેના માટે તમે તમારા પરિવારના તબીબોને પણ કહી શકો છો. અથવા મનોચિકિત્‍સકને તમારા મનની વાત કહી શકો છો. માનસિક ચીંતાઓ તો કોઈને કહેવાથી અડધી ચીંતાઓ દૂર થઈ જાય છે. અથવા સમસ્‍યાઓ ન હોય તો, અને ઉંઘ પણ ન આવતી હોય તો ૧૫- ૨૦ વખત આંટા મારવા ભલે તમે રૂમમાં આંટા મારો. તાજી હવા વધારે લાભદાયક હોય છે પગ, હાથ મોં અને ગરદનને હુંફાળા પાણીથી ધોવો. પગમાં હળવે હાથે મસાજ કરવો વાળ ખૂલ્‍લા કરીને માથામાં આંગળીઓથી ઘસવું. લોહીનો પ્રવાહ સારી રીતે પ્રવાહિત થવાથી મગજ અને હ્રદયને તાજુ રાખશો ઉંઘ આવવા માંડશે. એ વિચારો કે તમે કોઈ ખાવા-પીવાની ઈચ્‍છાને તો દબાવી રાખી નથી ને ! તમને ભૂખ તો નથી લાગીને ! અગર એવું હોય તો ગરમ દૂધ અથવા કોફીની સાથે હલકો એવો નાસ્‍તો ખાઈ લ્‍યો. તેનાથી મન શાંત થશે. ખાવાની ઈચ્‍છા ન હોય તો કોઈ ચોપડી વાંચો ઉંઘ જરૂર આવશે-

9 - બાળકની-સંભાળ
બાળકને ઊલ્‍ટી થતી હોય તો ફૂદીનો ઉકાળીને પાવો જોઈએ.
બાળકના વસ્‍ત્ર ઘણાં સ્‍વચ્‍છ રાખવાં જોઈએ.
બાળકને શૂરવીર બનાવવો હોય તો તેને જન્‍મથી દસ વર્ષ સુધી બિલકુલ મારવું કે બીવરાવવું ન જોઈએ.
બાળક સત્‍વગુણી થાય તે માટે તેની માતાએ પાંચ વરસ સુધી સત્‍વગુણી પદાર્થો ખાવા જોઈએ.
બાળકના નખ વધવા દેવા ન જોઈએ.
બાળકને વાયુ વર્તાય તો વાવડીંગ અને કમી વર્તાય તો કાંચકાના ગોળા અને ઈંન્‍દ્રજવ અપાય. પવન કહે તો સંચળ અને હરડે અપાય. ઝાડા થાય તો આંબાની ગોટલી, જાંબુનો ઠળિયો અને ઈંન્‍દ્રજવ અને મરડો જણાય તો હીમેજ, સાકર અને કડાછાલનો ઘસારો પાવો.
બાળકને એક જ રીતે ઘણી વાર સુધી બેસાડી રાખવું નહીં અથવા એક જ પડખે ઘણીવાર સુધી સુવડાવવું નહીં. બચ્‍ચાને લેતી વખતે આંચકો લાગે નહીં તેનું ધ્‍યાન રાખવું.
બાળક ચાલવાની પહેલવહેલી તજવીજ કરે ત્‍યારે તેના ઉપર ધ્‍યાન રાખો. તે પડી જતું હોય તો હાથથી અટકાવો પણ બૂમબરાડા પડી તેને બીવડાવશો નહીં.
બાળક જો ચાલતાં પડી જાય અને તેને વાગે તો મોઢેથી અતિશય દિલગીરી દેખાડવી નહીં પણ મૂંગા મોઢે તેનો ઈલાજ કરવો અને તેને સમજાવવું કે ‘તેં આમ કર્યું તો તને વાગ્‍યું.
બાળકને ચાલતાં શીખવવા માટે ચાલણગાડી અથવા તેવી કોઈ ચીજ વાપરવી નહીં. તે પોતાની મેળે જ ચાલતા શીખે તેમ કરવું જોઈએ. બાળકને એક હાથ પકડી ખેંચવું નહીં તેમ જ બાવડાં ઝાલીને અદ્ધર ઉંચકવું કે ઉછાળવું નહીં.
બાળક એકલું ચાલતું હોય ત્‍યારે તે થાકી જાય ત્‍યાં સુધી તેને ચાલવા દેવું. માતાએ ઘરમાં તેમજ બહાર પણ બાળકની ઉપર નજર રાખવી અને સાથે જ રહેવું.
બાળકને હઠ કરવાની ટેવ પડી હોય તો તે મૂકાવી દેવી. બાળક જે ચીજને વાસ્‍તે કજીયો કરે તે ચીજ તેને આપવી નહિ તેમજ માગે તે ચીજ તરત આપવી નહિ. જો બાળકની મરજી મુજબ વર્તીએ તો તે બગડી જાય છે.
બાળક જ્યારે રડે અને કાળો કજિયો કરવા માંડે ત્‍યારે માતાએ મૂંગા-મૂંગા પોતાનું કામ કર્યા કરવું. તેને છાનો રાખવા કાલાવાલા કરવામાં આવે તો તે વધારે કજીયા કરશે.
બાળકને કદી એમ ન કહેવું કે ‘તું રડતો બંધ થાય, મૂંગો રહે તો તેને ફલાણી ચીજ આપું.‘ આ પ્રમાણે કબૂલાત આપવાથી બાળક દરેક વાતમાં એમ કરવા માંડે છે.

10 - સ્‍તનપાન થી થતા ફાયદાઓ
માતાઓ માટે મહત્‍વની સલાહઃ
તમારા શિશુને માંદગી સામે સ્‍તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્‍ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્‍તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્‍તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્‍ય કોઈ પણ આરોગ્‍ય વ્‍યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્‍તનપાન કરાવ્‍યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્‍તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્‍ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્‍ઠ રસ્‍તો છે. ગર્ભાવસ્‍થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્‍તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે.
-યાદરાખો સ્‍તનપાન તમારા શિશુ માટે શ્રેષ્‍ઠ અને ખૂબ કિફાયતી આહાર છે.

- સલાહ લો તે યોગ્‍ય છે. જે આહાર શિશુઓ માટે નથી તેનો ઉપયોગ કરવાથી નુકશાન કરી શકે. બિનજરૂરી અંશતઃ બોટલ- ફીડીંગ અથવા અન્‍ય આહાર અને પીણાં, સ્‍તનપાન પર નકારાત્‍મક અસર કરી શકે. આથી સ્‍તનપાન સિવાય કોઈ પણ બીજો આહાર શરૂ કરતાં પહેલાં આરોગ્‍ય વ્‍યાવસાયિકની સલાહ લેવી આવશ્‍યક છે.
- માતાનાં દૂધનાં લક્ષણોઃ તમારી પ્રસૂતિ પછી તરત જ સ્‍તનોમાં આવતું દૂધ પીળું અને ચીકણું હોય છે. આ દુધને કોલોસ્‍ટ્રમ કહે છે જે પ્રસુતિ પછીના પ્રથમ સપ્‍તાહમાં આવતું હોય છે. કોલોસ્‍ટ્રમક ‘મેચ્‍યોર’ દુધ કરતાં વધારે પોષણરક્ષણ હોય છે કારણ કે એ વધારે પ્રોટીન, વધુ ચેપ- રોધક ગુણવતા ધરાવે છે જે શિશુના જન્‍મ પછી તરત લાગતા ચેપના જોખમ સામે રક્ષણ આપવા ખૂબ મહત્‍વ રહે છે.એમાં વિટામિન ‘એ’નું પ્રમાણ પણ ઉંચુ હોય છે.- તમારા શિશુને તમારે કોલોસ્‍ટ્રમ આપવું જ જોઈએ કારણ કે તેમાં ઘણાં પોષણ દ્રવ્‍યો છે.
- બાળકને ખાંડનું પાણી મધનું પાણી, માખણ કે અન્‍ય મિશ્રણો ના પીવડાવવા- સ્‍તનપાન સંપૂર્ણ અને સમતોલ આહાર છે અને શિશુને તેના જન્‍મના શરૂઆતના ગાળામાં જે પોષણની જરૂર હોય છે તે પુરાં પાડે છે.એમાં ચેપ- રોધક ગુણવતાઓ છે જે શિશુને આરંભિક મહિનાઓમાં થતા ચેપ સામે રક્ષણ આપે છે,જે હંમેશા ઉપલબ્‍ધ હોય છે અને તેના માટે વાસણ કે બોટલની જરૂર નથી પડતી(જેમાં જંતુઓ હોઈ શકે) કે એ તૈયાર કરવા બળતણની જરૂર નથી પડતી.
-સ્‍તનપાન શા માટે?
– શિશુને સ્‍તનપાન કરાવવું એ શિશુ આહાર દુધના વિકલ્‍પ આપવા કરતાં ખૂબ સસ્‍તું પડે છે કારણ કે માતા ને જે વધારાના આહારની જરૂર પડે છે તેનો ખર્ચ શિશુ – આહાર દુધના ખર્ચ કરતાં ઓછો હોય છે- જે માતાઓ સામાન્‍ય રીતે સ્‍તનપાન કરાવે છે તે બાળકને જન્‍મ આપ્‍યા પછી સ્‍તનપાન ન કરાવતી મહિલાઓની સરખામણીમાં લાબાં ગાળા સુધી નીચો ગર્ભધાન- દર ધરાવે છે- પ્રસૂતિ પછી તરત જ સ્‍તનપાન કરાવવાથી ગર્ભાશય સંકોચવામાં અને માતાને પોતાની દેહાકૃતિ ઝડપથી પાછી ધારણ કરવામાં મદદ મળે છે.
- સ્‍તનપાનનું વ્‍યવસ્‍થાપનઃ
પ્રસૂતિ પહેલાં તમારા ડોકટરને એ કહેવાનું ના ભુલશો કે તમે સ્‍તનપાન કરાવવા ઈચ્‍છો છો. - તમારૂં શિશુ જન્‍મ લે કે તરત જ તમારે સ્‍તનપાન કરાવવું જોઈએ- ડોકટરો એવું પસંદ કરે છે કે તમારૂં શિશુ અને તમે પ્રસૂતિ પછી તરત જ ભેગા રહો. એ રડે કે તરત જ સ્‍તનપાન કરાવો..


11 - જાણો સુધાબેનની હોમ ટિપ્‍સ
•જો તમને વધુ પસીનાની સમસ્‍યા સતાવતી હોય, તો
ચા-કોફીના બદલે પાણીમાં ગુલાબનાં પાંદડાંઉકાળી ઠંડા કરી તેને પીવાનું શરૂ કરો.
•ડાઈનિંગ ટેબલ પર માખીઓ આવતી અટકાવવા ભીના કપડા પર મીઠું છાંટી તેનાથી ડાઈનિંગ ટેબલ સાફ કરો.
•સ્‍લાઈડિંગ ડોર, વેન્ટિલેટર વગેરેની સફાઈ માટે વેક્યુમ ક્લીનર અને પેઈન્‍ટ બ્રશનો વપરાશ કરો.
•ટૂથબ્રશ પર આખા પર ક્યારેય પેસ્‍ટ ન લગાવો. ફક્ત પા ઈંચ ટૂથપેસ્‍ટની જ આવશ્‍યકતા હોય છે.
•ફેબ્રિક સોફ્ટનરના સ્‍થાને વસ્‍ત્રો ધોવા માટે વિનેગરનો વપરાશ કરો. વળી તે સાબુના આલ્‍કલીનીવસ્‍ત્રો પર થતી અસર દૂર કરશે.
•કલેન્ઝિંગ ક્રીમના સ્‍થાને બેબી ઑઈલ વાપરો, તમારું કામ અડધા ખર્ચમાં પૂરું થઈ જશે.
•તમારા પગમાં ચીરા પડ્યા હોય તો પગને હૂંફાળા પાણીમાં ડેટોલ નાખી બોળી રાખો.
•જો ગરમ ચા-કોફી પીવાથી જીભ દાઝી જાય તો તે સ્‍થાને સાકરના દાણા મૂકી દો, તેથી રૂઝ આવી જશે.
•હાથના નખ સફેદ કરવા હાથને લીંબુના જ્યુસમાં બોળી રાખો.
•દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો, તેથી દરવાજાના મિજાગરા અવાજ નહીં કરે, કાટ પણ નહીં લાગે. •તમારા બાળકનાં વસ્‍ત્રોમાં અંદરની તરફ એક નાનું ખિસ્‍સું રાખી તેમાં ફોન-કોલ કરવા માટે પૈસા એક કાગળ પર બધા નંબર લખી રાખો.
•તમારા બાળકને કડવી દવા ખવડાવતાં પહેલાં તેની જીભ પર બરફ ફેરવો. આથી તેની સ્‍વાદેન્દ્રિયો શિથિલ થઈ જશે.
•શું તમારા વાળ વધુ પડતા ખરી રહ્યા છે?વાંધો નહીં. ચિંતા ન કરશો અને રોજ એક ચમચી તલ ચાવી જજો. તલ વાળને ખરતા અટકાવે છે.
•તમારી જીભ દાઝી ગઈ છે કે કંઈ વધારે પડતું તીખું ખવાઈ ગયું છે ? એક ગ્‍લાસ ભરીને ઠંડું દૂધ લો અને દરેક ધૂંટડો ગળતાં પહેલાં દૂધને મોઢામાં બેથી પાંચ સેકન્‍ડ રહેવા દો.
•રોજિંદી કૉફીમાં કંઈક નવી ટ્રાઈ કરવી હોય તો ગરમાગરમ કૉફીનો મગ પીરસતાં પહેલાં તેમાં થોડો કોકો પાઉડર ઉમેરી દો.
•તમારાં પુસ્‍તકોને જીવાતથી બચાવવામાં તેના પાનાંની વચ્‍ચે કેટલાંક લીમડાનાં પાન મૂકી દો. લીમડાના પાનની વાસથી જીવાત તેમાં પ્રવેશી નહીં શકે.
•ગુલસ્‍તામાં ફૂલો ગોઠવતાં કોઈ તૂટેલી દાંડીવાળું ફૂલ હાથમાં આવે તો ફેંકી ન દેતાં તેને એક સ્‍ટ્રોમાં ભેરવી ગુલસ્‍તામાં ગોઠવો. એમ કરતી વેળા ગુલસ્‍તામાં ફૂલની કુદરતી દાંડી સુધી પહોંચે તેટલું પાણી હોય તેનું ધ્‍યાન રાખવું.
•શાક બાફયું હોય તે પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો. છોડને એ પાણીમાંથી જરૂરી પોષક તત્‍વો મળી રહેશે.
•વગર આમંત્ણે ગમે ત્‍યારે ઘરમાં ઘૂસી આવતી સંખ્‍યાબંધ કીડીઓથી છુટકારો મેળવવા દર મહિને ઘરનાં બારીબારણાં આગળ ચૉકની લીટીઓ દોરો. કીડી માટે ચૉકની લીટી લક્ષ્‍મણરેખાનું કામ કરશે.
•દાંતના દુખાવાથી છુટકારો મેળવવા દુખતા દાંત પર વાટેલું લસણ મૂકી રાખવું.
•ફ્લાવર સમારતી વેળા તેમાં ભરાયેલી ઈયળો ઘણી વાર નાકે દમ આણી દેતી હોય છે. તેથી ફ્લાવર સમારતાં પહેલાં મીઠાના ગરમ પાણીમાં થોડીવાર ડૂબાડી રાખો. મીઠાનું પાણી તેમાં છુપાયેલી ઈયળોને બહાર આવવા મજબૂર કરી દેશે.
•કપડાં ધોતી વેળા શર્ટસના કૉલર સાફ કરવા સૌથી મુશ્‍કેલ કામ હોય છે. ફરી જ્યારે તમે કૉલર કોઈ જીદ્દી ડાઘ દૂર કરવા મથામણ કરી રહ્યા હો ત્‍યારે સાબુની જગ્‍યાએ શૅમ્‍પુનો પ્રયોગ કરી જોજો.
•મચ્‍છર કરડી ગયા હોય તે ભાગ પર વિનેગારમાં ડુબાડેલું રૂનું પૂમડું લગાડો, જલદી રાહત મળશે.
•કાચા શાક કે ફળને જલદી ખાવાલાયક બનાવવા તેમને ખાખી કાગળની થેલીમાં મૂકી અંધારું હોય એવી જગ્‍યાએ રહેવા દો. પરિણામ કલાકોમાં જોવા મળશે.


12 - એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર
•અનાનસના ટુકડા પર સાકર અને મરી
ભભરાવીને ખાવાથી એસિડિટી મટે
છે.
•સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી
એસિડિટી મટે છે.
•સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
•આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
•એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
•દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિ‍યાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
•કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
•સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
•અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના
જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.
•ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્‍યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
•ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
•૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
•૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
•તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
•આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
•લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
•ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
•કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
•સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
•સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.



13 - શરદી
ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.
સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.
રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.
ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.
ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.
પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે.
રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.
કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળેખમ મટે છે.
સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્‍ફૂ‍ર્તિ જળવાઈ રહે છે.
સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.
સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.
તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે.
તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે.
ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

14 - કફ
કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે.
તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.
દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે.
આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.
રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

15 - અશક્તિ – નબળાઈ
•ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.
•જમ્‍યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.
•એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
•અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.
•ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્‍કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે.
•રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ મટે છે.
•સફેદ કાંદો ચોખ્‍ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.
•મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
•પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે.
•એક સૂકું અંજીર અને પાંચદસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.
•દૂધમાં બદામ, પીસ્‍તાં એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
•ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.
•ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્‍ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્‍તો અને સચોટ છે. પણ ચણા પચે તેટલા માફકસર જ ખાવા.
•ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે.
•મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.
•સૂકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી, તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે.

16 - દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં રહેલા કોલેસ્‍ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. હા, આ દહીં મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. દહીં હ્રદયને બળ આપે છે. એટલે હ્રદય રોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. દહીં મધુરઘ ખાટું, તૂરું, ઉષ્‍ણ,રુક્ષ અને અગ્નિ પ્રદીપ્‍ત કરનાર છે. વિષ, સોજા, સંગ્રહણી આંતરડાંના રોગો, પાંડુરોહ, રકતાલ્‍પતા, મસા- પાઈલ્‍સ, બરોળ, સ્‍પલિનના રોગો ગોળો- આફરો, મંદાગ્નિ અરુચિ, વિષમજવર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગો મટાડે છે. અરુચિ તથા નાડીઓમાં અવરોધમાં હિતકારી છે. આયુર્વેદના ગ્રંથોમાં તો દહીંનાઉપર્યુંકત ઘણા ગુણકર્મો દર્શાવાયા છે. પ્રાચીન ચિકિત્‍સકો અને મહર્ષિ‍ઓ આ વાત જાણતા હતા એટલે દહીંને પવિત્ર ગણી તેને પાંચ અમૃતો એટલે કે ‘પંચામૃત’માં સ્‍થાન આપ્‍યું છે. પૂર્વે આપણે ત્‍યાં અતિથિઓ અને મહેમાનનું સ્‍વાગત દહીં કે છાશ – લસ્‍સી પીવા આપીને કરવામાં આવતું. આ કારણથી પાચનતંત્ર સબળ અને સક્રિય રહેતું. આજે આ દહીંનું સ્‍થાન ‘ચા’ એ લીધું છે. અત્‍યારે આપણે ત્‍યાં અમ્‍લપિત્ત – એસિડિટી, અલ્‍સર, ગેસ, મંદાગ્નિ અને અરુચિનું પ્રમાણ પહેલાં કરતાં વધ્‍યું છે. પહેલાં આપણે ત્‍યાં દહીંનો વ્‍યાપક પ્રમાણમાં ઉપયોગ થતો. છાશની પરબો ચાલતી, પરંતુ અંગ્રેજોના શાસનકાળથી પશ્ચિમી રીતરિવાજોનાં આંધળાં અનુકરણ સાથે દહીં, છાશ પીવાનો આપણો મૂળ સ્‍વાસ્‍યપ્રદ રિવાજ મૃતપ્રાય થઈ ગયો અને પરિણામે છેલ્‍લાં સો વર્ષથી આપણે ત્‍યાં પાચનતંત્રના શોગો અને હ્રદય રોગોનું પ્રમાણ વધ્‍યું છે.

17 - સ્‍થૂળતા ઘટાડો, તંદુરસ્‍તી વધારો
વજન ઘટાડવા કે વજન જાળવી રાખવાની સાથે તંદુરસ્‍ત રહેવું પણ એટલું જ જરૂરી છે. તે માટે તંદુરસ્‍ત ખોરાક સૌથી મહત્‍વની બાબત છે. વજન ઘટાડવા, સુંદર દેખાવા, તંદુરસ્‍તી મહેસૂસ કરવા તથા સ્‍વસ્‍થ જીવન જીવવા નીચે આપેલી ગાઈડલાઈન્‍સ અનુસરો.
(૧) દિવસમાં બે વાર પેટ ભરીને ખાવા કરતાં દર ત્રણ- ચાર કલાકે થોડું પણ ધીમેથી ચાવીને ખાવું જોઈએ. વચ્‍ચે વચ્‍ચે થોડું થોડું ખાતા રહેવાથી ભૂખના કારણે થતો પેટનો દુખાવો નહીં થાય અને શરીરમાં શકિત પણ રહેશે. આ સાથે તે તમારા મેટાબોલિઝમની પણ કુશળતાથી સંભાળ રાખશે.
(૨) ભોજનમાં જુદી જુદી જાતના ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. ફળ, શાકભાજી, ફણગાવેલા કઠોળ, સૂકામેવા વગેરે જેવા કુદરતી ખોરાક ખાવા માટે આદર્શ છે. તે આપણા વિકાસ, તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય, સારી રોગપ્રતિકારાત્‍મક શકિત વગેરે માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.
(૩) રોજ દિવસમાં ૮- ૧૦ ગ્‍લાસ પાણી, હર્બલ ટી વગેરે જેવા પ્રવાહી પીવાં. એ બધાં શરીરમાંથી ઝેરી તત્વો સાફ કરવાનું કામ કરે છે.
(૪) નાસ્‍તામાં સલાડ, ફળો, ખાંડ વગરનું ઓછી ચરબીવાળું દહીં, અનાજના બિસ્કિટ વગેરે જેવો સ્‍વાસ્‍થ્‍યવર્ધક ખોરાક ખાવો.
(૫) તમારા ખોરાકને વધુ પડતો કુદરતી અને ઓર્ગેનિક રાખો. એડેટિવ્‍સ અને પ્રિઝર્વેટિવ જેવા કેમિકલવાળા ખોરાકનો બને ત્‍યાં સુધી ત્‍યાગ કરો.
(૬) માખણ, મલાઈયુકત દૂધ અને સલાડ ડ્રેસિંગ વગેરે બને તેટલા ટાળવા, પરંતુ કુદરતી ફેટી એસિડ ધરાવતા ઓલિવ ઓઈલ અને સૂકા મેવા જેવા પદાર્થોની ખોરાકમાંથી બાદબાકી પણ ન કરવી. અલબત્ત, આ પદાર્થોનો પણ અતિરેક ન થાય તેનું પણ ખાસ ધ્‍યાન રાખવું.
(૭) બ્રેડ, બિસ્કિટ, પાસ્‍તા, પોલિશ કરેલા ચોખા જેવા સફેદ લોટની વાનગીઓ તથા પ્રોસેસ્‍ડ ફૂડ અને નાસ્‍તામાં વપરાતા ખાંડવાળા અનાજ વગેરેનો સંપૂર્ણ ત્‍યાગ કરવો. સૌથી પહેલા તો તેમાં ફાઈબર બિલકુલ ન હોવાથી પચવામાં ભારે પડે છે અને બીજું તે આપણા શરીરના ઈન્‍સ્‍યુલીનના સ્‍તરને હાની પહોંચાડી બિનજરૂરી ચરબી જમા કરે છે.
(૮) નિયમિત ધોરણે ઘરે કે જિમમાં જઈ કસરત કરો અથવા અરોબિક્સ કે શ્રમભર્યુ કોઈ કામ કરો. યોગા અને ધ્‍યાન દ્રારા માનસિક તણાવ દૂર કરો. સાથે જ સારી ઊંઘ અને આરામ પણ લો.
(૯) ઠંડાં પીણાં અને ફળોના તૈયાર રસ જેવા મીઠાશયુકત પીણાંનો વપરાશ ન કરો તેમ જ મીઠાઈ, ડેઝસ્‍ટ અને તળેલા નાસ્‍તાથી પણ દૂર રહો.
(૧૦) ખોરાકને તળવાને સ્‍થાને બાફીને, શેકીને, ગ્રીલ કે રોસ્‍ટ કરીને ખવાય તેવી પધ્‍ધતિ અપનાવો.
વજન જાળવી રાખવાની ટિપ્‍સ
(૧) નિયમિત નાસ્‍તો કરો.
(૨)‍નિયમિત વજનનું ધ્‍યાન રાખો (જરૂર પડે તો રોજ).
(૩) રોજ ૬૦ મિનિટ કસરત કરો , જેથી શરીરમાંથી ૪૦૦ કેલરી ઓછી થાય.
(૪) ચાલવું એ વજનને કાબૂમાં રાખવાની સૌથી પ્રખ્‍યાત કસરત છે.
(૫) જમવામાં સ્‍વાસ્‍થ્‍યવર્ધક કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરો અને લો ફેટ ડાયેટ અપનાવો.
(૬) શરીરમાં કેલરીના પ્રમાણ પર કાબૂ મેળવો. એવું ભોજન ખાવું, જેથી રોજ શરીરમાં ૧,૪૦૦ કેલરી જ જાય.

18 - કફ
કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે.
તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.
દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે.
આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.
રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

19 - ગળું
ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.
મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.
ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંના ચાંદા તથા જીભની ચાંદા મટે છે.
બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંના ચાંદા મટે છે.
ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી ગળું મટે છે.
ગરમ પાણીમાં હિંગ નાખીને પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.
ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખૂલે છે.
રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.
લવિંગને જરા શેકી મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.
સાકરની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.
લસણને ખૂબ લસોટી, મલમ જેવું કરી, કપડાં પર લગાડી પટ્ટી, બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.
કંઠમાળ ઉપર જવના લોટમાં કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
કાંદાનું કચુંબર, જીરુ અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી બાઝતી નથી.
તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
તુલસીનાં પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો કોઈપણ પ્રકારનો દુઃખાવો મટે છે.

20 - કોલેરા
લવિંગના તેલના બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
લીંબુનો અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
ફૂદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફૂદીનાના રસમાં ઘૂંટી ચણા જેવડી ગોળીઓ બનાવીને લેવાથી કોલેરા મટે છે.
કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.
પાણીમાં લવિંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
કાંદામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે.
કોલેરા થયો હોય તો ઘાસતેલને ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.

21 -
ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલ પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.
તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રૂઝાય છે.
વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલદી રૂઝાઈ જાય છે.
તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે.
ફૂલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.
લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો ચૂનો જાડો ચોપડી તેના પર તલનું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.
હિંગ અને લીમડાનાં પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય અને ઘા રુઝાઈ જાય છે.
ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્‍લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.

22 - આંખ માટે આટલુ કરો...
આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.
ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.
રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્‍મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.
આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.
આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્‍તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.
બિનજરૂરી શોખનાં ચશ્‍માથી પણ આંખો બગડે છે.
ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્‍યારે ગોગલ્‍સ પહેરવા.
લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.
નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.
વાંચતા લખતા આંખ થાકી જાય ત્‍યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.
આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.
સૂર્યગ્રહણ સામે જોવાથી ક્યારેક કાયમી દ્રષ્ટિ જતી રહે છે.
આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.
હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.
આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્‍ય ફરિયાદ હોય ત્‍યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્‍યાન આપો.
લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.

23 - કાનની પીડા : ઘરેલુ નુસ્ખા
•તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.
•આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી સણકા મટે છે.
•મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
•તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી દુઃખાવો મટે છે.
•તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.
•કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.
•નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.
•આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.
•ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતા હોય તો તે મટે છે.
•વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
•તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા ઉપર લેપ કરવાથી સોજો મટે છે.
•કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાનાં તેલનાં ટીપાં નાખવાથી તે મરી જાય છે.
•સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત નાખવાથી બહેરાશ મટે છે.
•કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગાય હોય તો તે મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.
•કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબનાં ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.
• કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી દુઃખાવો અને સણકા મટે છે.

24 - સોજો-મૂઢ માર
કડવા લીમડાના પાન બાકીને સાધારણ ગરમ હોય ત્‍યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.

લવિંગ વાટી તેનો લેપ સોજા ઉપર ચોપડવાથી સોજો ઊતરે છે.
રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઊતરે છે.
હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઊતરે છે.
વાગવાથી કે મચકોડાવાથી આવેલો સોજો હળદર અને મીઠાનો લેપ કરવાથી મટે છે.
તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.
તાંદળજાના પાનનો લેપ કરવાથી સોજો મટે છે.
ધાણાને લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજો મટે છે.
આમલીનાં પાન અને સિંધવ-મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.
મૂઢમાર કે મચકોડાયેલા હાડકાં પર આમલીને આવળાનાં પાનનો લેપ કરી લગાડવાથી સોજો ઊતરે છે.
શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો ને દુઃખાવો મટે છે.
લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે.
સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.
મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઊતરી જાય છે.
તુલસીનાં પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઊતરી જાય છે.
જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સાંધાનો સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છૂટા થઈ સોજા મટે છે.
મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરત જ આરામ થાય છે. લોહચુંબક લાકડી જેવું બ્‍લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહિ તેની કાળજી લેવી.

25 - ખીલના ઘરગથ્થુ ઉપચાર
દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક નાળિયેરના પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે.
છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.
રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું. સવારમાં સાબુથી મોં ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.
કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે.
ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છૂંદીને તેનું માલિશ મોઢા પર કરવું, પંદર વીસ મિનિટ પછી તે સુકાઈ જાય ત્‍યારે પાણીથી ધોઈ નાખવું ને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલ્દી કોપરેલ લગાડવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા ઉપરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ દૂર થાય છે.
મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી મોં ધોઈ નાખવાથી મોઢા ઉપરના કાળા ડાઘ દૂર થાય છે.
પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો. ત્‍યાર બાદ સહેજ ગરમ પાણીથી મોં સાફ કરવાથી ખીલ મટે છે.
સુખડ અને આમળાના પાઉડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાનાં પાન નાખેલા પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે.
કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

26 - કોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં
કોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં
હાર્ટએટેકનાં અનક કારણો છે. જેવાં કે માનસિક તણાવ, હાઈ બ્‍લડપ્રેશર, ડાયાબિટીસ, અધિક ધૂમ્રપાન વધારે પડતાં ઉજાગરા, અતિ મર્ધપાન, મેદસ્વિતા, બેઠાડુ જીવન વગેરે. પરંતુ આ બધાં કરતાં સૌથી મોટો દુશ્‍મન છે ‘કોલેસ્‍ટેરોલ’આપણાં શરીરનાં યોગ્‍ય વિકાસ, વૃધ્ધિ અને સંચાલન માટે આ કોલેસ્‍ટેરોલ અત્‍યંત આવશ્‍યક તત્‍વ છે. કોલેસ્‍ટેરોલ તેની યોગ્‍ય માત્રાથી શરીરને ટકાવી રાખે છે. તેની જ માત્રા જો શરીરમાં આવશ્‍યકતા થી વધી જાય તો ત હ્રદયરોગને નિમંત્રે છે. રકતમાં રહેલી ચરબીના અંશને કોલેસ્‍ટેરોલ કહેવામાં આવે છે. તેની યોગ્‍ય માત્રા જળવાય તો તે રકતપરિભ્રમણમાં સહાયક બને છે અને તની અતિ માત્રાથી રકતવાહિનીઓ સાંકડી બનતા,રકતનો પ્રવાહ અવરોધાતા હ્રદય ગતિમાં અવરોધ ઉત્‍પન્ન થવાથી હાર્ટએટેક આવે છે.
કોલેસ્‍ટેરોલ અને આહાર
જેને માથે કુટુંબના સંતુલિત આહારની જવાબદારી છે. એવી દરેક જવાબદાર અને સમજુ સ્‍ત્રીએ પોતાનાં કુટુંબના સભ્‍યોને કેવો દૈનિક આહાર આપવો કે જેથી તેમનાં લોહીમાં કોલેસ્‍ટેરોલની યોગ્‍ય માત્રા જળવાઈ રહે અને જો તેની આવશ્‍યકતાથી અધિક માત્રા હોય તો તે ઓછી થાય તેનાં પર લક્ષ આપવું જોઈએ. આ માટે કેટલીક ધ્‍યાન આપવા જેવી બાબતો છે કે જેને સાધારણ રૂપે ઉપયોગમાં લાવવાથી કોલેસ્‍ટેરોલને કાબૂમાં રાખી શકાય છે. માત્ર આહારનો સ્‍વાદ જ નહીં, પરંતુ તેનાં પોષકતત્‍વો અને પ્રભાવને પણ જાળવી રાખવો જોઈએ. આહારમાં ઘી, તેલ, માખણ, મટન, જેવા ચરબીવાળા ખાર્ધ પદાર્થોથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા એકદમ વધી જાય છે. જે કુટુંબો માસાંહારી છે. તેમણે માંસ, માછલી, ચીકન અને ઈંડાના ઉપયોગને ખૂબ જ નિયમિત કરીને ઘટાડીને પણ લોહીમાં રહેલાં કોલેસ્‍ટેરોલને કાબૂમાં રાખવો જોઈએ. લોહીમાં કોલેસ્‍ટેરોલનું પ્રમાણ કેટલું છે તે લોહીની લેબોરેટરી તપાસ દ્રારા જાણી શકાય છે. લીલાં શાકભાજી, દાળ, ફળો, મલાઈ વગરનું દૂધ, મલાઈ- માખણ વગરનાં દહીં – છાશનો સંતુલિત ઉપયોગ કરવાથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા ઘટાડી શકાય છે. મલાઈ, માખણ, ઘી, સૂકોજેવો, કોપરું, વગેરે છે તો પૌષ્ટિક પણ તેનાં હાનિકારક પ્રભાવથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા વધી જાય છે. શાકભાજી અને દાળમાં ઘી અને તેલનો વધારે પડતો ઉપયોગ ન કરવો. ..


27 - ખીલના ડાઘ અને ખાડા
ખીલ થાય એટલે ચોક્કસપણે ચિંતા થાય, દર્દ પણ થાય. પણ ખીલથી થતી શારીરિક પીડા કરતાં એની માનસિક અને સાયકોલોજિકલ પીડા વધુ હોય છે. સામાન્યપણે કિશોરાવસ્થામાં દેખા દેતાં ખીલથી ચહેરા પર પડતાં ડાઘા-ધબ્બા અને ખાડા વધુ દુઃખ ઉપજાવે છે.
ખીલથી પરેશાન વ્યક્તિ ઘણાં નિષ્‍ણાત ડૉકટર્સ, વૈદ્ય પાસે જાય છે, પણ લગભગ એક સલાહ – યોગ્ય આહાર લો અને ખીલ થાય કે તરત જ તેની સારવાર કરો. એ સિવાય આ નિષ્‍ણાતો પણ કોઈ સહાય નથી કરી શકતાં.
ખીલથી પડેલાં ડાઘા – ખાડા તમે કન્સીલર વડે છૂપાવી શકો છો. તમે કોસ્મેટીક કેમોફલેજ ક્રીમનો પણ ડાઘા છૂપાવવા ઉપયોગ કરી શકો છો. પણ, એકવાર અવશ્ય ધ્યાનમાં રાખો કે ખીલ પર ક્યારેય કન્સીલર ન લગાવશો.
આધુનિક સૌંદર્ય વિજ્ઞાન નેચરલ પિગમેન્ટ ઈમ્પ્‍લાન્ટેશન વડે ડાઘા છૂપાવવામાં – દૂર કરવામાં સહાય કરે છે. આ ટ્રીટમેન્ટ એક એવી પ્રક્રિયા છે જેમાં કુદરતી શાકભાજી અને ખનીજમૂળના રંગદ્રવ્યોને ત્વચામાં દાખલ કરી ત્વચાનો રંગ ઘેરો બનાવવામાં આવે છે કે જેથી ચહેરા પર ડાઘા ન દેખાય. પિગમેન્ટ ઈમ્પ્‍લાન્ટેશન ખીલના ડાઘા છૂપાવવામાં સહાય કરે છે.
આધુનિક સૌંદર્યવિજ્ઞાને આપણને અન્ય એક ભેટ આપી છે એ છે –સ્કીન પીલીંગ. આ ટ્રીટમેન્ટ ઘરે કે પાર્લરમાં – ગમે ત્યાં કરાવી શકાય છે. તમે ઘરે કરવા ઈચ્છતાં હોય તો તમે સ્કીન પીલીંગ ક્રીમ વાપરી શકો, પણ એનો ઉપયોગ કરતાં પહેલાં કોણી પર લગાવીને એનું પરીક્ષણ કરી જુઓ કે એનાથી તમને રિએકશન નથી આવતું ને, એની અગાઉથી ખબર પડે. ક્રીમ લગાવતાં પહેલાં જ્યાં ક્રીમ લગાવવાનું હોય ત્યાં એટલો ભાગ પહેલાં ચોખ્ખો કરી પછી ક્રીમ લગાવો. ત્વચા બળવાની શરૂઆત થાય કે લાલાશ પડતી જણાય તો ક્રીમ લૂછી નાખી કોલ્ડક્રીમ અથવા મલાઈ લગાવો.
ક્રીમ લગાવ્યા પછી કંઈ જ રિએકશન ન આવે તો ક્રીમના કન્ટેનર પર દર્શાવેલી સૂચના મુજબ એને લગાવો. ખીલ, તાજા જ ડાઘા, આંખો હોઠ અને આંખની આજુ-બાજુ ક્રીમ ન લગાવો. બને ત્યાં સુધી સૂર્યપ્રકાશને ટાળો. ધીમે ધીમે અને છતાં ચોક્કસપણે તમે અનુભવશો કે ત્વચા લુખ્ખી થઈ રહી છે અને પછી ત્વચા ઉખડી જશે. આ રીતે ડાઘા તબક્કાવાર આછા થતાં જશે.
સ્કીન પીલીંગ પાર્લરમાં પણ થઈ શકે છે. પાર્લરમાં સ્કીન પીલીંગ કરવા સ્કીન પીલીંગ પેકનો ઉપયોગ કરાય છે. ત્યાર પછી બ્રશ મશીન અને સકશન મશીનથી સારવાર અપાય છે. આ ટ્રીટમેન્ટ ૧૫ દિવસે એકવાર કરી શકાય છે. આ ટ્રીટમેન્ટ ડાઘા સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યાં સુધી એને આછાં કરે છે. તમે ખીલના ડાઘા પર છૂંદેલું પપૈયું પણ લગાવી શકો છો. જેનાથી પણ ડાઘા આછા કરવામાં સહાય મળે છે અને આ કામ તો તમે ઘરે પણ કરી શકો છો. અરોમાથેરાપીસ્ટ પણ ખીલના ડાઘા આછા કરવા કુદરતી આવશ્યક ઓઈલ સાથેની જેલ તૈયાર કરી તમને મદદરૂપ થઈ શકે છે.
ખીલના જૂનાં ડાઘા કે ઊંડા ખાડા માટેની અન્ય એક ટ્રીટમેન્ટ છે – ડર્માબ્રેઝન. આ ટેકનિકમાં ત્વચાની ઉપલી પરત સંપૂર્ણપણે દૂર કરી પછી એને રૂઝાવા દેવામાં આવે છે.
ડર્માબ્રેઝન ડાઘાની ધારીઓ સ્મૂધ કરી ત્વચામાં ઊભો ખાડો (ખીલની ‍દીવાલ જેવો) કરે છે, જેથી એનો આછો પડછાયો પડે અને ત્વચાનું ડિપ્રેશન જણાઈ ન આવે. હવે આપણે કોલાજન ઈન્જેકશન ટેકનિક વિશે જોઈએ તો એમાં એનિમલ કોલાજન અથવા જીલેટીન જેવાં બિનહાનિકારક તત્વો ત્વચાની અંદર દાખલ કરવામાં આવે છે કે જેથી એ ફૂલે અને ડિપ્રેશન દૂર થાય. આધુનિક સૌંદર્ય વિજ્ઞાને ખીલના ડાઘા દૂર કરવાની અનેક નવી ટેકનિકો વિકસાવી છે. જો કે ખીલના ડાઘાની ચિંતા થતાં એનું એક પ્રોત્સાહક લક્ષણ એ છે કે, વર્ષો વિતવાની સાથે આ ડાઘા વધુ ને વધુ આછા થતાં જાય છે.

28 - આંખ માટે ઉતમ કોથમીર
પરિચય :
કોથમીર એ ધાણાની પ્રાથમિક અવસ્‍થા છે. કોથમીરથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. દરરોજ આવતા લીલાં મસાલામાં કોથમીર મુખ્‍ય હોય છે. દાળ, કઢી વગેરે વ્‍યંજનો જરૂરી મસાલા નાખીને સ્‍વાદિષ્‍ટ બનાવી શકાય; પરંતુ વ્યંજન ચૂલા પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર સમારીને નાખવી. કોથમીર નાખવાથી તેની સુગંધ આખા રસોડામાં ફેલાઇ જાય છે અને મગજને તાજગી મળે છે.
ગુણધર્મ :
કોથમીર તૂરી, સ્નિગ્‍ધ, મૂત્રલ, હલકી, કઠણ, તીખી, જઠરાગ્નિપ્રદીપક, પાચક, તાવનાશક, રુચિકર, ઝાડાને રોકનાર, ત્રિદોષનાશક અને પાચનને અંતે મધુર છે. તે તરસ, બળતરા, ઊલટી, શ્ર્વાસ, ખાંસી મટાડનાર, કૃમિનાશક, દુર્બળતા દૂર કરનાર, પિત્તનાશક, શરીરની તજા ગરમી મટાડનાર તેમજ ચક્ષુષ્‍ય છે.
ઉપયોગ :
(૧) આંખ આવે (લાલ થાય) ત્‍યારે કોથમીર વાટીને તેના તાજા રસનાં બે-બે ટીપાં આંખમાં નાખવાં. કોથમીર સ્‍વચ્‍છ લેવી. મરચાંની સાથે પડેલી કોથમીર ન લેવી.
(ર) નજર ઓછી થતી હોય ત્‍યારે – આંખમાં દરરોજ બે-બે ટીપાં સવારે અને રાતે નાખવાં. ટીપાં નાખવાથી થોડી બળતરાં થશે, પરંતુ તે સહન કરવી.
(૩) આંખો દુખતી હોય અને આંખોમાં ખંજવાળ આવતી હોય ત્‍યારે તેમજ ફૂલા અને ખીલની તકલીફમાં પણ કોથમીરનો રસ હિતકર છે.


29 - રાત્રીનાં ભોજનમાં શું લેવું શું ન લેવું ?
વ્‍યકિતએ શું લેવું ?
ઉનાળામાં ઠંડક આપે તેવાં ખોરાક, પીણાં કેલીલાં પાનવાળા શાકભાજી વધુ લેવાં.
શિયાળામાં ગરમી ને શકિત આપે તેવાં શાક અને ખોરાક લેવા.
ચોમાસામાં સાદો, સાત્ત્વિક અને હલકો ખોરાક લેવો.
ખોરાકમાં વિવિધ વિટામિનો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેકવિધ ક્ષારો આપતા ખોરાક લેવા.
રાતના બને તો હળવો ખોરાક લેવો. દૂધ ઉત્તમ છે. કેમકે તે સમતોલ ખોરાક છે.
દરરોજ તુવેરની દાળ ન વાપરતાં મગ, ચણા, વટાણા, વાલ વગેરે દાળ વાપરવી.
રોજ અલગ – અલગ શાકભાજી કરવી, જેથી બધી જાતોનાં પૌષ્ટિક તત્‍વો મળી રહે.
ઋતુમાં આવતાં ફળો અને કાચાં શાકોનો કચુંબર – રાયતાં તરીકે ઉપયોગ કરવો.
વ્‍યકિતએ દરરોજ ૩ લિટર પાણી લેવું આવશ્‍યક છે.
વ્‍યકિતએ શું ન લેવું ?
અતિ ઠંડા કે અતિ ગરમ પદાર્થો ન લેવા.
રાતના દહીં, છાશ, કઢી, મોગરી, મૂળા, ગાજર ન ખાવાં.
રાત્રે કઠોળ-વાલ, વટાણા, ચોળા, અડદ ન લેવાં.
દૂઘ સાથે મગ, અડદ, ખીચડી, કાંદા ન લેવાં.
મેંદાના લોટની વાનગી પ્રમાણમાં ઓછી ખાવી.
અતિ પાકેલા કે બગડેલી છાલવાળાં શાકભાજી કે ફળોનો ઉપયોગ ન કરવો.
વધુ પડતા મરી મસાલા, મરચાં, ખારાવાળો ખોરાક ન લેવો.
વાસી ખોરાકનો કોઈ દિવસ ઉપયોગ ન કરવો.
અતિ ખાંડ કે અતિ મીઠાનો ઉપયોગ ન કરવો.
ખોરાકમાં બને તો વનસ્‍પતિ ઘીનો ઉપયોગ ન કરવો, પરંતુ હ્રદયરોગ અટકાવવા કપાસિયાનું કે સૂર્યમુખીનું તેલ વાપરો.
ગીતામાં કહ્યું છેઃ વ્‍યકિત જેવો આહાર-સાત્વિક, રાજસી, તામસી લે છે તેવો તેનો સ્‍વભાવ થાય છે.
સાદો, સ્નિગ્‍ધ,શરીરને પોષણ આપનાર ખોરાક સાત્વિક આહાર છે.
તીખા, આટા, અતિ કડક, મસાલેદાર, ખારા, હ્રદયમાં દાહ કરનાર ખોરાક રાજ આહાર છે.
ટાઢો, વાસી, ઊતરી ગયેલ, વાસ મારતો અને અપવિત્ર ખોરાક તામસ આહાર છે.

30 - મેદસ્વિતાથી બચવા જીવનશૈલી બદલીએ
ડો. રમેશભાઇ ભયાણી
સમગ્ર વિશ્ર્વમાં મેદસ્વિતા – ઓબેસિટી – જાડયાપણાએ સમસ્‍યા ઉભી કરી છે. જેમ જેમ વિજ્ઞાનમાં સંશોધનો થતા ગયા તેના ફળ સ્‍વરૂપ માનવીની જીંદગીમાં સગવડતાઓ વધતી ગઇ તેને કારણે સમગ્ર જીવનશૈલીમાં બદલાવ આવી ગયો, શારીરિક કામ ઘટયો તેને બદલે ઓછી મહેનત વધુ સગવડતા પ્રાપ્‍ત થતાં, શ્રમનું મહત્‍વ ઘટતું ગયું આને કારણે બેઠાડું જીવન, આહાર લેવાની પધ્‍ધતિ, માનસિક વિચારોમાં બદલાવ, ઉંઘ ભોગતાવાદ વધતા માનવીનું બાહ્ય બંધારણ બદલાઇ ગયું, મેદસ્વિતાને કારણે જાડાપણું વધતું ગયું. આજે વિશ્ર્વમાં બાળકો માટે પણ કહેવાય છે કે બાળકો વધુ પડતા તંદુરસ્‍ત જાડા બનતા જાય છે. બાળકોને માતાના દૂધનો લાભ ઓછો મળે છે બજારમાંથી પ્રાપ્‍ત થતાં બેબીફુડનો વ્‍યાપ વધતો તેમજ જેમ જેમ મોટા થતાં જાય છે તેમ તેમ ચોકલેટ, પીપર, ચ્‍યુંગમ, બટાટાની વેફર, મેંદાની વસ્‍તુઓ ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. તેથી શરીરમાં ખાંડ- શર્કરા- ચરબીનું પ્રમાણ વધતા મેદસ્વિતાની સમસ્‍યા સર્જાય છે.
આપણે હવે ફાસ્‍ટ ફુડ લેતા થયા, પંજાબી, ચાઇનીઝ ફુડમાં ચીઝ, માખણનો ઉપયોગ વધુ થવા લાગ્‍યો, મેંદાનો તેમજ ઘીનો વપરાશ ઘરોમાં વધતો જાય છે તેને કારણે મેદસ્વિતાની સમસ્‍યા મોટામાં જોવા મળે છે. તેમાં બહેનોમાં ખાસ, શ્રમ ઓછો અને ખોરાક વધુ અને બેઠાડું જીવન થવાથી જાડાપણાની સમસ્‍યા સર્જાઇ છે. આ જાડાપણાની સમસ્‍યા અંગે ગંભીર બનવું જરૂરી છે. તેને સરળતાથી ન લેતા આહાર અને જીવન શૈલીમાં બદલાવ લાવો જરૂરી છે.
મેદસ્વિતા એટલે કે વધુ પડતી મેદપેશીવાળી સ્થિતિને મેદસ્વિતા કહે છે. શરીરમાંથી ચરબી એટલે કે મેદને અતિ ચોકસાઇથી માપવા માટેની પધ્‍ધતીઓ છે પરંતુ તેમનો રોજે રોજના નિદાન માટે ઉપયોગ થતો નથી, સામાન્‍ય શારીરિક તપાસ વડે મેદસ્વિતાનું નિદાન કરી શકાય છે. સામાન્‍ય રીતે મેદસ્વિતા – જાડાપણું જાણવા માટે બે પધ્‍ધતીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એક પધ્‍ધતી સાપેક્ષ વજનથી જે અંગ્રજીમાં રીલેટીવ વેઇટ કહે છે જે કિ.ગ્રા. માં મપાય છે. સાપેક્ષ વજન એટલે વ્‍યકિતનું વજન કિ.ગ્રા. તેને ઇચ્‍છતા વજન કે જેમ ઉંચાઇના પ્રમાણમાં હોવું જોઇએ તેના વડે ભાગવાથી મળે છે જે ભાગક્રમ મળે છે તેને સો વડે ગુણવાથી પ્રતિશત પ્રમાણ મળે છે. બીજી પધ્‍ધતિ છે દેહદળાંક જેને બોડી માસ ઇન્‍ડેકસ કહે છે. જેમાં વ્‍યકિતનું વજન કિ.ગ્રા. માં લઇ તેને વ્‍યકિતની ઉંચાઇ-મીટરમાં તેનાથી ભાગો જે જવાબ મળશે તે બી.એમ.આઇ. કહેવાય છે. વ્‍યકિતઓની જુદી જુદી ઉંચાઇ તેના સામાન્‍ય વજન ગણવામાં આવે છે જેને ઇચ્છિત વજન કહેવાય તેનાથી કેટલું વધુ કે ઓછું છે તેનાં ટકા ગણવામાં આવે છે જેને સાપેક્ષ વજન કહેવામાં આવે છે. દેહદળ- દેહસૂચકાંક બી.એમ.આઇ.નું સામાન્‍ય મુલ્‍ય ર૦ થી ર૫ કિ.ગ્રા. પ્રતિ મીટરનો વર્ગ છે. અમેરિકામાં મેદસ્વિતાની વ્‍યાખ્‍યા અનુસાર બી.એમ.આઇ. ર૭ કિ.ગ્રા. પ્રતિ મીટરનો વર્ગ છે મધ્‍યમ મેદસ્વિતા ૩૦ થી ૪૦ અને તીવ્ર (વધુ) મેદસ્વિતા ૪૦ કિ.ગ્રા. પ્રતિ મીટરના વર્ગ સામાન્‍ય રીતે બેઠકનો ભાગ અને જાંઘ કરતા પેટ અને પડખામાં ચરબી વધુ હોય તો તે જોખમી ગણાય છે. ડુંટી આગળના પરિઘ અને કેડના સાંધા દીપ જોઇન્‍ટ આગળના પરિઘ વચ્‍ચેનો ગુણોતર પુરુષોમાં એક અને સ્‍ત્રીઓમાં ૦.૮૫ થી વધુ હોવો જોઇએ નહીં વધુ હોય તો તે મેદસ્વિતા સુચવે છે. મેદસ્વિતાને કારણે મધુપ્રમેહ ડાયાબિટીશ, લકવો, પેરાલિસિસ, હૃદયરોગ થવાની સંભાવના વધે છે. જાડી વ્‍યકિતઓમાં લોહીનું ઉચું દબાણ, બીજા પ્રકારનો મધુપ્રમેહ તથા લોહીમાં ચરબીનું પ્રમાણ વધે તો હૃદયમાં ધમનીનો રોગ સાંધાનો ઘસારો, માનસિક અસ્થિરતા, પુરુષોમાં આંતરડા અને મળાશયના કેન્‍સર, સ્‍ત્રીઓમાં સ્‍તન ગર્ભાશય, અંડપીંડ તથા પિતાશયના કેન્‍સર, લોહીના વિકારો, ચામડીના રોગો થવાની સંભાવના રહે છે. હૃદયરોગ થવાને કારણે મેદસ્વિ વ્‍યકિતઓમાં મૃત્‍યુ દર વધુ જોવા મળે છે.
મેદસ્વિતા વધવાના કારણોમાં વધુ પડતી કેલેરીવાળા આહાર, બેઠાડું જીવન તથા જનીન બંધારણ એટલે કે વારસાગત રીતે મેદસ્વિતા થાય છે. તબીબી રીતે એમ પણ માનવામાં આવે છે કે માણસમાં મેદ પેશીઓમાં બી- ૩ સ્‍વીકારક માટેના જનીનોમાં જયારે વિકૃતી આવે છે ત્‍યારે મેદસ્વિતા થાય છે. તબીબી તપાસમાં ઘણા પાસાઓનો વ્‍યકિત દીઠ અભ્‍યાસ કરવામાં આવે છે વજનની વધઘટ, કુટુંબમાં તેમનું પ્રમાણ, ખાવા તથા શ્રમ વગેરેનું વલણ વર્તન, વ્‍યવસાય, તમાકુ તથા દારૂનું સેવન તથા કેટલાંક મનોવૈજ્ઞાનિક પરિબળો વગેરેનો અભ્‍યાસ કરવામાં આવે છે. અમુક ગ્રંથીમાંથી ગ્‍લુકો કોટિકોઇડ નામનો અંતઃ સુગર વધારે પ્રમાણે ઝરે તો મેદસ્વિતા વધે છે. તે માટે ઘણીવાર લોહીમાં ગ્‍લુકોઝ, કોલેસ્‍ટરોલ તથા ટ્રાઇગ્લિસરાઇડ પ્રમાણ જાણવામાં આવે છે કોલેસ્‍ટરોલમાં એચ.ડી.એલ. અને એલ.ડી.એલ.ના પ્રમાણ પણ જાણવામાં આવે છે.
મેદસ્વિતા ધરાવનાર વ્‍યકિતને આહાર પર નિયંત્રણ લાવવું જરૂરી છે, તે માટે ઓછી કેલેરી ધરાવતો આહાર, આહાર પ્રમાણે વર્તન બદલાવાનું શિક્ષણ, સતત કસરતો, પ્રાણાયામ અને યોગ તેમજ સામાજીક સહકારના પાસાને આવરી લેવાય છે. આહારમાં પણ ઓછી ચરબી વાળો ખોરાક, વધુ રેસાવાળો ખોરાક લેવો જોઇએ. આવી મેદસ્વિતા ઘટાડવા માટે લાંબા સમયનું આયોજન કરવું જરૂરી છે. ખોરાકનું આયોજન અને નોંધણી, કસરત વગેરેનું ટાઇમ ટેબલ બનાવી આયોજન કરવું જોઇએ.
એરોબિક એટલે કે કસરતો ફાયદો કરે છે દિવસમાં ૮૦૦ કેલરી મળી રહે તેટલો ખોરાક લેવો જોઇએ. અને દવાઓ પણ લેવી જોઇએ. જેથી વજન ઘટાડાની આડ અસરોથી બચી શકાય. એલોપથીમાં બે પ્રકારના ઔષધો મળે છે કેટેકોલેમાઇન ધર્મી અને સિરોટોનિન ધર્મી જેમાં ક્રેન્‍ફલુરેમાઇન તથા ડેકસ ફ્રેન્‍ફલ્‍યુરેમાઇન જેવા સિરોટોનિન ધર્મી ઔષધોનો વપરાશ પ્રતિબંધિત કરાયેલો છે. આજે તો ઓપરેશન દ્વારા પણ મેદસ્વિતા ઉતારવાનો ઉપચાર શકય બન્‍યો છે તેમાં જઠરનું કદ નાનું કરવામાં આવતું હોય છે.
આ ઉપરાંત આયુર્વેદ તથા હોમિયોપેથીમાં પણ મેદસ્વિતા ઉતારવા માટેના ઔષધો મળે છે પરંતુ એકલા ઔષધો આ માટે કામ કરતા નથી આપણે આપણી જીવન શૈલી બદલવાની જરૂર છે. આજે યુવાનોમાં પણ જંક ફૂડનો વ્‍યાપ વધતો જાય છે. કોઇ વાર લેવાથી વાંધો નથી પરંતુ કાયમ આવા પ્રકારના આહારથી પેટના રોગોનું પ્રમાણ વધે સાથોસાથ મેદસ્વિતા પણ વધે છે જે આગળ જતા સમસ્‍યા રૂપ બની શકે એટલે યાદ રાખવું પહેલું સુખ તે જાતેનર્યા, નહીં તો એવું થાશે કે પહેલું દુઃખ તે જાતના ન રહ્યા આથી જીવનને સોફટવેર બનાવવાથી સાથે હાર્ડવેર બનાવવું જરૂરી છે.

સંબંધિત આર્ટીકલ
ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે ભારત કયાં ?
જીન ટેકનોલોજીના વિકાસ માટે ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્‍કાર
બીગબેંગ થિયરીના પ્રણેતા રાલ્‍ફએ આલ્‍ફરની વિદાય
રસાયણશાસ્‍ત્રનું નોબેલ પારિતોષીક મેળવનાર જર્મન વૈજ્ઞાનિક ગેરાર્ડ ઇર્ટલ
સમગ્ર એશિયાની હરિયાળી ક્રાંતિના સર્જક ડો. સ્‍વામિનાથન:જન્મદિન
સ્‍વતંત્ર ભારતની વિજ્ઞાનક્ષેત્રની સિદ્ધિઓ
શું પૃથ્‍વી જેવો અન્‍ય ગ્રહ પણ છે ?
રાત્રીનાં ભોજનમાં શું લેવું શું ન લેવું ?
ગૃહિણીઓ માટે ઉપયોગી..
દંત સ્વાસ્થ્ય કેમ જાળવશો ?
વ્યક્તિની યાદશક્તિ કેમ જતી રહે છે ?
ડાયાબિટીસ અને મેદસ્વી શરીરવાળા દર્દીઓ માટે લો કેલરી સ્વીટનર
સૌંદર્ય માણસના ચહેરામાં નહીં, એના આંતરમનમાં વસેલું છે.

31 - બળ અને બુદ્ધિવર્ધક છે બદામ
આખા વિશ્વમાં બદામ સર્વોત્તમ સૂકોમેવો રૂપે પ્રસિદ્ધ છે. બદામ ઘણી રીતે ઉપયોગી છે. બદામની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણાં, પૌષ્ટિક મિઠાઇઓ વગેરેમાં તે ખાસ વપરાય છે. દૂધ, લસ્સી, આઇસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. ઔષધ વિજ્ઞાનની ર્દષ્ટિએ જોઈએ તો તે ઔષધીય ગુણોમાં ભંડાર પણ છે. આ વખતે આપણાં આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિષે કંઈક વિશેષ જાણવાનો ઉપક્રમ છે.
ગુણધર્મો :-
બદામનાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન-કાબૂલ, તુર્કી તથા યુરોપમાં વધુ થાય છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે બદામની ઉપજ અમેરિકાના કેલિફોર્નિયામાં લેવાય છે. ભારતમાં પણ પંજાબ, કાશ્મીર તથા દક્ષિ‍ણ-પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં બદામ થાય છે. પરંતુ આ બદામ થોડી ઉતરતી ગુણવત્તાની હોય છે.
આયુર્વેદ પ્રમાણે બદામ સ્વાદમાં મધુર, ગરમ, પચવામાં ભારે, ભૂખ લગાડનાર કફ તથા પિત્તવર્ધક, મૂત્રનું પ્રમાણ વધારનાર, ધાવણ વધારનાર, વાયુનાશક, વાજીકરણ તથા બળ વીર્યવર્ધક છે. તે મગજની નબળાઈ, કબજીયાત, વાયુના રોગો, મૂત્રનળીનો સોજો, સફેદ પાણી પડવું અને માસિકની તકલીફો મટાડનાર છે.
રાસાયણિક વિશ્લેષણ કરતાં બદામમાંથી ૫૬ટકા સ્થિર તેલ, એક અમલ્શિન નામનું કિણ્વત, ૩ટકા ચીકણું દ્રવ્ય, ૨૫ ટકા પ્રોટીડ્સ તથા ૩ થી ૫ ટકા ક્ષાર મળી આવે છે.
ઉપયોગ :-
આજના ‍અતિ આધુનિક યુગમાં માનસિક શ્રમ કરનારાઓનું પ્રમાણ ઘણું વધ્યું છે. બદામનું સેવન એમના માટે બ્રેનટોનિક જેવું લાભદાયક છે. માનસિક શ્રમને લીધે જેમના જ્ઞાનતંતુઓ થાકી જતા હોય, કામના બોજને લઈને મન હંમેશા વ્યાકુળતા અનુભવતું હોય, યાદશક્તિમાં મંદતા અનુભવાતી હોય તેમના માટે બદામનું નિયમિત સેવન ખૂબ જ ફાયદાકારક છે. પોતાની પાચનશક્તિનો વિચાર કરીને રોજ રાત્રે ચારથી છ બદામ પાણીમાં પલાળી રાખવી. સવારે તેનાં ફોતરાં કાઢીને, ખૂબ વાટીને એક કપ દૂધમાં મેળવીને એ દૂધ પી જવું. આયુર્વેદ પ્રમાણે જ્ઞાનતંતુઓની સ્વસ્થતા વાયુને આધીન રહે છે. બદામના સેવનથી વાયુ સ્વસ્થ રહે છે અને સ્વસ્થ વાયુ જ્ઞાનતંતુઓને પણ તંદુરસ્ત રાખે છે.
એક પછી એક ઘણી સુવાવડો કસુવાવડોને લીધે કે અતિશય કામના બોજાને લીધે જે સ્ત્રીઓનું શરીર ઘસાતું જતું હોય તેમના માટે બદામ ખૂબ જ ઉત્તમ ઔષધ છે. શારીરિક દુર્બળતાની હમેશાં ફરિયાદ રહેતી હોય અને ચહેરો ફિક્કો – નૂર વગરનો થઈ ગયો હોય તેવી સ્ત્રીઓએ ઉપર સૂચવ્યા અનુસાર બદામને દૂધમાં મેળવીને રોજ તેનું સેવન કરવું જોઈએ. બાળકો જો બરાબર દૂધ ન પીતા હોય તો એમને થોડી બદામ પાણીમાં લસોટી એમાં સાકર મેળવીને આપવી. બદામનો પાણીમાં બનાવેલો આ ઘસારો દૂધ જેટલું જ પોષણ આપે છે. વાયુને લીધે થતા કમરના દુખાવામાં બદામ (વાયુનાશક હોવાથી) અકસીર છે. કમરનો દુખાવો થવો એ આજે ઘર ઘરની ફરિયાદ છે. જેમને અનુકૂળ આવે તેમણે આ દુખાવામાં બદામના દૂધનો ઉપર્યુક્ત ઉપચાર પ્રયોગ કરવો.
આયુર્વેદમાં બદામને ગરમ કહી છે. એટલે જેમની પ્રકૃતિ પિત્તની હોય કે ગરમ દ્રવ્યો માફક ન આવતાં હોય તેમણે લાંબા સમય સુધી બદામનું સેવન ન કરવું.

32 - કમરના દર્દને દૂર કરવામાં સહાયક યોગાસનો
દેશ અને દુનિયાના સામાન્ય માનવીએ એવી ચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાં એક રૂપિ‍યાનો પણ ખર્ચ કર્યા વગર તમામ આરોગ્ય પ્રાપ્‍ત કરી શકાય. અને આ પદ્ધતિ યોગ સિવાય બીજો કોઈ પણ નથી. પતંજલિ યોગપીઠ યોગ અને આયુર્વેદના અદ્દભુત સંગમ છે. જેઓ આર્થિક કારણોસર એલોપથીનો મોંઘો ઉપચાર મેળવી શકતા નથી તેઓને પણ યોગના માર્ગે સરળ, સહજ, પ્રામાણિક અને વૈજ્ઞાનિક ઉપચાર મળે છે. યોગ વિજ્ઞાન થી સંપૂર્ણ શરીરની ચિકિત્સા થાય છે. યોગના અભ્યાસથી આત્મા, મન અને ઇન્દ્રિયોને પ્રસન્નતા અને આરોગ્ય મળે છે.
સ્થૂળ અને સૂક્ષ્‍મ શરીર બંનેમાં યોગાભ્યાસ સમાન રીતે ઉપયોગી છે. યોગથી આધ્યાત્મિકતાનો રસ્તો સુલભ બને છે. યોગ શારીરિક અને માનસિક વ્યાધિઓથી મુક્તિ અપાવવા માટે પૂર્ણરૂપે સક્ષમ છે. યોગ અને આયુર્વેદને એક સાથે અપનાવવાથી રોગ ઝડપથી મટે છે. જો સ્વસ્થ વ્યક્તિ પણ યોગાભ્યાસી હોય તો રોગ તેની નજીક પણ ફરકતો નથી. યોગને મહર્ષિ‍ પતંજલિએ સૂત્રબધ્‍ધ કર્યો.
જે લોકો પાસે પૈસા નથી, તેઓ દવાના અભાવથી તડપી તડપીને મરી જાય છે. આવા લોકોને દવાઓ તથા આરોગ્ય પ્રદાન કરાવવું જોઈએ. યોગ દ્વારા તેમના આરોગ્યને સુધારી શકાય છે. યોગ દ્વારા ઓપરેશનને ટાળી શકાય છે. મૃત્યુને પણ પાછું ઠેલી શકાય છે. એઇડ્સ, કેન્સર જેવા રોગોનો ઇલાજ પણ તેનાથી શક્ય છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હરણિયા, માઈગ્રેન, સ્થૂળતા, આંખોની સમસ્યા, શરીર દર્દ, અનિદ્રા, ડિપ્રેશન, હર્પિ‍સ, ટીબી વગેરે જેવી અનેક બીમારીઓથી યોગ દ્વારા મુક્તિ મળી શકે છે. આત્મવિશ્વાસ વધારવામાં, માનસિક શાંતિ મેળવવામાં અને વ્યસનથી મુક્તિ મેળવવામાં પણ યોગાભ્યાસ મહત્વની ભૂમિકા નિભાવે છે. કમરદર્દની પીડાતા સ્ત્રી-પુરુષ બંને પ્રભાવિત થાય છે. પરંતુ સ્ત્રીઓને આ રોગ વધુ થાય છે. ઠંડી લાગવી, ફ્લૂ, ગર્ભાશય-ગ્રીવાની પીડા, પાણીમાં ભીંજાવું, લાંબો સમય એક જ સ્થિતિમાં કામ કરવું, ઠંડી હવામાં વધુ હરવું-ફરવું, વધુ સમય સુધી પરિશ્રમ કરવો, સ્ત્રીઓમાં શ્વેતપ્રદર અને માસિક ધર્મની તકલીફ વગેરે કારણસર કમરમાં દર્દ થાય છે. વાત પ્રકોપથી કમરમાં દુખાવો થાય તેને કમરદર્દ કહેવાય છે. આ રોગમાં રોગીને ખૂબ જ તકલીફ થાય છે. તે સીધી રીતે ઊભો રહી શકતો નથી અને કમર સીધી કરીને બેસી શકતો પણ નથી. તેને હળવો જ્વર આવે છે. હરવા-ફરવામાં તથા હલન – ચલન કરવાથી કમરમાં ખૂબ પીડા થાય છે. ઘણી વખત રોગી ઊઠી – બેસી શકતો નથી. કંધરાસન, અર્ધ મત્સ્યેદ્રાસન, કટિઉત્તાનાસન, ધનુરાસન, શલભાસન, માર્જરાસન વગેરે આસનો કમરદર્દને દૂર કરવામાં સહાયક છે. આમ યોગાસન દ્વારા કમરદર્દ દૂર કરી શકાય છે. યોગાસનના અભ્યાસ સાથે સાથે ઘરેલુ ચિકિત્સા પણ કરવાથી કમરદર્દમાં શીઘ્ર લાભ થાય છે.
પ્રાણાયમનો અભ્યાસ કરવાથી સ્નાયુની નબળાઈ દૂર થાય છે. અને ચક્કર આવવાની પ્રવૃતિ દૂર થાય છે. સ્મરણશક્તિ અને આંખોની જ્યોતિ વધે છે અને વાત કફ, માથાનો દુખાવો, અર્ધ કપાટી વગેરેમાં લાભ થાય છે.

33- ઘા–જખમ
ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલ પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.
તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રૂઝાય છે.
વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલદી રૂઝાઈ જાય છે.
તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે.
ફૂલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.
લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો ચૂનો જાડો ચોપડી તેના પર તલનું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.
હિંગ અને લીમડાનાં પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય અને ઘા રુઝાઈ જાય છે.
ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્‍લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.

34 - તંદુરસ્તી માટે ઉપવાસ
જો એમ પૂછવામાં આવે કે દુનિયાને સૌથી સ્વાદિષ્ટ વાનગી કઈ ? તો તેનો જવાબ એ છે કે જો કકડીને ચોખ્ખી ભૂખ લાગી હોય તો બધી જ વાનગીઓનો સ્વાદ શ્રેષ્ઠ લાગે છે. આ વાત આપણા રોજિંદા જીવનને લાગુ પડે છે અને આપણે પ્રસંગોપાત તેનો અનુભવ પણ કરીએ છીએ.
અનિયમિત ભોજન, પેટ ઠાંસીને કરાતું ભોજન અને આગ્રહને વશ થઈને કરાતું ભોજન બધું આધુનિક જીવનશૈલીનું અંગ બની ગયું છે. દિવસમાં અનેકવાર ચા અને કોફી પીવી, ભોજનન સમય પહેલાં વચ્ચે નાસ્તો કરવો વગેરે બાબતો ભોજનના આનંદને મારી નાંખે છે. શરીરના તમામ તંત્રોની જેમ પાચનતંત્રને પણ વિરામને ઘણી જરૂર હોય છે. તેથી કોઈકવાર, ખાસ કરીને ઉનાળામાં જો દિવસો સુધી ભૂખ ઓછી લાગવા માંડે તો સારું એ છે કે એકાદ ટંક ભોજન છોડી દો અથવા ન જ ચાલે તો ઓછું જમો. આપણું યોગશાસ્ત્ર તેમજ આયુર્વેદ જણાવે છે તેમ અઠવાડિયામાં એક ઉપવાસ રાખવો તે પાચનતંત્રને સક્ષમ રાખવા માટે જરૂરી છે.

35 - બાળકો માટે ઉપયોગી તુલસી
શિયાળામાં તુલસીનો રસ જરા ગરમ કરીને આપવો.

નીરોગી બાળકોને તુલસીનો રસ નિયમિત આપવાથી બાળકો સ્વસ્થ રહે છે.

બાળકોના શરદીના તાવમાં ગરમ કરેલો તુલસીનો રસ છાતી અને કપાળે ચોળવો, સૂંઘાડવો તથા એક ચમચી રસમાં અડધું મધ મેળવીને પિવડાવવો.

બાળકોને મળમાં કે ઊલટીમાં કૃમિ પડતાં હોય તો વાવડિંગ સાથે તુલસીનાં પાન મેળવીને ઉકાળો કરીને પાવો અથવા તુલસીનો ૧૦ ગ્રામ રસ, વાવડિંગ, કાચકા કે હિમેજનું ચપટી ચૂર્ણ નાખીને દિવસમાં બે-ત્રણ વાર ચટાડવો.

સૂકી ઉધરસમાં તુલસીની કૂંપળો તથા આદું સરખા ભાગે લઈને વાટીને મધ સાથે ચટાડવું.

દાંત નીકળતાં પહેલાં બાળકોને જો તુલસીનો રસ પિવડાવવામાં આવે તો તેમના દાંત સહેલાઈથી નીકળે છે અને દાંત નીકળતી વેળા તેમને કોઈ તકલીફ થતી નથી.

બાળકોને શરદી, ઉધરસ, કફ તથા ઊલટી કે ઝાડા થવા માંડે ત્યારે તેઓને તુલસીનો રસ પિવડાવવાથી ફાયદો થાય છે.

તુલસી અને કાસોંદરાનાં પાનનો રસ ભેગો કરીને પાવાથી ખાંસી મટે છે.

બાળકને પેટમાં દુખતું હોય તો તુલસી અને આદુનો રસ સરખા ભાગે લઈને થોડો ગરમ કરીને પિવડાવો. દર્દ મટી જશે.

બાળકોને શરદી કે ખાંસી થઈ હોય તો તુલસીપત્રનો રસ, અજમો અને હળદર પાંચ-પાંચ ગ્રામ લઈ પથ્થરથી ખૂબ લસોટીને તેમાં ૨૫ ગ્રામ મધ મેળવી શીશીમાં ભરી લો.તેમાંથી ૩૦ થી ૬૦ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત આપવાથી લાભ થાય છે.

દાંત આવતી વખતે બાળકને ઝાડા થતા હોય તો તુલસીનાં પાનનું ચૂર્ણ દાડમના શરબતની સાથે આપવાથી ફાયદો કરે છે.

તુલસીના રસમાં મધ મેળવીને ચટાડવાથી કંઠની ખરાબી અને ઉધરસ મટે છે.

કાળી તુલસીનો સ્વરસ મધ સાથે લેવાથી કફની ઉધરસ મટે છે. બાળકોની ઊલટી માટે પણ આ પ્રયોગ ઉત્તમ છે.

તુલસીનાં પાનના રસમાં થોડી સૂંઠ મેળવીને નાના બાળકને પિવડાવવાથી ચૂંક મટે છે.

કૃમિ (કરમ-વર્મ્સ)ની ફરિયાદવાળા બાળકને સવાર-સાંજ બે ગ્રામ વાવડિંગનું ચૂર્ણ, અર્ધો ગ્રામ હિંગ, બે ચમચી તુલસીનો રસ અને અર્ધો ચમચો મધ મેળવીને રોજ ચટાડવું.

ધાવણા બાળકને ઊલટી-બકારી થતી હોય, તો તુલસીનો રસ ત્રણ ટીપાં મધમાં મેળવીને દિવસમાં ત્રણ-ચાર ચટાડવો.

નાના બાળકને શરદી-ખાંસી થઈ જાય, તો ચા બનાવતી વખતે તેમાં તુલસીનાં ચાર-પાંચ પાન નાખી દો. આ ચા બાળકને સવાર-સાંજ એક-બે ચમચા આપવાથી બે દિવસમાં શરદી ખાંસી મટી જશે.

તુલસીનાં પાનનો રસ મધમાં મેળવીને પેઢાં પર ઘસવાથી બાળકનાં દાંત તકલીફ વગર ઊગી આવશે.

તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પિવડાવવાથી બાળકના સ્નાયુઓ તથા હાડકાં મજબૂત થાય છે.

ઠંડીના કારણે નાનાં બાળકોની પાંસળીઓ બોલવા પર તુલસીનાં પાનની સાથે ઉકાળેલું દૂધ પાઈ, ગરમ કપડું ઓઢાડીને સુવડાવવાથી ચોક્કસ ફાયદો થશે.

તુલસીનાં બીજ ૨ ગ્રામ પીસીને માતાના દૂધમાં અથવા ગાયના દૂધમાં આપવાથી બાળકોનો અતિસાર મટી જાય છે.

તુલસીનો સ્વરસ જરાક ગરમ કરીને આપવાથી બાળકોના ઉદરકૃમિ નાશ પામે છે.

તુલસીમૂળના ક્વાથમાં ખાંડ મેળવીને પિવડાવવાથી બાળકોના દસ્ત સાફ થાય છે તથા પેટનું ફૂલવું વગેરે મટી જાય છે.


36 - જીવજંતુના ડંખ
•મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
•મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
•ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
•કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
•કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે.
•કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.
•કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
•કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી પીડા મટે છે.
•વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
•વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરે છે.
•વીંછી કરડ્યો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સૂંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
•વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરે છે.
•વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાના પાણી વડે વારંવાર ધોવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
•તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
•વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે.
•કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું.
•વીંછીના દંશસ્‍થાન ઉપર મૂત્રનું માલિશ કરવાથી લાભ થાય છે.
•મચ્‍છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
•કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ ચોપડવાથી પીડા મટે છે.
•ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.
•મચ્‍છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે.
•ઉંદર કરડ્યો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
•સાપ કરડે ત્‍યારે દસથી વીસ તોલા ચોખ્‍ખુ ઘી પીવું. પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.
•વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
•સાપ કે વીંછી કરડ્યો હોય તો ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચા જેટલો રસ મધમાં મેળવી ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.

37 - ડાયાબિટીસ અને આયુર્વેદ
•આમલીના કિચૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે.
•લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
•કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
•સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે.
•લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
•રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
•આમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
•હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
•હરડે, બહેડાં, કડવા લીમડાની આંતરછાલ, મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
•હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
•૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગ્‍લાસ પાણીમાં રાત્રે ભીંજવી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે.

38 - દમ-શ્વાસના ઘરેલુ ઉપચાર
દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ, તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળમાંથી મટે છે.
હળદર, મરી અને અડદ એ ત્રણનો અંગારા પર નાખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને ઘટે છે અને દમ મટે છે.
નાગરવેલના પાનમા બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
પંદર-વીસ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
ગાજરના રસનાં ચારપાંચ ટીપાં નાકમાં નાખવાથી શ્વાસ મટે છે.
તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ, એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
તુલસીનો રસ દસ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે.
હળદળ અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી શ્વાસ મટે છે.
આમળાના અઢી તોલા રસમાં એક તોલો મધ, પા તોલો પીપરનું ચૂર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે.

39 - આધાશીશી- માથાના દુઃખાવાના આયુર્વેદ ઉપચાર
આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે.
સૂંઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
સૂરજ ઉગે તે પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્‍ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
માથું દુખતું હોય તો કપાળે ચોખ્‍ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે.
આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઊતરે છે.
એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને, પીવાથી, તેનો વાક (નાસ) લેવાથી માથાનો દુઃખાવો મટે છે.
ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધના ૩/૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
માથુ દુઃખતું હોય તો તુલસીનાં પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
લવિંગના અને તમાકુનાં પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશીનું દર્દ (માઈગ્રેસ) માઈગ્રેન મટે છે.
નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુઃખાવો મટે છે.
મરીને શુદ્ધ ઘીમાં ઘસીને તેના નાકમાં ટીપાં પાડવાથી આધાશીશી મટે છે.
જીભ ઉપર ચપટી મીઠું મૂકી, દશ મિનિટ પછી એક ગ્‍લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુઃખાવો મટે છે.

40 - પથરી ના આયુર્વેદ ઉપચારો
•લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
•ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે ૨૧૨ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
•ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
•ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
•નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
•કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
•મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
•પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
•જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
•કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
•કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
•કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધી થતી ભયંકર પીડા મટે છે.
•મૂળાનાં બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળવાં, અર્ધુ પાણી બાકી રહે ત્‍યારે ઉતારી પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
•ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળી પીવાથી ભાંગીને ભૂકો થઈ જાય છે.
•મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
•મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્‍મ બનાવી, ચાળીને આ ભસ્‍મ ૧ ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ પેશાબની અટકાયત મટે છે.
•બડી દૂધ (દૂધેલી) નાં પાન પાંચ તોલા તથા મેંદીનાં પાન પાંચ તોલા લઈ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો અને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થાય પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવવું નહીં. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઈ પેશાબ વાટે બહાર આવશે.
કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાંડેલી મિસરી ખાંડ ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને પેશાબ દ્વારા નીકળી જાય છે.

41 - હ્રદયની બિમારી બ્‍લડપ્રેશર
•લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ, બ્‍લડપ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બલ્‍ડપ્રેશરની રામબાણ દવા છે.
•બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી બ્‍લડપ્રેશર ઓછું થાય છે.
•એલચી દાણા અને પીંપરીમૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હ્રદયરોગ મટે છે.
•આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હ્રદયરોગ મટે છે. હ્રદયના રોગીએ
ગાજરનો રસ નિયમિત પીવો. તેનાથી હ્રદય
મજબૂત બને છે અને હ્રદયની કાર્યશક્તિ વધે છે.
•હ્રદયનો દુઃખાવો ઉપડે ત્‍યારે તુલસીનાં
આઠઅદસ પાન અને બે ત્રણ કાળાં મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુઃખાવો મટે છે.
•છાતી, હ્રદય કે પડખામાં દુઃખાવો થયો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો, પાનને વાટીને લેપ કરવાથી દુઃખાવો મટે છે.

42 - મહિલા રોગોના આયુર્વેદ ઉપચાર
ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્‍ત્રીઓની હિસ્‍ટીરીયા મટે છે.

લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્‍ટીરિયાની મૂર્છા મટે છે.

સ્‍ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું, પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.

પાકાં કેળા, આમળાંનો રસ ને સાકર એકત્ર કરી પીવાથી સ્‍ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.

જીરા અને સાકરનું ચૂર્ણ પચીસ પૈસાભાર, ચોખાના ધોવાણમાં પીવાથી સ્‍ત્રીઓનું સ્‍વતપ્રદર મટે છે.

એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.
હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.

આમળાનાં રસ મધ સાથે લેવાથી સ્‍ત્રીઓની યોનિનો દાહ મટે છે.

કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.

માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્‍ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે.

જીરાની ફાકી લેવાથી સ્‍ત્રીનું ધાવણ વધે છે.

ધીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્‍ત્રીને ચક્કર ને સૂળ મટે છે.
સુવાવડમાં સ્‍ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.

તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.
સુ
વાવડી સ્‍ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.
સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.

ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્‍ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.

લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્‍ત્રીઓની ઊલટી મટે છે.

ધાણાનું ચૂર્ણ પા તોલો અને સાકર એક તોલો ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી મટે છે.

નારંગી ખાવાથી સગર્ભા સ્‍ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.

હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે.
તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્‍ત્રીઓનો રક્તસ્‍ત્રાવ બંધ થાય છે.

સુવાવડી સ્‍ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચડી જતાં, કોઈ વાર સ્‍તનને સોજો આવે છે અને વેદના થાય છે. તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઊતરી જાય છે ને પીડા મટે છે.

ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાંથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્‍ખું ઘી નાખી પ્રસવ થનાર સ્‍ત્રીને પાવાથી પ્રસૂતી સરળતાથી અને જલદી થાય છે.

જે સ્‍ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે.
તુવેરની દાળનો સૂપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.

સ્‍ત્રીઓને ઘણીવાર પ્રસૂતિમાં વિલંબ થાય છે. દર્દ જેવું ઊપડવું જોઈએ તેવું ઊપડતું નથી. તે વખતે બને તેટલો જૂનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ લઈ, ૧૦૦ ગ્રામ પાણીમાં નાખી, ગરમ કરી, ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પાવાથી જલદીથી અને સુખથી પ્રસવ થાય છે.

તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.

અર્ધી ચમચી સૂંઠનું ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોષ મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે.

રોજ સવારમાં એક લવિંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.

પાકું કેળું ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.

કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્‍ત્રીઓના ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે.

દરરોજ ગાજરનો ૧૦૦ ગ્રામ રસ પીવાથી સ્‍ત્રીઓને લોહીવા (રક્તપ્રદર)માં તરત જ ફાયદો થાય છે.

તંદુરસ્‍ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી ૭૫ મિલી. જેટલો રસ લઈ તેમાં તેટલું જ ગાયનું દૂધ મેળવીને પિવડાવવાથી બાળક જન્‍મ્‍યા પહેલાં ગર્ભાશયમાં મરણ પામ્‍યું હોય તો મરેલા બાળકને બહાર લાવવામાં ઉપયોગી થાય છે.
આમળાં, હરડે, સુકો ફુદીનો, પીપરીમૂળ, સૂંઠ, મેથી દસ ગ્રામને મીઠું પાંચ ગ્રામ લઈ, બધાંને સાથે લસોટી, ચૂર્ણ બનાવી, તેમાં ૧૦ ગ્રામ ગુગળ મેળવી, લસણના રસમાં પાંચ પાંચ ગ્રામની ગોળીઓ બનાવી, પાણી સાથે લેવાથી પ્રસૂતિ બાદ સ્‍ત્રીઓને થતો કમરની નીચેનો ભાગનો દુઃખાવો ઓછો થાય છે.

43 - હ્રદયરોગની મહાન ઔષધિ – અર્જુન (ધોળો સાજડ)
પરિચય :
આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન (અર્જૂન, કોહ, કૌહા) કે ધોળા સાજડ (સાદડા)નું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. તેનાં પાન ૩ થી ૬ ઇંચ લાંબા જામફળીના પન જેવા અને ફૂલ સફેદ રંગના નાના કદના તથા ફળ કમરખ જેવા લીલાપીળા એક થી દોઢ ઇંઝ સાઈઝના, ઇંડાકાર અને ૪ થી ૭ ધરી ધરાવતા હોય છે. તેની છાલ, પાન અને ફળ દવામાં વપરાય છે. છાલ ગાંધી-કરિયાણાના વેપારી પાસે મળે છે. આજકાલ અર્જુનમાંથી અનેક દેશી દવાઓ, દેશી દવાવાળાને ત્યાંથી તૈયાર મળે છે. ગુણધર્મો :
અર્જુન (સાદડ-સાજડ) સ્વાદે તૂરો-ગળ્યો, ગુણમાં જરા ઠંડો અને કાંતિકારક, બળવર્ધક, પચવામાં હળવો, વ્રણ (જખમ) શુદ્ધ કરનાર અને કફ, પિત્ત તથા વિષદોષનો નાશ કરે છે. અર્જુન સંધિભંગ (મચકોડ), અસ્થિભંગ (ફ્રેકચર), શ્રમ, તૃષા, દાહ, પ્રમેહ, વાયુ, હ્રદયરોગ, પાંડુરોગ, વિષબાધા, મેદવૃદ્ધિ, રક્તદોષ, દમ, ક્ષત (ચાંદુ) અને ભસ્મક રોગોનો નાશ કરે છે. અર્જુન હ્રદયરોગની ખાસ દવા છે. તે હ્રદયની ધમનીમાં જામેલ લોહીને વિખેરી નાંખે છે. લોહીના પ્રમાણમાં વધારો કરે છે, હ્રદયનો સોજો અને રક્તમાંના કોલેસ્ટ્રોલ (ચરબી તત્વ) ને ઘટાડે છે. તે લોહીનું દબાણ ઘટાડે છે તથા પેશાબ સાફ લાવી દર્દીનું આયુષ્‍ય, આરોગ્ય અને? દેહકાંતિ વધારે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) હ્રદયરોગ : અર્જુન છાલનું ચૂર્ણ ૩ ગ્રામ રોજ મધ સાથે સવાર લેવું. અથવા તે ચૂર્ણની ટેબલેટ કે અર્જુનારિષ્‍ટ નામની પ્રવાહી દવાની ૩-૪ ચમચી રોજ પીવાથી હ્રદયના અનેક રોગોમાં આશાતીત લાભ થાય છે.
(૨) હ્રદયરોગ, જીર્ણ તાવ અને રક્તસ્ત્રાવ : અર્જુનછાલ ચૂર્ણ તથા જેઠીમધ ચૂર્ણ સમભાગે મેળવી ૧ ચમચી જેટલું ઘી, દૂધ કે ગોળના શરબત સાથે રોજ લેવું.
(૩) ચહેરાનાં ખીલ : અર્જુન છાલના ચૂર્ણમાં દૂધ મેળવી, ખીલ પર રોજ લગાવો.
(૪) લોહી પડતા હરસ : અર્જુના છાલ, સોનાગેરૂ, ગળોસત્વ અને ગુલાબનાં પાન સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી સવાર-સાંજ ઘી-સાકરમાં લેવાથી દર્દ મટે.
(૫) હાડકાનું ફ્રેકચર : રોજ અર્જુનછાલ ચૂર્ણ ૫ ગ્રામ જેટલું દૂધમાં બે વાર લેવું.
(૬) રક્તપિત્ત (રક્તસ્ત્રાવ) : રોજ ચોખાના ધોવણ સાથે અર્જુનછાલ તથા લાલ ચંદનનું ચૂર્ણ ૫ ગ્રામ સવાર-સાંજ લેવાથી, કોઈ પણ જાતનો (કુદરતી છિદ્રમાર્ગેથી થતા) રક્તસ્ત્રાવ બંધ થાય છે.
(૭) ટી. બી. (ક્ષય) ની ખાંસી અને પિત્તરોગ : અર્જુનછાલને અરડૂસીના પાનના રસની ૨૧ ભાવના (પુટ)આપી, તેનું ચૂર્ણ બનાવી, તે રોજ ૫ ગ્રામ દવા મધ, ઘી અને ખડી સાકર સાથે ચાટવું.
(૮) વ્રણ-જખમ (ઘા): અર્જુનછાલનો ઉકાળો કરી, તે વડે જખમ ઘોવો. પછી તેનું બારીક ચૂર્ણ ઘામાં ભરી પાટો બાંધવો. તેથી જખમ જલદી રૂજાઈ જશે.


44 - પિત્તશામક, પૌષ્ટિક – આમળા (આંબળા)
પરિચય :
ગુજરાતમાં ખેડા, પાવાગઢ, ડાંગ, સાપુતારા તથા ગીર પ્રદેશમાં અને ઉત્તર ભારતમાં આમળા (આમલકી, આંવલા) પથરાળ જમીનમાં ખાસ થાય છે. તેના ઝાડ ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા થાય છે. તેમાં જંગલી અને બાગી (વાવેલ) એવી બે જાતો થાય છે. તેના પાન આંબલીના પાન જેવા, એક ડાળી પર ૧૦૦ જેટલા નાનાં, પાસેપાસે અંતરે આવેલ હોય છે. તેના પર લીંબુ જેવડાં કદના, આછા લીલા સુંદર રંગના, ખટમીઠા અને ઓછા રેસાનાં ફળ થાય છે. અંદર વચ્ચે ઠળિયો હોય છે. તેની ઉપર જાડો દળદાર ગર્ભ હોય છે. આયુર્વેદનું આ ખૂબ જાણીતું ઔષધ અનેક દવાઓમાં વપરાય છે. ખૂબ જાણીતું ‘ચ્યવનપ્રાસ અવલેહ‘ નામનું ટોનિક આમળામાંથી જ બને છે. દવામાં લીલા-તાજા અને સૂકા બંને આમળાં ખાસ વપરાય છે. તેનાથી અસંખ્ય દવા બને છે.
ગુણધર્મો :
આમળા સ્વાદે ખટ-મધુરા, તૂરા-કડછા; ગુણમાં ઠંડા, મળ-મૂત્ર સાફ લાવનાર, રસાયન (રોગ અને વૃદ્ધાવસ્થાનાશક), વીર્યવર્ધક, રૂચિકર્તા, આયુષ્‍ય તથા આંખ અને કેશ માટે હિતકર, વાળ કાળા કરનાર, પચવામાં હળવા, ત્રિદોષનાશક છતાં કફવર્ધક અને પિત્ત-વાયુનાશક, પુષ્ટિવર્ધક, અસ્થિભંગને સાંધનાર, દેહ કાંતિવર્ધક અને રક્તપિત્ત, પ્રમેહ, વિષ, ઝેર, તાવ, ઊલટી, સોજો, બંધકોશ, શોષ, તૃષા, રક્તવિકાર, દાહ, મોળ, ભ્રમ, અમ્લપિત્ત, ખાંસી, શ્રમ-થાક, ગરમીનાં દર્દો, રતવા તથા વાતરક્ત (ગાઉટ) મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) બહુમૂત્ર (વારંવાર ઘણો પેશાબ) : આમળાના તાજા ૨૫ ગ્રામ રસમાં ૧ ગ્રામ દારૂ-હળદરનું ચૂર્ણ નાંખી, તેમાં થોડી સાકર ઉમેરી સવાર-સાંજ-રાતે પીવું.
(૨) રક્તપિત્ત (મોઢેથી, નાકેથી કે ગુદાથી લોહી પડવું) : આમળાનો ૨૫ થી ૫૦ ગ્રામ રસ કાઢી, તેમાં સાકર તથા ઘી ૧ ચમચી ઉમેરી, સવાર-સાંજ પીવું. આ પ્રયોગથી શરીરની ખોટી તજા ગરમી તથા ગરમીનાં અન્ય દર્દો પણ મટે છે.
(૩) તાવમાં શોષ પડવો : આમળા ચૂર્ણ, સાકર અને ઘી એકત્ર કરી, ગોળી કરી મોંમાં રાખવી.
(૪) મૂત્રદાહ તથા મૂત્ર અલ્પતા : આમળાનો રસ, શેરડીના રસમાં ઉમેરી વારંવાર પાવો.
(૫) વીર્ય વધારવા : આમળાનો રસ, સાકર અને ઘી ૧-૧ ચમચી લઈ, રોજ બે વાર લો. અથવા આમળાથી બનતો ‘ચ્યવનપ્રાસ‘ અવલેહ રોજ લેવો.
(૬) અમ્લપિત્ત : આમળા, સૂંઠ અને જીરાનું ચૂર્ણ કરી, તેમાં સાકર મેળવી, વાટીને વટાણા જેવડી ગોળી કરી લેવી. સવાર-સાંજ દૂધ સાથે ૨-૪ ગોળી લેવી.
(૭) દીર્ધાયુષ્‍ય માટે આમળા, ગળો અને ગોખરૂ ત્રણે સરખે ભાગે લઈ બનાવેલું ‘રસાયણ ચૂર્ણ‘ રોજ ૧ ચમચી જેટલું દૂધ અથવા ઘી અને સાકરમાં કાયમ લેવાથી આયુષ્‍ય અને આરોગ્ય વધે છે.
(૮) લોહી પડતા હરસ : આમળાનું ચૂર્ણ ૫ ગ્રામ, દહીંની મલાઈ સાથે રોજ સવાર-સાંજ લેવું.
(૯) કમળો : પાંડુ – લોહીની અછત શેરડીના રસમાં આમળાનો રસ તથા મધ મેળવી, સવાર-સાંજ પીવાનો નિયમો રાખવો.
(૧૦) ગરમીની મૂર્ચ્છા (બેભાની) : આમળાનો રસ, ચોખ્ખું ઘી નાંખી પાવો.
(૧૧) સૌંદર્યવર્ધક લેપ :આમળા, જેઠીમધ, હળદર, સુખડ અને સફેદ તલનો પાવડર બનાવી તે વડે રોજ સ્નાન કરવું.

45 - ગુણકારી ગંઠોડા(પીપરીમૂળ)
દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્‍પતિના મૂળિયાની ગાંઠ છે. આપણા ઘણાં કુટુબોમાં શરદી, ઉધરસમાં ગંઠોડાની રાબ પીવાય છે. ગંઠોડા ચા- શાકના ગરમ મસાલામાં પણ વપરાય છે. આયુર્વેદની શરદી, વાયુની દવાઓમાં ગંઠોડા વપરાય છે.
છોટા નાગપુરના પ્રદેશમાં બહેનોના માસિક સ્‍ત્રાવની ગરબડમાં તથા શરદીના વિકારોમાં ગંઠોડાનો ઉકાળો ગોળ નાખી પીવાય છે. પ્રસૂતા સ્‍ત્રીઓના પહોળા થયેલા ગર્ભાશય તથા યોનિમાર્ગને મૂળ સ્થિતિમાં લાવવા માટે ઘી- ગોળમાં કરેલી ગંઠોડાની રાબ ઉમદા ટોનિક જેવું કામ કરે છે.જે પ્રસૂતા બહેનોની પ્રસૂતિ થઈ જાય પણ પછી ઓર ન પડે તો તે પડવા માટે ગંઠોડાનો ઉકાળો ગોળ નાખી આપવાથીઓર બહાર આવી જાય છે.
અનિદ્રાઃ ખૂબ વિચાર, વાયુ કે વૃધ્‍ધાવસ્‍થાને કારણે વાયુ વધી જવાથી રાતની ઊઘ ઊડી જાય ત્‍યારે ગંઠોડાનું ચૂર્ણ ૨ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવું અથવા દૂધમાં ખાંડ તથા ગંઠોડા નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
કફની ઉધરસઃ ગંઠોડા સૂંઠ અને બહેગંદળનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, કફની ઉધરસ મટે છે. ટાઢિયો તાવઃ ગંઠોડાનું ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું મધમાં ચાટીને ઉપરથી ગરમ દૂધ પીવાથી તાવ મટે છે.
અમ્‍લપિતઃ ગંઠોડા ૨ ગ્રામ તથા સાકર ૪-૫ ગ્રામ મેળવી સવાર-સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.
શ્વાસઃ પીપરીમૂળ ખરલમાં ૨૪ કલાક સુધી સતત ઘૂંટી લઈ, શીશી ભરી લો. તેમાંથી ૨ ગ્રામ દવા મધમાં રોજ સવાર- સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.
ઊલટીઃ પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી મટે છે.
હ્રદયરોગઃ પીપરીમૂળ તથા એલચી બન્‍ને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ૩ ગ્રામ જેટલી દવા મધ સાથે લેવાથી કફજન્‍ય હ્રદયરોગ મટે છે.
સોજાઃ શરીરના કોઈ પણ અંગના વાયુ કે કફના સોજા પર પીપળીમૂળને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેમ જ ગંઠોડૉ દેવદાર, ચિત્રક અને સૂંઠ નાખી ગરમ કરેલું પાકું પાણી જ ખાવા- પીવામાં વાપરવું
ધાવણ વધારવાઃ ગંઠોડા અને કાળા મરી પાણી સાથે બારીક વાટીને તે દૂધમાં મેળવી (ખાંડ નાખી) માતાને રોજપીવડાવવાથી તેના ધાવણમાં વધારો થાય છે.
નોંધઃ ગંઠોડા મોટી વયના માણસોને લેવાની માત્રા ૧ થી ૨ ગ્રામ છે. તે ગરમ હોઈ પિત્ત પ્રકૃતિવાળાને માટે સેવન હિતાવહ નથી. તે નેત્રદ્રષ્ટિ અને વીર્ય ઘટાડનાર છે.
ગુણધર્મો
આયુર્વેદના મતે ગંઠોડા કે પીપરીમૂળ સ્‍વાદમાં તીખા, તીક્ષ્‍ણ, ગુણમાં લૂખા (રુક્ષ) ગરમ પિતદોષ કરનાર, આમ કફ તથા વાયુદોષ મટાડનાર ભૂખ તથા રુચિ વધારનાર, ઝાડાને ભેદનાર અને પેટનાં (અજીર્ણ વાયુના) દર્દો, આફરો, બરોળ, ગોળો, કૃમિઘ દમ, શ્વાસ, ક્ષય, મગજની નબળાઈ, ગાંડપણ, વાયુપ્રકોપ, પ્રસૂતાને થયેલ (સૂતિકા) રોગ, માસિક સાફ ન આવવું, અનિદ્રા, ઉધરસ, શ્વાસ અને વાયુહર, ઉત્તેજક, ઝાડો સાફ લાવનાર, રકતશુધ્ધિ લાવનાર છે. તે વનજીકર અને સૂતિકા રોગ મટાડનાર છે.

46 - અજીર્ણ-ભૂખ ન લાગવી
જમતા પહેલા આદુની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે.
ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
અર્ધી ચમચી અજમો, ચપટી સિંધવ-મીઠું લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
એક ગ્‍લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
પાકા અનાનસના કકડા કરી તેની ઉપર સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.
એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ-મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.
લીંબુ કાપી, તેના ઉપર સિંધવ-મીઠું ભભરાવી જમતાં પહેલાં ચૂસવાથી અજીર્ણ મટે છે.
સૂંઠ મરી, પીપર અને સિંધવ-મીઠું લઈ તેનૂં ચૂર્ણ છાશમાં પીવાથી અજીર્ણ મટે છે.
કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.
લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી-મંદાગ્નિ મટે છે.
કોકમનો ઉકાળો કરી, ઘી નાખી, પીવાથી અજીર્ણ મટે છે.
મેથી અને સુવા સરખે ભાગે લઈ, બન્‍નેને શેકી, અધકચરા ખાંડી, તેમાંથી અર્ધો અર્ધો તોલો ફાકવાથી આફરો, ખાટાં ગચકારાં અને ઓડકાર મટે છે.
પેટમાં ખૂબ જ આફરો થયો હોય, પેટ ઢોલ જેવું થયું હોય અને પેટમાં દુઃખાવો થતો હોય તો ડૂંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે.
લસણ, ખાંડ અને સિંધવ-મીઠું સરખે ભાગે મેળવી, તેનાથી બમણું ઘી મેળવી ખાવાથી અજીર્ણ આફરો મટે છે.
ટામેટાંને સહેજ ગરમ કરીને સિંધાલૂણ અને મરી છાંટીને ખાવાથી અજીર્ણ મટે છે.

47 - મધના મીઠા મીઠા ગુણ
સંતરાની છાલોનું ચૂર્ણ બનાવીને તેમાં બે ચમચી મધ મેળવીને તૈયાર કરેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચા નીખરી ઉઠે છે અને કાતિવાન બને છે.
કબજિયાતમાં ટમેટું અથવા સંતરાના રસમાં એક ચમચી મધ નાખીને સેવન કરવાથી લાભ થાય છે.
શુષ્‍ક ત્‍વચા પર મધ, મલાઈ તેમજ બેસન મેળવીને તૈયાર કરાયેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચાની શુષ્‍કતા દૂર થાય છે અનેલાવણ્‍યમય ત્‍વચા બને છે.
એક ગ્‍લાસ દૂધમાં ખાંડ નાખ્‍યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીરનું દૂબળાપણું દૂર થાય છે અને શરીર સુડોળ, રુષ્‍ટપુષ્‍ટ અને બળવાન બને છે.
મધના નિત્‍ય સેવનથી નિર્બળ આંતરડાને બળ મળે છે.
ડુંગળીનો રસ અને મધ સમાન માત્રામાં મેળવીને ચાટવાથી કફ દૂર થાય છે તથા આંતરડામાં થયેલા વિજાતીય દ્રવ્‍યોને દૂર કરીને તેના કીડા નષ્‍ટ થાય છે. તેને પાણીમાં ભેળવીને એનિમા લેવાથી લાભ થાય છે.
હ્નદયની ધમનીઓ માટે મધ ખૂબજ શકિતવર્ધક છે. સૂતી વખતે મધ અને લીંબુનો રસ મેળવીને એક ગ્‍લાસ પાણીમાં પીવાથી કમજોર હ્રદયમાં શકિતનો સંચાર થાય છે.
પેટના નાના મોટા ઘાવ અને પ્રારંભિક સ્થિતિનું અલ્‍સર મધને દૂધ કે ચા સાથે લેવાથી ઠીક થઈ શકે છે.
સૂકી શરદીમાં મધ અને લીંબુના રસનું સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.
મધથી માંસપેશીઓ બળવાન બને છે.
હાઈ બી.પી.માં મધનું સેવન લસણ સાથે કરવાથી લાભ થાય છે.
આદુનો રસ અને મધ સમાન માત્રામાં લઈને ચાટવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે હેડકીઓ બંધ થાય છે.‍

48 - મીઠા લીમડાની સુગંધ વિશ્વભરમાં પ્રસરી
આપણા દેશની પ્રાચીન સંસ્‍કૃતિમાં પ્રકૃતિનું ઘણું મહત્‍વ હતું, માનવીની સાથે જ પ્રકૃતિ સંકળાયેલી છે. પાણી, હવા, જળ, આકાશ, પૃથ્‍વી આ પંચતત્‍વો કહેવાતા હતા. વિજ્ઞાનની દ્રષ્ટિએ તત્‍વો નહોતા પરંતુ માનવી જેના વગર રહીં શકે નહીં, જીવી શકે નહીં તે માટે તે પંચમહાભૂત તત્‍વો તરીકે ઓળખાતા. ધીરે ધીરે વિજ્ઞાનનો વ્‍યાપ વધ્‍યો તેથી માનવી કુંજરા બનવા લાગ્‍યો, જરુરીયાત કરતા પણ વધુ મેળવવાની દોડમાં તેમણે પ્રકૃતિનો પણ વિચાર કર્યો નહી. ઉપભોકતાવાદ વધ્‍યો, તેમજ વાપરો ને ફેંકી દો તે પ્રકારની સંસ્‍કૃતિ વધતી ગઇ તેને કારણે માનવીના જીવનમાં મોટુ પરિવર્તન આવ્‍યું, આખી જ જીવનશૈલી જ બદલાવા લાગી તેને કારણે પ્રકૃતિ સાથે જે માનવીનો તાલમેલ હતો તે રહ્યો નહીં તેને કારણે આજે પર્યાવરણની વિવિધ સમસ્‍યાઓનું સર્જન થયું. વાતાવરણમાં અચાનક બદલાવ આવવા લાગ્‍યા, તોફાનો, વાવાઝોડા, ધરતીકંપ, અતિવરસાદ તો કોઇ જગ્‍યાએ વરસાદ જ નહીં, કૃષિ‍ ક્ષેત્રે અચોકકસતા આવતી ગઇ, ઔઘોગિકરણ વધ્‍યું, તેને કારણે પ્રદૂષણો સર્જાયા આજે સમગ્ર વિશ્વ તે અંગે ચિંતિત છે. એટલું જ નહીં તેની સાથે વિવિધ રોગોનો ફેલાવો વધ્‍યો, મેલેરિયા, એઇડ્સ, ઇન્ફ્લૂએન્‍ઝા, કોલેરા, ડેંગ્‍યુ, અને કાલા આઝાર જેવા રોગોનો વ્‍યાપ વધ્‍યો. જીવનશૈલી બદલાતા આહારમાં પણ બદલાવ આવ્‍યો, જંકફૂડ, ફાસ્‍ટફૂડ લેવાનું વધ્‍યું, તેને કારણે બ્‍લડપ્રેસર, ડાયાબિટિસ જેવા રોગોનું પ્રમાણ વધ્‍યું, બેકાબુ જીવન બન્‍યું, આવા તો ઘણા કારણો આપી શકાય. ભારતીય સંસ્‍કૃતિમાં આહારનું ઘણું મહત્‍વ હતું. ‘જેવું અન્‍ન તેવો ઓડકાર‘ આવી કહેવત હતી, ઉપરાંત પહેલું સુખ તે જાતે નર્યા, તેના કારણોમાં સમતોલ અને સાદો આહાર હતું, લીલા શાકભાજી ફળોનો ઉપયોગ વધારે હતો, તેમજ જયારે ખોરાક રાંધવામાં આવતો ત્‍યારે તેમાં વપરાતા મરી-મસાલા પણ એટલા જ ઉપયોગી હતાં રસોઇમાં વપરાતા રાઇ, જીરુ, હળદર, મરચાનો ભૂક્કો, હિંગ, તમાલપત્ર, બાદીયા, મેથી, તજ, લવિંગ, લાલ મરચા, મરી અને મીઠા લીમડાનો ઉપયોગ થતો, આયુર્વેદની દ્રષ્ટિએ દરેકમાં વિવિધ પ્રકારના ગુણ છે. કેટલાક ભૂખને ઉતેજીત કરે કેટલા પાચન કરે તો કેટલાક શરીરને જોઇતા દ્રવ્‍યો પૂરા પાડે. ભારતીય આહારમાં કઢીનું ઘણુ મહત્‍વ છે. કઢીમાં મીઠા લીમડાનો ઉપયોગ ખાસ કરવામાં આવે તે ઉપરાંત દાળ વગેરેમાં ખાસ પ્રકારની સુગંધ માટે આનો ઉપયોગ ખાસ થાય છે. મીઠા લીમડાને દક્ષિણ ભારતની સુગંધ કહેવાય છે. દક્ષિણ ભારતમાં જે આહાર લેવાય છે જેમ કે મસાલા ઢોસા, સંભાર, રસમ, ટોપરાની ચટણી, મેંદુવડા, આવી તો ઘણી વાનગીઓમાં મીઠા લીમડાનો ખૂબ જ ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતની સુગંધ એટલે મીઠો લીમડો. મીઠા લીમડાનું વાનસ્પિ‍ત નામ મ્‍યુરાપા કોઇનીગિઇ, બંગાળીમાં બારસુન્‍ગો, ગુજરાતીમાં મીઠો લીમડો, હિન્‍દીમાં મીઠા નીમ, કારિપતા, કાટનીમ, કન્‍નડમાં કારિબેવ્‍યુ, મલયાલમમાં કારીયેલા, મરાઠીમાં કારીવાડ, કારચીપતા, ઉરીયામાં બાસાન્‍સે, પંજાબીમાં બોવાલા, તામિલમાં કારુવેપ્‍પિલાઇ, તેલુગુમાં કારેપેકુ તરીકે ઓળખવામાં આવે છે.
બીજા દેશોમાં પણ તેનો ઉ૫યોગ થાય છે. ડેનીશમાં કરી બ્‍લેડ, અંગ્રેજીમાં કારીપૌલે, જર્મનમાં કરીબ્‍લાટર, હંગેરીયનમાં કરી લેવેલેક, ઇન્‍ડોનેશિયામાં ડૌનકારી, ઇટાલીમાં ફલેગ્‍લી ડી કાન કહેવાય. તેમજ અન્‍ય દેશોમાં પણ મીઠા લિમડાનો ઉપયોગ થાય છે.
આખી દુનિયામાં આ મીઠા લીમડાના પાંદડાને સૂકવી તેના પાઉડર બનાવીને મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ મીઠા લીમડાની બે જાતો છે. ભૂમધ્‍ય સમુદ્રની આસપાસ બીજા પ્રકારના મીઠા લીમડાનો ઉપયોગ થાય છે. મીઠો લીમડો ભારતમાં ઘણી જગ્‍યાએ થાય છે. તમિલનાડુ, કેરાલા, આંધ્રપ્રદેશ અને મહારાષ્‍ટ્રમાં વિશેષ પ્રમાણમાં થાય છે. મીઠા લીમડાના પાંદડામાંથી જે સુગંધ આવે છે તેમાં ઘણા કાર્બનિક દ્રવ્‍યો રહેલા છે તેમાં ખાસ પ્રકારનું તેલ હોય છે તેમાં બીટા-બિસાબેલેની, બીટા-કાર્યાફિલીન, બીટા-એલીમીને, બીટા-ગુર્જુનીન, વીટા-ફિલેડ્રેનીન, બીટા-પાઇનીન, બીટા-ટ્રાન્‍સસોકીમીન, બીટા-થાઇનીન, આલ્‍ફા-સેલિનીન, ભારતમાં મૈસૂર ખાતે આવેલી સીએફટીઆરઇ સંશોધન સંસ્‍થા દ્વારા તેના તેલમાંથી આલ્‍ફા પાઇનીન મેળવવામાં આવ્‍યું છે. આ ઉપરાંત તેમાં મોનો તેમજ સેકવીટર્પીન્‍સ રહેલા છે. વધુમાં કેલ્શિયમ તથા વિટામીન બી તેમાંથી મળે છે. તેમજ તેમાં પ્રોટીન, ચરબી, શર્કરા, સ્‍ટાર્ચ વગેરે પણ છે. મીઠા લીમડામાં એમિનો એસિડ રહેલા છે પરંતુ તે સૂકાતા તેનું પ્રમાણ ઘટી જાય છે તેથી તાજા મીઠા લીમડાનો ઉપયોગ રસોઇમાં કરવો જોઇએ. ઘણા ફ્રિઝમાં રાખી મૂકે છે પરંતુ દરરોજ તાજો મીઠો લીમડો મળતો હોય તો તેનો ઉપયોગ કરવો જોઇએ. પ્રાચીન સાહિત્‍ય જોતા નલના પાકશાસ્‍ત્રમાં કૈડર્પનો ઉપયોગ ખૂબ છૂટથી થયો છે. મીઠા લિમડાના પાન સ્‍વાદમાં કંઇક તીખા – કડવા - તૂરા લાગે છે. મીઠો લીમડો તાસીરે ઠંડો છે. ફોસ્‍ફરસ, લોહતત્‍વ પણ છે. મીઠા લીમડાની વિશિષ્‍ટતા ઘણી છે તે જઠરાગ્નિને પ્રદીપ્‍ત કરે છે. ખોરાકનું પાચન કરાવે છે. વાયુ પિત અને કફના વિકારોમાન તે ઉપયોગી છે. આ લીમડાનો ઉપયોગ ઔષધ તરીકે ઓછો પણ આહારમાં વધુ ઉપયોગ થાય છે. ગુજરાતમાં ખાસ પરંતુ દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ વ્‍યાપક છે. આથી તેને ‘દક્ષિણની સુગંધ‘ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં થોડી વિશિષ્‍ટતા લીમડાના પાનમાં જાણવા મળેલ છે.
ઝેરી જનાવરો કરડયા હોય તો તેમાં ફાયદાકારક છે. મીઠા લીમડાના મૂળનો રસ પીવાથી કિડનીના દુઃખાવામાં રાહત થાય છે. તાજા પાંદડામાંથી મળેલ નિષ્‍કર્ષણનો પ્રયોગ ગ્‍વાએન પીગ ઉપર કરવામાં આવેલ તેમાં જાણવા મળ્યું છે કે તે ફાગોસાઇટ ઇન્‍ડેકસમાં વધારો કરે છે. મીઠા લીમડાના પાંદડા, તેની છાલ તેમજ મૂળમાંથી સ્‍ક્રૂટીકમય ગ્‍લુકોસાઇડ મળે છે જેનું નામ કોઇનીજન છે. મીઠા લીમડાના લાકડાના વિવિધ ઉપયોગો જાણવા મળ્યા છે. આ રીતે કુદરતમાંથી મળતા મીઠા લીમડાના ઘણા ઉપયોગ છે. આ રીતે કુદરત આપણને કુદરતી રીતે પોષણ આપે છે જેથી આપણુ સ્‍વાસ્‍થ્‍ય સારૂ રહે, હવે આપણે વિચારવાનું છે કે આપણે કેવી જીવનશૈલી અપનાવવાની છે.

49 - લીમડા વિશે જાણવા જેવું



•થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક "ચા" બનાવીને નાહવાના પાણીની બાલદીમાં ઉમેરીને (થોડાં ટીપાં રોઝ વોટરના ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી.
•પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.
•નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્‍યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે એકવાર, એમ ત્રણ અઠવાડિયાં સુધી કે જરૂર લાગે ત્‍યાં સુધી નાખવું.

•વેસેલીનમાં ૧:૫ના પ્રમાણમાં લીમડાનું તેલ ઉમેરીને શરીર પર લગાડવાથી મચ્‍છરો દૂર ભાગે છે. તે ઉપરાંત ચામડીનાં દર્દો, નાના-મોટા ઘા કે થોડું દાઝયા હોય તેના પર ફાયદાકારક છે.
•ગળાનો સોજો કે શરદી હોય તો લીમડાનાં ૨ થી ૩ પાન નાખીને ઉકાળેલા હૂંફાળા પાણીથી કોગળા કરવા, એન્‍ટી બાયોટિક દવાની જરૂર નહીં પડે.
•ખીલ-ફોડલીઓ પર લીમડાના પાઉડરને પાણીમાં કાલવીને લગાડવો.
•સાઈનસની તકલીફમાં લીમડાનું તેલ નેઝલ ડ્રોપ્‍સ તરીકે વાપરી શકાય છે. (સવાર-સાંજ બે ટીપાં).
•સારામાં સારી અને સસ્‍તી બાયોપેસ્ટિસાઈડ છે.
•કાનમાં દુખાવો હોય તો ઉકાળેલા લીમડાનાં હૂંફાળા પાણીનાં ટીપાં કાનમાં નાખવાં લીમડાના તેલનાં ટીપાં પણ નાખી શકાય.
•આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ઘીલોયને વાટીને પીવાથી અકસીર ઈલાજ થાય છે. શ્રી રામદેવજી મહારાજ (યોગશાસ્‍ત્રી) પણ ચિકનગુનિયાના તાવમાં આ ઈલાજને અકસીર ગણાવે છે.
•લીમડાની ડાળીઓનાં દાંતણ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.
•સૂકા પાન અનાજમાં રાખવાથી અનાજમાં પડતી જીવાત અટકાવાય છે, પરંતુ દર ત્રણથી ચાર મહિને આ પાન બદલવાં જરૂરી છે.
•લીમડાનો રસ ગૂડી પડવાને દિવસે પીવાનું માહાત્‍મ્‍ય છે. એનાથી તાવ-શરદી જેવા ચૈત્ર મહિનાના રોગોથી બચી શકાય છે.
•લીમડાનાં પાંદડાનો ધૂપ કરીને મચ્‍છરો ભગાવી શકાય છે.
•તેલનો દીવો કરો તો તે તેલમાં લીંબોળીનું તેલ થોડું ઉમેરવાથી પણ મચ્‍છરો દૂર ભાગે છે.
•લાંબી માંદગીમાં સૂઈ રહેવાથી પડતાં ચામઠાંને લીમડાની પથારી દ્વારા અટકાવી શકાય છે. (ચાદરની નીચે લીમડાનાં પાન પાથરીને પથારી કરવી)

50 - ઉત્તમ ટોનિક ગાજર


શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.
ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.
ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે.
ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે.
ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.
લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે.
મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે.
લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે.
ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે.
લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે.
જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે.
ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમિત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે.
બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.
આંખો માટે ગાજર ઉત્તમ છે.
ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે.
તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે.
દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

51 - અમુલ્ય અખરોટ


અખરોટનાં સૂકાં ફળ કદમાં લીંબુ જેવડાં મોટાં હોય છે. તેની ઉપરનું કોચલું લાકડા જેવું એકદમ સખ્‍ત હોય છે. જે બે ભાગમાં વહેચાતા સળંગ સાંધાવાળું હોય છે. ઉપરનું કોચલું તોડતા અંદરથી કથ્‍થાઈ જેવા રંગનો મગજ જેવા અનિયમિત આકારનો મીઠો ગર્ભ (માવો) નીકળે છે. આ મગજની ઉપર પાતળી ફોતરી જેવું પડ હોય છે. એ દૂર કરતાં અંદર સફેદ-પીળા રંગનો મીઠો- રુચિકર ગર્ભ હોય છે. તેનો આ મગજ સૂકામેવા તરીકે ખવાય છે.
અખરોટનો મગજ (ગર્ભ) ખાડા – ટેકરાવાળો અને અનિયમિત હોય છે.





ગુણધર્મઃ
અખરોટનો મગજ (ગર્ભ, મીંજ) સ્‍વાદે મધુર, જરાક ખાટો, સ્નિગ્‍ધ, શીતળ, ઉષ્‍માપ્રદ, રુચિદાયક, ભારે, કફ તથા વીર્યવર્ધક, બળવર્ધક, વાયુ અને પિત્તદોષશામક, પ્રિય તથા ધાતુવૃધ્ધિકર છે. અખરોટ ક્ષય, હ્રદયરોગ, રક્તરોગ, રક્તવાત અને દાહનાશક છે. તે આમવાત અને વાતરોગોમાં પણ પથ્‍ય છે. અખરોટના બાકી ગુણો બદામ જેવા સમજવા.


ઔષધપ્રયોગો-

અડદિયો વા (ચહેરાનો લકવા):
અખરોટના તેલનું રોજ ચહેરા પર માલીસ કરવું.
વાયુની પીડાઃ
અખરોટના મગજને વાટી, પાણી નાખી ગરમ કરી, દુખાવા પર તેનો લેપ કરવો. પછી એક ઈંટ ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી, કપડાંમાં લપેટી, તે ઈંટ વડે દુખાવાની જગ્‍યાએ લેપ કરવાથી શીઘ્ર પીડા મટશે.
ગાંઠિયો વા (સંધિવા):
રોજ અખરોટનું સેવન કરવાથી રકતશુધ્ધિ થઈ દર્દ મટે છે.
સોજાઃ
અખરોટનું તેલ ૧૦ થી ૩૦ ગ્રામ જેટલું દરરોજ ગોમૂત્ર સાજે પીવાથી વાતદોષજન્‍ય આખા શરીરના સોજા મટે છે. તેલ ન મળે તો અખરોટના મગજના પાવડરને કાંજી સાથે વાટી ગરમ કરી સોજા પર લેપ કરવો.
ધાવણ વધારવાઃ
અખરોટનો પાવડર કરી, ઘઉંના રવામાં ભેળવી, તેને ઘીમાં શેકી, દૂધ અને ખાંડ નાખી શીરો બનાવી રોજ ખાવાથી માતાને ધાવણ વધે અથવા અખરોટનાં પાન ચૂર્ણ અને ઘઉંના રવાની ઘીમાં પુરી બનાવી ખાવી.
મગજની નબળાઈઃ
અખરોટના મગજનું દરરોજ નિયમિતપણે સેવન કરવાથી ચક્કર, અંધારાં, સ્‍નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે.
માસિક સાફ લાવવાઃ
અખરોટનાં છોડાનો પાણીમાં ઉકાળો બનાવી તેમાં જૂનો ગોળ મેળવીને પીવાથી બહેનોને ચડી ગયેલું માસિક શરૂ થાય છે.
કોલેરાઃ
ઝાડા-ઊલટીમાં દર્દીને અખરોટના તેલનું માલીસ કરવું.
વૃધ્દ્રોની શકિત વધારવાઃ
અખરોટનાં મીંજ ૧૦ ગ્રામને સમભાગ દ્રાક્ષ સાથે નિત્‍ય ખાવાથી વૃધ્ધોના શરીરમાં શકિત વધે છે.
અખરોટનું તેલઃ
અખરોટના તેલમાં એરંડિયા જેવા જ ગુણો હોય છે. આ તેલ ખાવાથી કૃમિ (ટેપ વર્મ) મટે છે, ઝાડો સાફ આવે છે અને વિકૃત પિત્ત નાશ પામે છે. અખરોટનું તેલ સ્‍વાદે મધુર અને પિત્ત પ્રકૃતિવાળાને ભારે પડે છે. પણ તે કફ અને આફરો દૂર કરે છે અને વાળને પુષ્ટિ આપે છે. દૃષ્ટિદોષ (ચશ્‍માં) દૂર કરવા અખરોટનું તેલ આંખો પર રોજ બહારથી માલીસ કરવું અને આ તેલ રોજ ખાવું. આ તેલની પીવાની માત્રા મોટી વ્‍યકિત માટે ૨૦ થી ૪૦ ગ્રામ સુધીની છે.
દંતમંજનઃ
અખરોટનાં ઉપરનાં છોડાં (કાચલાં) ને બાળી તેના કોલસાનું ચૂર્ણ ૧૦૦ ગ્રામ, કાંટાળા માયુ ૧૦ ગ્રામ, જેઠીમધ ચૂર્ણ ૫૦ ગ્રામ, કાચી ફટકડી ૫ ગ્રામ, વાવડિંગ ૧૫ ગ્રામ – આ બધાનું બારીક ચૂર્ણ બનાવી લો. પછી તેમાં ૫ ગ્રામ બરાસ કપૂર થોડા પાવડરમાં વાટીને ભેળવી લો. આ મંજન મજબૂત ઢાંકણવાળી શીશીમાં ભરી લો. નિત્‍ય આ દંતમંજન દાંતે ઘસવાથી દાંત ઊજળા દૂધ જેવા થાય છે. દાંત-દાઢનો સડો કે તેની પીડા મટે છે. ખૌતમાંથી લોહી આવતું હોય તોપણ લાભ થાય છે. સસ્‍તું છતાં ઉત્તમ દંતમંજન હોઈ, કોઈપણ વ્‍યકિત તે ઘેર બનાવી તેના લાભ ઉઠાવી શકે છે.

52 - દાઝ્યા ઉપર..
•દાઝેલા ઘા ઉપર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે.
•દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટો કાપી ઘસવાથી ફોલ્‍લો થશે નહિ.
•દાઝેલા ઘા પર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
•દાઝેલા ઘા ઉપર પાકા કેળાંને બરાબર મસળી, ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ રાહત અને આરામ થાય છે.
•દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે તથા ફોલ્‍લા જખમ ઝડપથી રુઝાઈ જાય.
•ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે.
•જખમ, ઘા, ગૂમડાં, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ-પાઉડરની જેમ ચાંદા પર લગાડવાથી દાહ, બળતરા મટે છે.
•દાઝેલા ઘા પર છૂંદેલો કાંદો તરત જ લગાડવાથી ઝડપથી રાહત થાય છે.
•દાઝ્યા ઉપર ફોલ્‍લા પડ્યા પહેલાં કાચા બટાટા લઈ પથ્‍થર પર લસોટી તેનો લેપ લગાવી દેવો. આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સમી જાય છે અને ફોલ્‍લા થતા નથી ને ડાઘ પડતા નથી. દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો.
•વડનાં પાનને ગાયના ઘીમાં વાટીને બળેલા ભાગ ઉપર તેનો લેપ કરવાથી તરત બળતરા મટે છે.
•દાઝ્યા ઉપર કેરોસીન લગાડવાથી ઘણી રાહત થાય છે તથા જલદી રૂઝ આવે છે.
•દાઝ્યાના ફોલ્‍લા ઉપર પ્રથમ છાશ રેડવી અથવા ઠંડું પણી રેડવું. કુંવારપઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા ઉપર લગાડતા રહેવો. આનાથી બળતરા ઓછી થાય છે અને જલદી રૂઝ આવે છે.
•ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝ્યા ઉપર સારું કામ કરે છે.

53 - ખરજવું, ખસ, ખૂજલી, દરાજ
•ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
•ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર ‍અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
•કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
•તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
•કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
•બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
•ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી, લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
•પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું અને ખસ મટે છે.
•જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.
•કોપરું ખાવાથી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.
•ટમેટાંના રસમાંથી તેનાથી બમણું કોપરેલ મેળવીને શરીર પર માલિશ કરી, અર્ધા કલાક પછી સ્‍નાન કરવાથી ખૂજલી મટે છે.
•રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.
•તુવેરનાં પાન બાળી દહીંમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે.
•આખા શરીરે ખૂજલી આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી ખૂજલી મટે છે.
•કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, દાદર મટે છે.
•તુલસીના પાનનો રસ શરીર ઉપર ઘસવાથી ખૂજલી મટે છે.
•મધ્‍યમ કદનું, ખેતરમાં થતું બટાકું બાફી, તેની પોટીસ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો, આ રીતે દોઢ માસ સુધી કરવાથી જૂનું હઠીલું સુકું ખરજવું મટે છે.
•દાદર-ખરજવા ઉપર ઘાસતેલમાં ગંધક મેળવીને લગાડવાથી ખરજવું મટી જાય છે.
•ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.

54 - સોજો-મૂઢ માર
કડવા લીમડાના પાન બાકીને સાધારણ ગરમ હોય ત્‍યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.

લવિંગ વાટી તેનો લેપ સોજા ઉપર ચોપડવાથી સોજો ઊતરે છે.
રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઊતરે છે.
હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઊતરે છે.
વાગવાથી કે મચકોડાવાથી આવેલો સોજો હળદર અને મીઠાનો લેપ કરવાથી મટે છે.
તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.
તાંદળજાના પાનનો લેપ કરવાથી સોજો મટે છે.
ધાણાને લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજો મટે છે.
આમલીનાં પાન અને સિંધવ-મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.
મૂઢમાર કે મચકોડાયેલા હાડકાં પર આમલીને આવળાનાં પાનનો લેપ કરી લગાડવાથી સોજો ઊતરે છે.
શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો ને દુઃખાવો મટે છે.
લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે.
સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.
મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઊતરી જાય છે.
તુલસીનાં પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઊતરી જાય છે.
જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સાંધાનો સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છૂટા થઈ સોજા મટે છે.
મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરત જ આરામ થાય છે. લોહચુંબક લાકડી જેવું બ્‍લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહિ તેની કાળજી લેવી.


55 - નસકોરી
•નસકોરી ફૂટે ત્‍યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
•નસકોરી ફૂટે ત્‍યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
•લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે.
•નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્‍તુના ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
•નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત જ બંધ થાય છે.
•ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
•મરી અને દહીંને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
•કેરીનો ગોટલીનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
•દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે.
•મરીનો અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખૂલે છે.
•આમળાંના ચૂર્ણને કાલવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે.
•અરડૂસીનાં પાનના રસનાં ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે અને અરડૂસીનાં પાનનો રસ પીવાથી નાક કે મોંવાટે લોહી પડતું બંધ થાય છે.


56 - ઉધરસ-ખાંસી
•કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
•કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
•લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
•લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
•મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
•મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
•એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
•થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
•લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી મોટી ઉધરસ (હુ પિંગ), કફ મટે છે.
•લસણનો ૨૦ થી ૨૫ ટીપાં રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ (હુ પિંગ/કફ)મટે છે.
•દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
•આમલીના કિચૂકાને શેકી, તેનાં છોતરાં કાઢી નાખી, કિચૂકાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘીમાં મેળવીને પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો મટે છે.
•થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.
•ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
•રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.
•ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
•અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છુટો પડી જાય છે અને ઉધરસ મટે છે.
•હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા-એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપરથી પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
•મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્‍યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.
•હળદર અને સૂંઠ સવારસાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
•હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે.
•નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
•તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુઃખાવો મટે છે.
•રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ, ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
•અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
•ખાંડ સાથે બે ટીપાં કેરોસીન દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી મોટી ઉધરસ મટે છે.
•કેળના પાનને બાળી, ભસ્‍મ બનાવી, તે ભસ્‍મ દશ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉટાંટિયામાં રાહત થાય છે.